સજીવ સૃષ્ટિનો પ્રાણવાયુ : ઓક્સિજન
ઓ ક્સિજન રંગ અને ગંધ વિનાનો વાયુ છે. સજીવ સૃષ્ટિ શ્વાસ દ્વારા હવામાંથી ઓક્સિજન મેળવીને જીવે છે. આ ઉપરાંત ઘણા ઉધોગો, વિજ્ઞાાનના સાધનોમાં તે ઉપયોગી છે. સ્ટીલ બનાવવાની ભઠ્ઠીમાં, વેલ્ડિંગની જ્યોતમાં તેનો ઉપયોગ જાણીતો છે. ઓક્સિજન માઈનસ ૧૮૩ ડિગ્રી એ ઠરીને ભૂરા રંગનું પ્રવાહી બને છે. તેનો ઉપયોગ રોકેટનાં ઇંધણ તરીકે થાય છે.
ઓક્સિજન પૃથ્વી પર પુષ્કળ માત્રમાં છે. પૃથ્વીના ઉત્ત્પતિકાળથી તેનું અસ્તિત્વ છે. પરંતુ તેની ઓળખ ઇ.સ.૧૭૭૪ જોસેફ પ્રિસ્ટલી નામના વિજ્ઞાાનીએ કરાવેલી, લેવોઇઝિયટ નામના વિજ્ઞાાનીએ તેનું નામ 'ઓક્સિજન' રાખેલું. ગ્રીક ભાષામાં 'ઓકસી' એટલે ખાટું કે એસિડ અને જીનસ એટલે પેદા કરવું. વિજ્ઞાાનીઓ માનતા હતાં દરેક એસિડ પેદા કરવામાં ઓક્સિજન જરૂરી છે. તેથી તેનું નામ પડયું. ૧૯૦૧માં વેલ્ડિંગની શોધ થઈ. ૧૯૨૩માં અમેરિકાના રોબર્ટ ગોડાર્ડે પ્રથમવાર ઓક્સિજનનો ઉપયોગ કરી રોકેટ ઉડાવેલું. હવામાંથી ક્રાયોજેનિક ડિસ્ટીલેશન પધ્ધતિથી ઓક્સિજન છૂટો પાડી શકાય છે. આ ઓક્સિજન હોસ્પિટલોમાં ઉપયોગમાં આવે છે.
પૃથ્વીના વાતાવરણની સૂકી હવામાં ૨૧ ટકા ઓક્સિજન હોય છે. ઓક્સિજન જલનશીલ વાયુ નથી પરંતુ તેની હાજરી અન્ય જવલનશીલ પદાર્થોને ઉત્તેજન આપે છે. સળગવાની ક્રિયામાં ઓક્સિજનની હાજરી જરૂરી છે. પૃથ્વીના પેટાળમાં સિલિકોન, એલ્યુમિનિયમ, લોખંડ, કેલ્શિયમ અને ઓક્સિજનનો સૌથી વધુ જથ્થો છે.