ફૂલછોડ અને વૃક્ષો સજીવ છે પરંતુ હાલી ચાલી શકતા નથી. પોતાની જાતે ડાળીઓ કે પાન હલાવી શકતા નથી પરંતુ દરેક વનસ્પતિમાં શક્તિશાળી રસાયણો હોય છે અને તે અનેક કામ કરી શકે છે. સૂરજમુખીનું ફૂલ સૂર્યની દિશા તરફ આપમેળે ફરે છે તેનું રહસ્ય તેની દાંડીમાં રહેલા દ્રવ્યને આભારી છે. શિકારી વનસ્પતિ જીવડું બેસે કે તરત જ બિડાઈ જઈને શિકાર કરે છે. તેમાંય તેમાં રહેલા રસાયણોની કરામત છે.
વનસ્પતિમાં ભલે શારીરિક શક્તિ ન હોય પરંતુ તેમાં રહેલા રસાયણો માણસજાત માટે ઉપયોગી છે. તેની ઔષધિય શક્તિઓ ગજબની છે. માણસજાતનાં રોગોની સારવારની મોટાભાગની દવાઓ અને ઔષધો વનસ્પતિમાંથી જ બને છે. ઘણી વનસ્પતિ બેક્ટેરિયા અને રોગજનક જંતુઓનો નાશ કરે છે. આમ વનસ્પતિ પણ અદ્ભુત શક્તિની માલિક છે.


