વિદાય સમારંભ
મુકુંદભાઈએ દરરોજનો પોતાનો કાર્યક્રમ ઘડી રાખ્યો હતો. તેમણે હવેનું જીવન શાંતિથી પસાર કરવા વિચારેલ પણ આ બધી તેમની ગણતરી ઊંધી પડી
આ જે મુકુંદભાઈનો વિદાય સમારંભ હતો. શાળાનો આજ છેલ્લો દિવસ પછી સ્વતંત્ર જીવન વહેલા ઉઠવાની ચિંતા નહિ. પિરિયડ લેવા, પેપર તપાસવા, પરિણામો તૈયાર કરવા આ બધી ઝંઝટોમાંથી છુટકારો. હવે પોતે પોતાની રીતે સ્વતંત્ર જીવન જીવી શકશે.
આવા અનેક વિચારો મુકુંદભાઈને આવવા લાગ્યા અત્યાર સુધી તો તે બધા શિક્ષકોના આગેવાન હતા. કોઇપણ બાબત કે પ્રશ્ન હોય ત્યારે મુકુંદભાઈ આગળ જ હોય. પ્રિન્સીપાલ મુકુંદભાઈ ને જોઈને જ સમાધાન ઉપર આવી જતા. શાળાના દરેક ઉત્સવોનું સંચાલન મુકુંદભાઈ જ કરતા.
શિક્ષકોના ભોજન સમારંભ અને વિદાય સમારંભ પણ તેઓ જ ગોઠવતા. તે વખતે તો વિદાય સમારંભ એક ઉત્સવનો પ્રસંગ હોય તેમ હરખાતા. પણ આજે પોતાનો વિદાય સમારંભ જાણે પોતાના બેસણાનો કાર્યક્રમ હોય તેમ તેમને લાગવા માંડયું. શાળાના સભાખંડમાં મુકુંદભાઈને પુષ્પહાર પહેરાવી સન્માનવામાં આવ્યા.
મુકુંદભાઈ સમજતા હતા કે આજના સમારંભમાં પોતે હીરો છે પણ આવતીકાલે ઝીરો થઈ જવાના. આચાર્ય એ મુકુંદભાઈની કારકિર્દીની પ્રશંસા કરી સાથે સંચાલકના વખાણ કરી વિદાય સમારંભ આટોપી લીધો, ભોજન શુભેચ્છા આપી સૌ છુટા પડયા.
મુકુંદભાઈએ દરરોજનો પોતાનો કાર્યક્રમ ઘડી રાખ્યો હતો. તેમણે હવેનું જીવન શાંતિથી પસાર કરવા વિચારેલ પણ આ બધી તેમની ગણતરી ઊંધી પડી.
અત્યાર સુધી તો મોટાભાગનો સમય બહાર વિતાવતા. પત્ની તો દસ વર્ષ પહેલા ગૂજરી ગયેલ પણ છોકરો ને વહુ તેમની સગવડતા સાચવી લેતા, પણ આવક બંધ થઈ જતા ઘરનું વાતાવરણ સાવ બદલાઈ ગયું. ઘરમાં આવેલ પરિવર્તનથી તેઓ બેચેન બની ગયા.
સવારમાં છાપું વાંચવા બેઠા ત્યાં પુત્રવધૂએ દૂધની થેલી પકડાવી કહ્યું, 'હવે તમારે શાળાએ ક્યાં જવું છે ! દૂધ લઈ આવી પછી છાપું વાંચજો.' દૂધ લઈ આવી ન્હાઈ તે લાયબ્રેરી જવા તૈયાર થયા ત્યાં પુત્રવધૂએ બીજો હુકમ છોડતા કહ્યું, 'પપ્પાજી આ બેય છોકરાઓને શાળાએ સ્કૂટર પર મૂકી આવો ને સાંજે પાંચ વાગે શાળા છુટે ત્યારે લઈ આવજો. રિક્ષામાં છોકરાને બકરાની જેમ પૂરે છે.
તેથી તમારોય સમય જાય અને રિક્ષાવાળાની ગુલામી કરવી મટે. આમ મુકુંદભાઈનો આખા દિવસનો કાર્યક્રમ દીકરા વહુએ ઘડી કાઢ્યો. આ બધા કામ કરવા છતાં ઘરમાં તેમની ઉપેક્ષા થવા લાગી. ઘણી વખત નાના કામમાં પણ તેમનું અપમાન થતું. તેઓ વિચારતા આ રીતે મારી પાછલી અવસ્થા જશે નહિ.
પણ હાલ તો તેઓ પેન્શનની ફિકરમાં પડયા હતા. ન તો તેઓ વર્તમાન પત્ર વાંચી શકતા કે ન તો તેઓ ટી.વી. જોઈ શકતા. છતાં દીકરાવહુને તે નવરા લાગતા. ખાસ તો વહુને ઘરમાં તેમની હાજરી ખૂંચતી હતી. તેથી દીકરાએ એક દિવસ કહ્યું 'પપ્પા તમે થોડું કામ શોધી લો તો તમારો સમય પસાર થાય નવરા બેસી રહેવાથી શરીર અને મન બગડે છે. પ્રવૃત્તિ જ માણસનું જીવન છે.
ત્યારે મુકુંદભાઈએ કહ્યું, 'તમારા ઘરના કામમાં તો મારો મોટા ભાગનો સમય પસાર થાય છે તે ઓછા છે ! તે મારે બીજ કામ શોધવા ! 'પપ્પા થોડી આવક થાય તેવા કામ શોધવા કહું છું તમારું પેન્શન ક્યારે શરુ થાય તે કહેવાય નહિ પૈસા આવશે તો પ્રગતિ થશે, ભવિષ્યમાં આપણે મોટું મકાન પણ લેવું પડશે. તમો કહો તો મારા ઓળખીતાની કંપનીમાં તમને નોકરી અપાવી દઉ' ત્યારે મુકુંદભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હું શિક્ષક હતો તે નોકરી સ્વમાનભેરની હતી ખાનગી સંસ્થામાં નોકરી કરું તેને હું મારું અપમાન ગણું છું.
તારી કારકિર્દી ઘડવા મેં બધું જ કર્યું. મેં પુન:લગ્ન ન કરી માતા-પિતા બંનેની ફરજ બજાવી, તને ભણાવી તારી મરજી મુજબ પરણાવ્યો. આ ફલેટ પણ લીધો તારે પગાર પણ સારો છે. મારાથી હવે કોઈ કામ કે નોકરી થશે નહિ.' આમ કહી મુકુંદભાઈ પેન્શનની તપાસ કરવા પેન્શન ઓફિસે ગયા.
સદનસીબે તેમનું પેન્શન મંજુર થઇ ગયેલ. પેન્શન ઓર્ડર અને ગ્રેજ્યુએટીનો ચેક લઇ તે બેંકમાં જમા કરાવી ઘરે આવ્યા. સાંજના ઘરના બધાને તે સારી હોટેલમાં જમવા લઈ ગયા. મનગમતું ભોજન અને આઈસ્ક્રીમ ખવડાવ્યો. દીકરાએ જ્યારે આ ખુશીનું કારણ પૂછયું ત્યારે મુકુંદભાઈએ જણાવ્યું કે શાળામાં મારા વિદાય સમારંભમાં તમે ન હતા.
તેથી તમારી સાથે મારો આ બીજો વિદાય સમારંભ મનાવ્યો. ત્રીજો વિદાય સમારંભ ક્યાં અને ક્યારે થશે તેની મને ખબર નથી. આમ કુટુબ સાથે ભોજનનો આનંદ માણી મુકુંદભાઈ ઘરે આવ્યા અને પોતાની રૃમમાં આવી પોતાની બેગ તૈયાર કરવા લાગ્યા. તેને થયું કે લાગણી કે સ્નેહ વગર રહેવું નકામું છે.
તેથી આવતીકાલે વહેલી સવારે ઘર છોડી વૃધ્ધાશ્રમમાં પોતાની વ્યવસ્થા કરી પાછલી જીંદગી વૃધ્ધાશ્રમમાં ગાળવા નક્કી કર્યું. થોડા કપડાં, ચેકબુક, પેન્શન બૂક અને એક અગત્યની ફાઇલ મૂકી બેગ તૈયાર કરી નાખી. પાંચ લાખનો ચેક એક દીકરાના નામે લખી એક ચિઠ્ઠી સાથે ટેબલ પર મુક્યો અને શાંતિથી પલંગ પર સુઇ ગયા.
મોડે સુધી મુકુંદભાઈ ઉઠયા નહિ. તેથી તેને જગાડવા દીકરાએ તેમના રૃમનું બારણું ખખડાવ્યું પણ કોઇ જવાબ ન મળતા કંઇક અમંગળ બન્યાની આશંકા થઇ. બીજા માણસોને બોલાવી બારણું તોડયું અંદર જોયું તો મુકુંદભાઈ શાંતિથી સુતા હોય તેવું લાગ્યું પાસે જઇ ને જોયું તો શરીર સાવ ઠંડુ પડી ગયું હતું. તુર્તજ ડોક્ટરને બોલાવવામાં આવ્યા ડોકટરે આંખો પહોળી કરી, નાડી જોઈ, ગંભીર સાદે કહ્યું મુકુંદભાઈ ગયા. રાત્રે જ જોરદાર એટેક પસાર થઇ ગયો છે.
બધાએ ટેબલ પર પડેલી ચિઠ્ઠી અને બેગ જોઇ દીકરાએ તે વાંચી તેમાં લખ્યું હતું. વ્હાલા બાળકો મને લાગે છે કે આ ઘરમાં હું પરાયો બની ગયો છું. લાગણી કે સ્નેહ વગર રહેવું યોગ્ય નથી. તમારી આબરૃ ખાતર અમદાવાદમાં નહિ પણ બીજા શહેરમાં વૃધ્ધાશ્રમમાં રહેવા જાઊં છું. બાપ ગમે તેવા સંજોગોમાં બાળકોને આશિષ જ આપે છે પાંચ લાખનો ચેક મુકેલ છે. મારે માટે પેન્શન ઘણું છે.
પત્ર વાંચી દીકરો સમજી ગયો કે પિતા વૃધ્ધાશ્રમમાં જવાનો નિર્ણય કરી સુઇ ગયા ને રાતમાં જ એટેક આવી ગયો. તેણે પાસે પડેલ બેગ તપાસી તો તેમાં ચેકબુક, થોડા કપડાં બીજી અગત્યની વસ્તુઓ સાથે અનાથ આશ્રમની ફાઇલ જોઇ ખોલી તે વાંચી તો દીકરાના પગ નીચેથી ધરતી સરકી ગઈ.
ફાઇલ દત્તક લીધેલ બાળકના કાનૂની કાગળોની હતી અને એ બાળક તે પોતે જ હતો. તેના અંતરમાં પસ્તાવાનો પાર ના રહ્યો, તેને થયું સગો બાપ પણ ના ઉછેરે એટલા વાત્સલ્યથી ઉછેરી પોતાની જાતને નીચોવી મને અનાથનો અણસાર પણ ના આવવા દીધો.
મેં અને મારી પત્ની એ તેમને કેટલા દુભાવ્યા છતાં પણ કોઇ પર ગુસ્સે થયા વગર દુ:ખના ઘુંટડા ગટગટાવી ગયા. તે માનવ નહિ પણ દેવ હતા. હું સ્વાર્થમાં અંધ એ દેવને ઓળખી ના શક્યો. હવે પશ્ચાતાપની આગ આખી જિંદગી મને દઝાડયા કરશે.
- વસંત રાજ્યગુરુ
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar