'શિસ્ત' અને 'વફાદારી'ના આધારે ધારદાર કટાક્ષ, ગુજરાત ભાજપના નેતાનો ઈશારો કોની તરફ...?
Updated: Apr 20th, 2024
Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે અને પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ પણ થઈ ગયું છે ત્યારે આગામી તબક્કાના મતદાન માટે મતદારોને રિઝવવા માટે રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારીમાં લાગી ગઈ છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોએ નામાંકન દાખલ કરી દીધું છે ત્યારે અમરેલી ભાજપના નેતાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ફરી ચર્ચા શરુ થઈ ગઈ છે.
પોસ્ટથી અનેક અટકળો તેજ થઈ
અમરેલીના ભાજપના નેતા ભરત કાનાબાર અવારનવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચર્ચામાં રહે છે ત્યારે તેમણે વધુ એક વખત પોસ્ટ કરતા જ રાજકીય માહોલ ગરમાયો છે. ભરત કાનાબારે અગાઉ સરકાર સામે સવાલો ઉભા થાય તેવી પોસ્ટ પણ કરી છે ત્યારે ફરી એકવાર તેમની પોસ્ટને લઈને અનેક પ્રકારની અટકળો તેજ થઈ ગઈ છે. આ વખતે ભરત કાનાબારે શિસ્ત અને વફાદારીના બહાને આકરો કટાક્ષ હોય તેવી સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે.
શિસ્ત અને વફાદારી પર કરી પોસ્ટ
ભરત કાનાબારે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે 'શિસ્ત : અન્યાય થતો હોય ત્યારે પણ મૂંગા મોઢે સહન કરવું પડે એવી લાચારીનું બીજું નામ શિસ્ત છે ! વફાદારી : જે વતનની ધરતીના અન્ન-પાણીએ આપણું પોષણ કર્યું છે તેના લોકોનું અહિત થઇ રહ્યું હોય તે જાણવા છતાં કઈ ના કરી શકવાની કાયરતાનું બીજું નામ વફાદારી છે.' પોતાની પોસ્ટ સાથે એક તસવીર પણ શેર કરી છે જેમાં હાથમાં હથકડી પહેરાવેલી જોવા મળે છે.