ભારતમાં ઈ-વ્હીકલ ક્ષેત્રે ક્રાંતિ, થ્રી-વ્હીલર્સના વેચાણમાં 65 ટકાના વધારા સાથે ચીનને પછાડ્યું
Updated: Apr 27th, 2024
Electric Three Wheelers: ઈ-થ્રી વ્હીલર્સના વેચાણની દ્રષ્ટિએ ભારતે ચીન કરતા પણ નોંધપાત્ર પ્રગતિ સાધી છે. ધ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના એક રિપોર્ટ પ્રમાણે, 2023માં ભારતમાં ઈ-થ્રી વ્હીલર્સનો વેચાણ આંક ચીન કરતા પણ વધુ રહી 5.80 લાખ રહ્યું હતું. ચીનમાં વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે.
સરકારી પ્રોત્સાહનોને કારણે ભારતમાં ઈ-વ્હીકલ ક્ષેત્રે ક્રાંતિ થઈ રહ્યાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 2023માં વિશ્વમાં વેચાયેલા દર પાંચમાંથી એક થ્રી વ્હીલર્સ ઈલેક્ટ્રિક હતા. આમાંનું 60 ટકા વેચાણનું મૂળ ભારતમાં હતું. ઈ-વાહનોના વેચાણમાં વિશ્વભરમાં મજબૂત વધારો જોવા મળી રહ્યો હોવાનું જણાવી એજન્સીએ નોંધ્યું હતું કે, ઊભરતી બજારોમાં વીજ વાહનોની માગમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી રહી છે.
ઈલેક્ટ્રિક કારની વેચાણ વૃદ્ધિ જળવાઈ રહેશે અને 2024માં તેનો વેચાણ આંક વિશ્વભરમાં 1.70 કરોડ પહોંચવાની અપેક્ષા છે, જે દરેક પ્રકારના કારના કુલ વૈશ્વિક વેચાણના વીસ ટકા જેટલો હશે. ભારતમાં ગયા વર્ષે વીજ વાહન બજારે મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. સરકાર દ્વારા પૂરી પડાયેલી ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેકચરિંગ ઓફ ઈલેકટ્રિક વ્હીકલ્સ (ફેમ-ટુ) સબસિડી સ્કીમને કારણે આ શકય બન્યું છે.
2022ની સરખામણીએ 2023માં ભારતમાં ઈ-થ્રી વ્હીલર્સના વેચાણમાં 65 ટકા વધારો થઈને 5.80 લાખ રહ્યું હતું જે ચીન કરતા વધુ હતું. આની સામે ચીનમાં વેચાણ આઠ ટકા ઘટી 3.20 લાખ રહ્યું હતું. 2023માં ભારતના ઈ-ટુ વ્હીલર્સના વેચાણમાં 40 ટકા વૃદ્ધિ જોવા મળી છે. ચીન તથા એશિયન દેશો સાથે ભારત ટુ તથા થ્રી વ્હીલર્સની બજારમાં વૈશ્વિક આગેવાન તરીકે ઊભરી રહ્યા છે.