Get The App

સ્વાશ્રય અને હિંમત .

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
સ્વાશ્રય અને હિંમત                           . 1 - image


અમારી સોસાયટીની બાજુમાં એક મેદાન છે. ત્યાં રોજ સવારે એક બજાણિયો આવે. સાથે એનો પુત્ર હોય. મેદાનમાં દોરડું બાંધે. છોકરાને એ દોરડા ચાલતાં શીખવે. રોજ એ પ્રમાણે દોરડે ચાલવાની પાઠશાળા ચાલે.

એક દિવસ હું મોડે સુધી ત્યાં ઊભો રહ્યો. દોરડા પર કેવી રીતે ચાલવું, કેમ આગળ વધવું વગેરે બધી સૂચના બજાણિયો આપતો રહે. દૂર ઊભો રહી જોરથી ઢોલ વગાડે. ઢોલની સાથોસાથ છોકરાને બે શબ્દ કહેતો પણ જાય.

એક વખત વચ્ચે ઝોલાં ખાવાનો પાઠ આવ્યો. છોકરાને જોરજોરથી વચ્ચે ઝોલાં ખાવાનાં હતાં. જોરથી ઢોલ વગાડી પિતા કહે : 'હજી જોરથી... હજી જોરથી ઝોલાં ખા. વાહ મારા બેટા, શાબાશ મારા લાલ!'

દશ-બાર વર્ષના છોકરાને આ રીતે અધ્ધર ઝોલાં ખાતો જોઈ હું દંગ થઈ ગયો. દરેક ઘડીએ મને પોતાને થતું હતું કે 'પડશે તો...!'

પણ પિતા તો દાંડી પીટતો જ હતો, છોકરાને પોરસ ચઢાવતો જ હતો. છોકરો સામે કિનારે પહોંચી જ ગયો.

બાપે તેને પોતાની પાસે ખેંચી લીધો. પોટલામાંથી રોટલો તથા ડુંગળી આપી તેને ખાવા આપ્યું. પોતે પણ ખાવા લાગ્યો.

એ એમની રિસેસ હતી.

મેં પૂછ્યુ : 'દોસ્ત! તારો છોકરો ઉસ્તાદ થઈ ગયો છે. જબરી હિંમત છે એની. પણ એક પ્રશ્ન મને થાય છે અને તે એ કે છોકરો દોરડા ઉપર ચાલતો હોય છે ત્યારે તું એની પાસે કેમ ઊભો રહેતો નથી? પડીબડી જાય તો ઝીલી તો લેવાય! આ તો બિચારા છોકરાનાં હાડકાં જ રંગાઈ જાય!'

બજાણિયો કહે : 'એટલે જ ઊભો રહેતો નથી, સાહેબ.'

મેં પૂછ્યું : 'એટલે શું?'

એ કહે : 'હું જો પાસે ઊભો રહું તો છોકરાને એમ થાય કે બાપ ઊભો છે ને! ઝીલી લેશે. છોકરાની કદી હિંમત જ જાગે નહીં. આ તો એને એમ થાય કે પડીશું તોય ઝીલનાર કોણ છે? પડીશું તો કુટાઈ જ જઈશું. એ ખ્યાલથી તેનો આત્મવિશ્વાસ જાગે છે અને પડતો જ નથી. છતાં...'

એમ કહી તેણે છોકરાના ચાર-પાંચ ઘા બતાવ્યા. છોકરાને માથે, કપાળે. ઘૂંટણે, નળાએ, હાથે વાગ્યું હતું. એ ઘા બતાવી તે કહે : 'તે છતાં એને વાગ્યું જ છે. પણ મેં એને ઝીલ્યો નથી. વાગવા જ દીધું છે. એ તો સાહેબ, ચાર-પાંચ વાર વાગે તો એની મેળે હિંમત આવી જાય અને સડસડાટ દોડતો થઈ જાય. અને એમ વાગ્યા વગર તે કંઈ ઓછું જ દોરડે ચાલતાં શિખાય છે? બાકી છાવરનાર અને ઝીલનાર બાપ હાજર હોયને તો કોઈ છોકરાં દોરડે ચાલતાં ન શીખે એટલું પણ તમારે નક્કી જ માનવું હા!'

છોકરાને તૈયાર કરવાની એની આ જ્ઞાનભરી હિંમતવાણી સાંભળી હું વિચાર કરતો થઈ ગયો.

ત્યાં જ એ આગળ કહે : 'અને સાહેબ! આજની દુનિયામાં ચાલવું એ દોરડા ઉપર ચાલવા બરાબર જ છે ને! એ જાતે પોતે પોતાના પગ ઉપર ઊભો રહેતાં શીખ્યો હશે તો ચાલી શકશે. બાકી ડગલે ને પગલે તો ક્યાં એના પિતાજી એને ટેકો આપવા હાજર રહેવાના છે?'

બજાણિયાએ એ સ્પષ્ટ વાત એની રૂઢ ભાષામાં કહી હતી. છતાં એ વાત કેટલી સાચી, નિખાલસ, રોકડી અને સો ટકા સમજવા જેવી હતી!

આજનાં માતા-પિતા, શિક્ષકો, બાળકોને પણ આ પ્રસંગ ઉમદા બોધ આપે તેવો નથી શું?

Tags :