'જ્યાં રોજ ષડયંત્ર થતા હોય ત્યાં શું અનુમાન..' PM મોદીના 370 બેઠકના દાવા પર શંકરાચાર્યનું નિવેદન
Updated: May 17th, 2024
Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણી માટે સાત તબક્કામાંથી હવે ત્રણ તબક્કાનું મતદાન જ બાકી રહ્યું છે. ચાર તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે પાંચમાં તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ભાજપ વધુને વધુ બેઠકો જીતવા માટે પ્રચંડ પ્રચાર કરી રહી છે. જેની કમાન ખુદ મોદીએ સંભાળી છે. ત્યારે હવે શંકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ વડાપ્રધાન મોદીના દાવા પર પ્રતિક્રિયા આપી છે.
અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી રાજસ્થાનમાં આવ્યા હતા
જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી રાજસ્થાનમાં એક જાહેર સભાને સંબોધિત કરવા આવ્યા હતા. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) લોકસભા ચૂંટણીમાં 370 બેઠકો જીતીને સરકાર બનાવશે. આનો જવાબ આપતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે 'કોઈ વસ્તુનો અંદાજ ગણિત અને સંભાવનાઓના આધારે લગાવવામાં આવે છે, પરંતુ એવી જગ્યાએ જ્યાં દરેક ક્ષણે કોઈ ષડયંત્ર રચવામાં આવે છે ત્યાં અંદાજ લગાવી શકાતો નથી.'
રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો
આ ઉપરાંત શંકરાચાર્યને ગૌહત્યા અંગે પણ પૂછવામાં આવ્યું કે શું તેઓ આ મામલાને સરકાર સુધી લઈ જશે? જેના જવાબમાં શંકરાચાર્યએ કહ્યું, 'અમે બધું જ જણાવીએ છીએ. શું સરકારથી કંઈ છૂપું રહી શકે? અહીં આઈબીના લોકો હશે. અમે જે પણ બોલીએ છીએ, સરકાર તેની નોંધ લે છે અને અમે છુપી રીતે કશું બોલતા નથી.' ઉલ્લેખનીય છે કે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આ વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં બનેલા રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો. જગદગુરુ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ઉત્તરાખંડના જ્યતિષપીઠના શંકરાચાર્ય છે.