- કાળનેમિ એક માયાવી માનવી હતા. તેમણે રસ્તામાં એક સુંદર સરોવરની રચના કરી અને કિનારે એક અદભુત મંદિર બનાવ્યું
રામ-રાવણનું ઘનઘોર યુદ્ધ ચાલતું હતું.
યુદ્ધમાં સામે મેઘનાદ આવ્યો.
મેઘનાદના બાણથી લક્ષ્મણ ઘવાયો.
હાહાકાર મચી ગયો.
હનુમાનજી તાબડતોબ જઈને સુષેણ વૈદને લઈ આવ્યા.
વૈદરાજે સંજીવની બૂટી લાવવા કહ્યું.
...અને હનુમાનજી એ માટે ઉડયા.
રાવણને ખબર પડી કે હનુમાનજી સંજીવની માટે ઉડયા છે, અને એ જીવ સંજીવની વગર પાછો ફરે તેવો નથી. એટલે તેણે કાળનેમિને મોકલ્યો.
કાળનેમિ એક માયાવી માનવી હતો. તેણે રસ્તામાં એક સુંદર સરોવરની રચના કરી અને કિનારે એક અદભુત મંદિર બનાવ્યું. સાથે જ તેઓ જાતે જ એક પરમ પૂજ્ય મહાત્મા બનીને ત્યાં બેસી ગયા.
તેમનું કામ હનમાનજીને રોકી રાખવાનું હતું.
હનુમાનજી ત્યાંથી પસાર થયા તો પાણી પીવા રોકાયા. અને પેલા માયાવી મૂનિને જાળ ફેલાવવાનો મોકો મળી ગયો.
એ મૂનિએ તો જ્ઞાનભક્તિ અને યોગની વાર્તા કરી હનુમાનજીનું ભેજું ભમાવી નાખ્યું.
મૂનિ કહે : 'દીક્ષા લઈ લો હનુમાનજી અને અહીં જ રહી પડો. મૃત્યુને કોઈ રોકી શકતું નથી.'
હનુમાનજી તો દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. દીક્ષા લેતા અગાઉ સરોવરમાં સ્નાન કરવા ગયા.
ત્યાં જ જંગલના તેમના સાક્ષી વાનરોએ કહ્યું : 'ભાગો હનુમાનજી ! આ તો બધી માયા છે. અહીં તો આ અગાઉ સરોવર પણ ન હતું, મંદિર પણ ન હતું, મૂનિ પણ ન હતા, માયા સમજો જરા.'
હનુમાનજી માયા સમજી ગયા. તેઓ બોલી ઊઠયા, 'મૃત્યુને કોઈ રોકી શકતું નથી.'
તેઓ તો ન્હાય ધોઈ ઉપડયા મૂનિરાજ કાળનેમિ પાસે. તેમણે તો જેવા ગુરૂ તેવી દક્ષિણાનો પાઠ અપનાવ્યો.
ગુરૂને એવા પછાડવા લીધા કે મૂનિમાંથી માનવ છતો થયો. કાળનેમિ દાનવનું અસલ સ્વરૂપ પ્રગટ થયું.
પછી કંઈ હનુમાનજી છોડે ? તેમણે તો એ કાળનેમિને કાળને શરણ પહોંચાડી દઈ કહ્યું : 'ખરૃં છે, કાળમૂનિ મહારાજ ! મૃત્યુને કોઈ રોકી શકતું નથી.'
અને એટલું કહી તેઓ ફરીથી સંજીવનીના મૂળિયા લેવા ઉડી ગયા.


