- એક ગરોળી ક્યાંકથી ત્યાં આવી. તેના મુખમાં ખોરાક હતો. એ ખોરાક તેણે પેલી દીવાલ સાથે જડાયેલી ગરોળીને ખવડાવ્યો! માલિક આ જોઈને તાજુબ થઈ ગયો.
- સુખી અને સંપન્ન માણસ જે ત્યાગ કે સેવા ન કરી શકે, તે આ નાનકડી ગરોળીએ કરી બતાવ્યો. આ સેવાભાવી ગરોળીને જેટલી શાબાશી આપીએ એટલી ઓછી છે.
- ડૉ. સુરેન્દ્ર આસ્થાવાદી
જાપાન દેશમાં એક ઘરનું સમારકામ ચાલતું હતું. દીવાલ તોડવાની થઈ. ત્યાંનાં ઘરોમાં સામાન્ય રીતે લાકડાની પાટલીઓની દીવાલો હોય છે અને બે પાટલીઓની વચ્ચે થોડી જગ્યા રાખવામાં આવે છે.
ઘરના માલિકે જ્યારે એક દીવાલ તોડી, ત્યારે તેના જોવામાં આવ્યું કે વચ્ચેની જગ્યામાં દીવાલ પર એક ગરોળી ચોંટી રહેલી હતી.
તેનો એક પગ ખીલાથી જડાયેલો હતો.
માલિકને ભારે નવાઈ લાગી.
તેણે ઝીણવટથી જોયું તો ખ્યાલ આવ્યો કે ગરોળીના પગમાં જડાયેલો ખીલો દસ વર્ષ પહેલાંનો હતો, જ્યારે આ ઘર નવું બાંધવામાં આવ્યું હતું!
આ સ્થિતિમાં એ ગરોળી દસ વર્ષથી ત્યાંની ત્યાં જ રહી હતી, કારણ કે તેનાથી ખીલામાંથી નીકળી શકાય તેમ નહોતું. દીવાલના જોડાણ વચ્ચે, ઘોર અંધારામાં દસ વર્ષ સુધી કોઈ ગરોળી જીવતી ટકી રહે એ માનવામાં આવે તેવું નહોતું.
માલિકે સમારકામ અટકાવ્યું અને ગરોળી આખો દિવસ શું કરે છે, શું ખાય છે, કેવી રીતે જીવે છે તેનું અવલોકન કરવાનું શરૂ કર્યું.
થોડીવારમાં તેના જોવામાં આવ્યું કે બીજી એક ગરોળી ક્યાંકથી ત્યાં આવી. તેના મુખમાં ખોરાક હતો. એ ખોરાક તેણે પેલી દીવાલ સાથે જડાયેલી ગરોળીને ખવડાવ્યો! માલિક આ જોઈને તાજુબ થઈ ગયો.
તેને આખી ઘટના સમજાઈ ગઈ કે આ ઈમાનદાર અને દયાળુ સાથી ગરોળી, પેલી ખીલા સાથે જડાયેલી ગરોળીને દસ વર્ષથી રોજ આવીને ખવડાવતી હતી!
થાક્યા વગર, કંટાળ્યા વગર તે પોતાની સાથી ગરોળીની કાળજી રાખતી હતી.
આવો નિ:સ્વાર્થ પ્રેમ તો ક્યારેક માણસોમાં પણ જોવા મળતો નથી.
સુખી અને સંપન્ન માણસ જે ત્યાગ કે સેવા ન કરી શકે, તે આ નાનકડી ગરોળીએ કરી બતાવ્યો.
આ સેવાભાવી ગરોળીને જેટલી શાબાશી આપીએ એટલી ઓછી છે.
વહાલાં બાળમિત્રો, આ ગરોળીએ જે કર્યું તે આપણે પણ જીવનમાં ઉતારવા જેવું છે.
એકબીજાને નિ: સ્વાર્થ ભાવે મદદ કરવા સદાય તૈયાર રહેવું, એ જ સાચી માનવ સેવા છે.


