સોનું, હિરા, માણેક જેવી કીંમતી ચીજો પૃથ્વીના પેટાળમાંથી ખનીજ સ્વરૂપે મળે છે. પરંતુ રંગબેરંગી, તેજસ્વી અને સુંવાળા ગોળાકાર મોતી પણ કીંમતી ઝવેરાત ગણાય છે અને તે જમીનમાંથી નહીં પરંતુ દરિયાઈ જીવોની દેન છે.
દરિયાકિનારે શંખ અને છીપલાં તો તમે જોયા હશે. દરિયામાં રહેનારા કેટલાક કોમળ જીવ પોતાના રક્ષણ માટે શરીરની આસપાસ સખત કવચ બનાવે છે અને તેમાં રહે છે. આ કવચ એટલે જ શંખ અને છીપ. દરિયામાં ઊંડે રહેતી કેટલાક છીપમાં મોતી તૈયાર થાય છે. કેટલીક ખાસ પ્રકારની છીપ આ મોતી બનાવે છે.આ જીવ વનસ્પતિ ખાઈને જીવે છે. ખોરાકમાં નુકસાનકારક દ્રવ્ય આવે ત્યારે તેનાથી બચવા તે ખાસ પ્રકારનું પ્રવાહી તે દ્રવ્યની આસપાસ લપેટી દે છે. આ કામ ચોકસાઈપૂર્વક થાય છે અને એકદમ ગોળાકાર આવરણ બને છે. તેનો રંગ છીપના પ્રવાહી પર આધારિત છે. કેટલાક દેશોમાં મોતી મેળવવા માટે આ છીપનો ઉછેર કરવામાં આવે છે. મોતી સખત પથ્થર જેવા પદાર્થના બનેલાં હોય છે અને મજબૂત હોય છે.


