અંબાજી જતાં ભક્તો માટે ખાસ: માતાજીના દર્શનના સમયમાં ફેરફાર, ત્રણ વખત કરશે શણગાર
Updated: May 10th, 2024
Image Social Media |
Ambaji Darshan Time: શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજીનું પ્રસિદ્ધ મંદિર. જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર અને ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું છે. અંબાજી એક મહત્ત્વપૂર્ણ મંદિર છે, જ્યાં દરરોજ હજારો ભક્તો માંના આશિર્વાદ લેવા માટે આવે છે. રસપ્રદ વાત એ છે કે પવિત્ર આરાસુરી અંબાજી મંદિરની અંદર દેવીની કોઈ મૂર્તિ કે છબી નથી. પૂજારીઓએ ગોખના ઉપરના ભાગને એવી રીતે સજાવ્યો હતો કે તે દૂરથી દેવીની મૂર્તિ જેવો દેખાય છે, પરંતુ અહીં પવિત્ર શ્રીયંત્રની પૂજા થાય છે. આ ભવ્ય અંબાજી મંદિરમાં ઋતુ પ્રમાણે અને યાત્રાળુઓની સગવડતાને ધ્યાનમાં રાખીને દર્શન તેમજ આરતીનો સમય બદલવામાં આવે છે.
અખાત્રીજથી અષાઢી એકમ સુધી દિવસમાં 3 વાર થશે માનો શણગાર
આરાસુરી અંબાજી મંદિરમાં ઋતુ પ્રમાણે અને યાત્રાળુઓની સગવડતાને ધ્યાનમાં રાખીને માતાજીના દર્શન તેમજ આરતીનો સમય બદલવામાં આવે છે. ત્યારે, અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અખાત્રીજથી એટલે કે તા. 10 મે, 2024થી અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સાથે આજે અંબાજી મંદિરમાં અરીસા વડે માતાજીને સૂર્યનારાયણના દર્શન કરાવવામાં આવશે અને તે પછી બપોરની આરતી કરવામાં આવશે. આ ઉપરાંત અખાત્રીજથી અષાઢી એકમ સુધી દરરોજ દિવસમાં 3 વખત માં અંબાનો શણગાર કરવામાં આવે છે.
મંદિર સવારે 11.30 કલાકે બંધ થતુ હતું, તેના બદલે 10.45 કલાકે બંધ થશે
ઋતુમાં આવતાં બદલાવના કારણે અંબાજી ખાતે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિરમાં આવતા યાત્રિકોની સગવડતા ખાતર નિજ મંદિરના દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલું જ નહિ, અંબાજી મંદિરમાં તારીખ 10 મે શુક્રવારના વૈશાખ સુદ અખાત્રીજથી સવાર સાંજ બે સમયે થતી આરતી થતી, જે હવે ત્રણવાર કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, હાલની કાળઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમ્યાન ત્રણ સમય કપડા અને શણગાર બદલાતા હોવાથી આરતી ત્રણ સમય કરવામાં આવશે. જે મંદિર સવારે 11.30 કલાકે બંધ થતુ હતું, તેના બદલે 10.45 કલાકે બંધ થશે. યાત્રાળુઓ માટે મંદિરમાં સવારે માતાજી બાલ્યા અવસ્થા, બપોરે યૌવન અવસ્થા અને સાંજે પૌઢ અવસ્થાના દર્શન કરી શકશે.
અખાત્રીજથી અષાઢી એકમ સુધી માનો 3 વાર શણગાર કરાશે
અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે પણ ઓળખાય છે. મહત્ત્વની એ છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર આવવાથી અંબાજી મંદિરમાં વર્ષ દરમિયાન ઋતુ પ્રમાણે દર્શનના સમયમાં ફેરફાર થતો હોય છે. ત્યારે અખાત્રીજથી અષાઢી એકમ સુધી અંબાજી મંદિરમાં માં અંબેનો રોજ દિવસમાં 3 વખત શણગાર તેમજ દિવસમાં 3 વાર આરતી કરવામાં આવે છે. આ ઉપરાંત માને અરીસા વડે સૂર્યનારાયણના દર્શન કરાવ્યા બાદ બપોરની આરતી કરવામાં આવે છે.
સોનાની થાળીમાં ધરાવ્યો માતાજીને રાજભોગ
ઉત્તર ગુજરાતનું એક માત્ર પ્રસિદ્ધ મંદિર છે, જ્યાં લાખો ભક્તો દર્શનાર્થ આવે છે. ગ્રીષ્મ ઋતુ દરમિયાન માતાજીને દિવસમાં 3 વાર શણગાર કરવામાં આવે છે. ચાચર ચોકમાં નૃત્ય મંડપ નીચે અરીસા વડે સૂર્યનારાયણનો પ્રકાશ માતાજીના વીશા યંત્ર ઉપર પાડીને બપોરની આરતી શરૂ થાય છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા આરતી કરવામાં આવે છે. બપોરે 12 વાગે સોનાની થાળીમાં માતાજીને રાજભોગ ધરાવ્યા બાદ અરીસા વડે સૂર્યદેવના દર્શન કરાવવામાં આવે છે.
યાત્રાળુઓની ધ્યાનમાં રાખી દર્શનના સમયમાં ફેરફાર
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટરે અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ઋતુ પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી માતા મંદિરમાં યાત્રાળુઓની સગવડતા માટે 10/05/24 વૈશાખ સુદ ત્રીજથી 06/07/24 આષાઢ સુદ એકમ સુધી આરતી અને દર્શનનો સમય નીચે પ્રમાણે કરવામાં આવ્યો છે. જેની દરેક ભાવિક ભક્તોએ નોંધ લેવી.
દર્શન તેમજ આરતીનો સમય આ પ્રમાણે રહેશે
સવારની આરતી : 7:00થી 7:30
દર્શન સવારે : 7:30થી 10:45
રાજભોગ આરતી : 12:30થી 1:00
બપોરે દર્શન : 1:00થી 4:30
સાંજે આરતી : 7:00થી 7:30
સાંજે દર્શન : 7:30થી 9:00