VIDEO: દેશના યુવા અબજોપતિએ કહ્યું કે ‘આપણે બધા મરવાના છીએ...’ ને જોરદાર તાળીઓ પડવા લાગી
Updated: Apr 20th, 2024
Nikhil Kamath: દેશના યુવા અબજોપતિ અને ઝડપથી ઉભરી આવેલ બ્રોકરેજ હાઉસ ઝેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામતે યુવા આંત્રપ્રિન્યોર્સને પ્રેરિત કરતું નિવેદન આપતાં કહ્યું હતું કે, આપણે બધાનું મૃત્યુ નિશ્ચિત છે. આથી જીવનમાં બહુ ગંભીરતા લેશો નથી.
એક કાર્યક્રમમાં નિખિલ કામતે જણાવ્યું કે, જોખમથી ડરવાની જરૂર નથી. કારણકે, આપણે બધાનું એક દિવસ મૃત્યુ થશે. આથી નાની-મોટી નિષ્ફળતાઓ અને મુશ્કેલીઓથી ભયભીત થવાની જરૂર નથી.
શાળા છોડ્યા બાદ કામતે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. અનેક પડકારો અને મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ આજે તે એક સફળ બિઝનેસમેન તરીકે ઉભરી આવ્યા છે. નિખિલ કામતે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કેવી રીતે તમામ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો.
જીવનને આનંદથી માણો
નિખિલ કામતે કહ્યું કે, જીવનમાં નાની-મોટી ઘટનાઓ તો થતી રહે છે. તમે તમામ પરિસ્થિતિમાં સ્થિર રહો અને લક્ષ્યોને વળગી રહો. તમે પરિક્ષામાં સારૂ પ્રદર્શન ન કર્યું હોય, શાળા કે કોલેજમાં અન્ય સાથે દુશ્મની કે ઈર્ષ્યા, પ્રેમમાં નિષ્ફળતા જેવી ઘટનાઓને પણ સામાન્ય ઘટના તરીકે લો. ગંભીર થશો નહિં, જીવનને આનંદથી માણો.
હું દરેક બાબતોથી ડરતો હતોઃ નિખિલ કામત
3 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા નિખિલ કામતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વીડિયો શેયર કર્યો છે, જેમાં તે જીવનની મુશ્કેલીઓમાં પણ આનંદ કરવા કહે છે. તેઓએ પોસ્ટમાં લખ્યું છે કે, મને શાળા તદ્દન ગમતી ન હતી. હું તમામ શિક્ષકોથી ડરતો હતો. દરેક બાબતથી ગભરાતો હતો. પરંતુ તમે ક્યારેય ડરપોક ન બનો. કંઈપણ વસ્તુ કે ઘટના સ્થાયી હોતી નથી. દુનિયાના પ્રવાહમાં સમયનો સદ્-ઉપયોગ કરો.
કામતે ડબ્લ્યૂટીફંડ લોન્ચ કર્યું
કામતે હાલમાં જ યુવા આંત્રપ્રિન્યોર્સને ફંડની સુવિધા પ્રદાન કરતાં ડબ્લ્યૂટીફંડ લોન્ચ કર્યું હતું. આ ફંડ પોતાના ક્ષેત્રમાં મોટી ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવતા યુવા ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવે છે.