યે દિન ભી ચલા જાયેગા - મિતેશભાઈ એ. શાહ
એ ક રાજા હતો. તેના પડોશી રાજાએ તેના રાજ્ય પર ચઢાઈ કરી. અને રાજાનો યુદ્ધમાં પરાજય થયો. પોતાનો જીવ બચાવવા રાજા જંગલમાં નાસી ગયો. ત્યાં છાતીફાટ રૂદન કરતાં તેના ગળામાં બાંધેલું માદળિયું તૂટી ગયું. માદળિયામાં રહેલી એ ચિઠ્ઠીમાં લખ્યું હતું - યે દિન ભી ચલા જાગેયા. આ વાંચીને રાજાને હિંમત આવી. તેણે સૈનિકો એકઠાં કરી લશ્કર તૈયાર કર્યું અને પડોશી રાજા પર ચઢાઈ કરીને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું.
થોડા દિવસો પછી રાજા ભોગવિલાસમાં પડી ગયો અને પ્રજાનું બરાબર ધ્યાન રાખતો નહિ. રાજાના વિચક્ષણ મંત્રીએ વિચાર્યું કે રાજા ભોગવિલાસમાં જ પોતાને મળેલો દુર્લભ માનવભવ વેડફી દે તે યોગ્ય નથી.
મંત્રીએ રાજાને પૂછ્યું કે આપ તો હારી ગયા હતા. તો એવું તે શું બન્યું કે આપે રાજ્ય પુન: પ્રાપ્ત કર્યું? રાજાએ માદળિયાની વાત કરતા જણાવ્યું કે તેમાં લખેલ - 'યે દિન ભી ચલા જાયેગા' - આ વાક્યએ મને હિંમત આપીને મેં રાજ્ય પાછું મેળવ્યું. ચતુર મંત્રીએ જણાવ્યું કે હે રાજન! અવિનય માફ કરજો. યે દિન ભી ચલા જાયેગા. અત્યારે આપ ભોગવિલાસમાં પડયા છો, પણ આ દિવસો ક્યારે ચાલ્યા જશે અને દુ:ખના દિવસો ક્યારે આવશે તેની કોઈને ખબર નથી. માટે તમારે તમારા કર્તવ્યનું પાલન કરવું જોઈએ.
મંત્રીની વાત સાંભળીને રાજાને પોતાની ભૂલ સમજાઈ. સુખ અને દુ:ખના સમયે આપણે યાદ રાખીએ કે આ કાયમ ટકવાનાં નથી તો સુખ અને દુ:ખમાં યથાશક્તિ સમભાવ રહેશે.