કરોળિયાનું જાળું તેના શિકારને સપડાવવાનું મુખ્ય સાધન છે. કીડી મકોડા કે મચ્છર જાળામાં ફસાય એટલે ખલાસ. જેમ તરફડિયા મારે તેમ વધુ ફસાય. જાળાના ચીકણા તાર તેના શરીર ફરતે વિંટળાઈ જાય અને કરોળિયો તેમનો આરામથી આહાર કરી જાય. પણ તમને ખબર છે કે કરોળિયાના જાળામાં કરોળિયો પોતે ક્યારેય ફસાતો નથી કે બીજો કરોળિયો પણ જાળામાં આવીને ફસાતો નથી?
વિશ્વમાં કરોળિયાની લગભગ ૪૦૦૦૦ જેટલી જાત છે. બધાની જાળા બાંધવાની રીત પણ જુદી. કરોળિયાને આઠ લાંબા પગ હોય છે. કરોળિયાના શરીરમાંથી ચીકણું દ્રવ્ય નીકળે છે જે બહાર હવાના સંપર્કમાં આવીને દોરા જેવું બની જાય છે. જાળુ બનાવવા માટે કરોળિયાની પેટની નીચે સ્પીનરેટ નામની ગ્રંથિ હોય છે. આ ગ્રંથિને આગળ પાછળ હલાવી કરોળિયો જાળુ ગૂંથે છે. તારમાં કેટલી ચીકાશ રાખવી તે પણ તે જાણે છે. શરૂઆતનો મુખ્ય તાર જાડો અને વધુ ચીકણો હોય છે. બાકીના તાર પાતળા હોય છે. કરોળિયો પોતાના લાંબા આઠ પગને તાર ઉપર ગોઠવીને આગળ પાછળ દોડી શકે છે. તેનું શરીર તારથી દૂર રહે છે. જાળામાંથી બહાર નીકળવા માટે અલગ તાર બનાવે છે જેના દ્વારા તે જાળામાં આવ-જા પણ કરી શકે છે. આમ, કરોળિયાનું જાળું તેનું નિવાસસ્થાન બની જાય છે. બીજા જંતુઓ તેમાં પ્રવેશી શકતાં નથી.


