ચાર દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 8.48 લાખ કરોડનો વધારો
Updated: Apr 25th, 2024
- ઇન્ટ્રાડે સેન્સેકસ 74000ની સપાટી કૂદાવી અંતે 114 પોઇન્ટ વધી 73853
અમદાવાદ : કોર્પોરેટ પરિણામોની જાહેરાત સાથે વૈશ્વિક બજારની તેજી પાછળ મુંબઈ શેર બજાર ખાતે આજે સુધારાની ચાલ જળવાતા સતત ચોથા દિવસે બજાર પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યું હતું. આ ચાર દિવસમાં સેન્સેકસમાં ૧૩૬૪ પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. જયારે ચાર દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ. ૮.૪૮ લાખ કરોડનો વધારો થયો છે.બજારના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ પૂર્વ એશિયાની અનિશ્ચિતતાઓ યથાવત રહેતા આગામી સમયમાં ક્રૂડના ભાવ વધવાની તેમજ મોંઘવારી વધવાની ભીતી વચ્ચે વૈશ્વિક બજારોની સુધારા તરફી ચાલ અને કોર્પોરેટ પરિણામોની સાનુકૂળ જાહેરાત પાછળ મુંબઈ શેર બજારમાં સુધારાની ચાલ આજે સતત ચોથા દિવસે જળવાઈ રહી હતી.
આજે ઇન્ટ્રાડે સેન્સેકસ એક તબક્કે વધીને ૭૪૧૨૧ પોઇન્ટ પહોંચ્યા બાદ નફા રૂપી વેચવાલીએ પાછો પડતા કામકાજના અંતે ૧૧૪ પોઇન્ટ વધીને ૭૩૮૫૩ ની સપાટીએ મક્કમ રહ્યો હતો. બીજી તરફ નિફટી પણ ૩૪ પોઇન્ટ વધીને ૨૨૪૦૨ ની સપાટીએ મક્કમ રહ્યો હતો.સેન્સેકસમાં નોંધાયેલા સુધારા પાછળ આજે રોકાણકારોની સંપતિમાં રૂ. ૧.૭૩ લાખ કરોડનો વધારો થયો હતો. છેલ્લા ચાર દિવસમાં આ સંપતિમાં રૂ. ૮.૪૮ લાખ કરોડનો વધારો થતા આજે કામકાજના અંતે તે રૂ. ૪૦૧.૩૭ લાખ કરોડ પહોંચી હતી.