ક્લાઇમૅટ ચેન્જ ભારત માટે આફત બન્યું, 23 વર્ષોમાં 120 અબજ ડોલરનું નુકસાન, 2023માં દોઢ કરોડને અસર
Updated: Apr 27th, 2024
મુંબઈ: કલાયમેટ ચેન્જને કારણે છેલ્લા 23 વર્ષમાં ત્રાટકેલી વિવિધ કુદરતી આફતો જેમ કે વાવાઝોડા, ભૂકંપ, પૂરની સ્થિતિ તથા જમીન ધસી જવાની ઘટનાઓને કારણે ભારતને અંદાજે 120 અબજ ડોલરનું નુકસાન થયાનો અંદાજ છે.
એકલા 2023માં જ કુદરતી આફતોને પરિણામે દોઢ કરોડ લોકોને અસર થઈ હતી એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું.
ગ્લોબલ વાર્મિંગને લગતી ઘટનાઓને કારણે છેલ્લા ત્રેવીસ વર્ષમાં વાર્ષિક સરેરાશ 5.20 અબજ ડોલરનું ભારતે નુકસાન સહન કર્યું છે.
વૈશ્વિક સરેરાશ કરતા એશિયા ઝડપથી ગરમ થઈ રહ્યું છે. કલાયમેટ ચેન્જને કારણે હીટવેવની ઘટનાઓથી ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં અસંખ્ય મૃત્યુ પણ દર વર્ષે નોંધાઈ રહ્યાનું રિપોર્ટમાં ઉલ્લેખાયું છે.
તાજેતરના કેટલાક અહેવાલોને ધ્યાનમાં લઈએ તે વર્તમાન વર્ષના ઊનાળામાં દેશમાં હિટવેવના દિવસોમાં વધારો થવાની ધારણાં મૂકવામાં આવી છે. દેશના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડીગ્રીથી ઉપર જોવા મળવાની ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે.
હિટવેવને પરિણામે કૃષિ જણસોના ઉત્પાદન પર અસર પડવાની શકયતા નકારાતી નથી.કલાયમેટ ચેન્જને મુદ્દે વિશ્વભરના દેશો છેલ્લા કેટલાક વર્ષથી એક મંચ પર આવ્યા છે અને ગ્લોબલ વાર્મિંગ સામે લડત આપવાની વાતો થઈ રહી છે, છતાં તેમાં નક્કર પરિણામે હજુ સુધી જોવા મળતા નથી.