પ્રાણી, પક્ષીઓ, મનુષ્યો અને વનસ્પતિ સહિતના જીવન માટે પાણી પ્રથમ જરૂરિયાત છે. પૃથ્વી પર પાણી છે એટલે જ સજીવ સૃષ્ટિ છે અને આ પાણી પ્રકૃતિના અન્ય તત્વો કરતાં થોડું વિશિષ્ટ પણ છે. જગતના તમામ ધર્મમાં પાણીને દેવ ગણાય છે. પૃથ્વી પર પાણીનો જથ્થો બે અબજ વર્ષથી સમાન રીતે જળવાઈ રહ્યો છે. માત્ર તેના સ્વરૂપમાં ફેરફાર થાય છે. વાતાવરણમાં પાણીનો પુષ્કળ જથ્થો વરાળ સ્વરૂપે રહેલો છે. વિશ્વની હિમનદીઓમાં એટલું પાણી છે કે જો બધું વરસાદ બની વરસે તો પૃથ્વી પર ૬૦ વર્ષ વરસાદ ચાલુ રહે.
દરિયામાંથી સૂર્યની ગરમીથી વરાળ બનેલું પાણી વાતાવરણમાં ૧૦ દિવસ રહે છે ત્યાર બાદ વાદળ બંધાઈને વરસાદ વરસે છે. પાણી જામીને બરફ બને ત્યારે તેનું કદ વધે છે. પૃથ્વી પરનું ૭૦ ટકા પાણી ખેતીમાં વપરાય છે. ખારા પાણીમાં બનેલા બરફમાં મીઠું હોતું નથી. પાણી એવું રસાયણ છે કે સૌથી વધુ પદાર્થો તેમાં ઓગળે છે. પાણીમાં ક્ષારનું પ્રમાણ પી.પી.ટી.થી મપાય છે. એક પીપીટી એટલે એક કિલો પાણીમાં એક ગ્રામ ક્ષાર. પાણીમાં જેમ ક્ષાર વધુ તેમ તેને ઉકળતા અને થીજીને બરફ બનતાં વધુ સમય લાગે. પાણી ઉકળીને વરાળ બને ત્યારે તેનું કદ ૧૪ ગણું થાય છે અને પ્રચંડ શક્તિ પેદા કરે છે.


