મિત્રના ઘરનું આમંત્રણ...! .
Updated: Apr 25th, 2024
- પ્રભાતના પુષ્પો- ગુણવંત બરવાળિયા
ગી તાર્થ ગુરુભગવંતોએ જૈન શાસનમાં તપનો મહિમા ઠેરઠેર ગાયો છે. જૈન ધરમમાં આવતા પર્વો લોકોત્તર પર્વો છે. આયંબિલની ઓળી એ શાશ્વતુ લોકોત્તર પર્વ છે. શ્રીપાલ મયણાએ આયંબિલ તપની નવ દિવસની બાહ્ય અને અભ્યંતર તપને આત્મસાત કરી દેહને પરિશુદ્ધ કરી આત્માની ઊર્ધ્વગતિ કરી તે કથા આપણે સહુ જાણીએ છીએ.
આયંબિલનો પ્રથમ દિવસ અરિહંત પ્રભુની આરાધનાનો છે. કેવળજ્ઞાન, શુકલધ્યાન અને શુકલ લેશ્યા હોવાથી તેનો વર્ણ શ્વેત છે અને તે વિશ્વવાત્સલ્યનું પ્રતીક છે. બીજો દિવસ સિદ્ધપદની સાધનાનો છે, જે અગ્નિનું પ્રતીક છે. કર્મને બાળે, પ્રઝાળે છે. ત્રીજા દિવસે આચાર્યજીને વંદન કરીવાથી જેનો જ્ઞાનના સૂર્ય સમ પીળો વર્ણ અને પદ્મલેશ્યા છે. ચોથો દિવસ શીતળ છાંયડી દેતા વૃક્ષના લીલા વર્ણ જેવા નીલ લેશ્યવાળા ઉપાધ્યાયજીની આરાધનાનો છે. પાંચમો દિવસ સાધના કરી કાળા ડિબાંગ કર્મોને અંદરથી દૂર કરવાનો છે. છેલ્લા ચાર દિવસ સમક્તિની સાધના કરવા માટેના છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપનો વર્ણ સફેદ છે. એ આત્માના આ નવ પદોમાં પહેલા પાંચ પદોને શરણે આપણે જવાનું છે, જેમાં નિર્મળ ગુણો છે શેષ ચાર આત્મસાત કરવા માટે સાધનામાં જોડાવાનું છે.
જૈન ધર્મ ગુણપૂજક છે જેથી આ નવ પદની સાધનામાં દરેક પદના ગુણની સંખ્યા પ્રમાણે આપણ તે પદની માળા, વંદના અને કાઉસ્સસગ કરીએ છીએ. ઘણા સાધકો આ નવ દિવસ, પદના વર્ણ પ્રમાણેના રંગનું ફક્ત એક ધાનનું આયંબિલ તપ પણ કરે છે.
તુચ્છઆહાર વાસનાઓને શાંત રાખે છે, રસપરિત્યાગ અને ઋક્ષભોજન સાધનામાં સહાયક બને છે. વર્ષમાં આસો અને ચૈત્ર માસ એમ બે વાર ઓળી આવે છે. આરોગ્યવિજ્ઞાનનની દૃષ્ટિએ આયંબિલને દિવસે રસ વિનાના ભોજનને કારણે સમગ્ર પાચનતંત્રને પાચક્રિયાના કાર્યમાંથી ખંડ સમયની મુક્તિ મળે છે. વધારાના રસોનો ઉપયોગ થઈ જાય છે. ઓટોલિસીસ (છેંર્ઙ્મઅજૈજ)ની પ્રક્રિયા અને શરીર સ્વશુદ્ધિકરણને કારણે નિર્મળ અને નીરોગી બને છે.
આયંબિલ ત્રણ પ્રકારની હોય છે -
૧. સામાન્ય આયંબિલ - જેમાં છ પ્રકારની વિગય - દૂધ, દહીં, સાકર, ઘી, ગોળ અને તેલ વિનાનો આહાર એક જ વાર એક જ સ્થાને બેસીને વાપરવાનો હોય છે.
૨. નીવી આયંબિલ - જેમાં વિગય રહિતના સામાન્ય આયંબિલ જેવા આહાર સાથે એકમાત્ર છાશ વાપરવાની હોય છે.
૩. નિરારંભી આયંબિલ - જેમાં આરંભ વિનાના અર્થાત્ તે દિવસે અગ્નિ દ્વારા પકાવેલ દરેક આહારનો ત્યાગ કરવાનો હોય છે. માત્ર પૂર્વે પકાવેલ સૂકા પદાર્થો - ખાખરા, મકાઈધાણી, ચણા આદિ વાપરવાના હોય છે.
સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુના શિષ્ય પૂજ્ય રતિલાલજી મહારાજ કે જેમણે એ સમયમાં સળંગ ૯૯૯ આયંબિલનું તપ કર્યું હતું. તેમની પ્રેરણા લઈ તેમના શિષ્ય રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિજીનાં સુશિષ્યા પરમ સૌમ્યાજી મહાસતીજીએ તાજેતરમાં ૧૦૦૮ સળંગ આયંબિલ તપ પૂર્ણ કર્યું તે સ્વાદવિજેતા મહાતપસ્વીની મહાસતીજીને અભિવંદના.
જ્ઞાનીઓ કહે છે કે, વિગઈઓ રસયુક્ત આહાર એ શત્રુનું ઘર છે. આયંબિલ એ મિત્રનું ઘર છે અને ઉપવાસ એ પોતાની માલિકીનું ઘર છે.
યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે, જેણે રસ જીત્યો એણે જગત જીતી લીધું. પ્રત્યેક આસો મહિનામાં અને ચૈત્ર મહિનામાં આયંબિલની ઓળી નિમિતે આપણને મિત્રના ઘરનું આમંત્રણ મળે છે.