- 12 જાન્યુઆરી, 1928ના દિવસે મણીન્દ્ર પોતાની પ્રતિજ્ઞાપૂર્તિ માટે નીકળી પડયો. ભર બપોરે બજારમાંથી પસાર થઈ રહેલા પોતાના મામા રાયબહાદુર બેનરજીને તેણે રોક્યા :'ઊભા રહો મામા, કોકોરીકેસનાં ક્રાંતિકારીઓને લાંબી સજા અને ફાંસીનો દંડ આપ્યો તેનો પુસ્કાર લેતા જાવ.'
દેશદ્રોહી મામાને ગોળીએ દેનારા યુવા ક્રાંતિકારી મણીન્દ્રનાથ બેનરજી બંગાળનો વતની હતો. અભ્યાસ માટે તે બનારસ આવલો. એ વખતે બનારસ ક્રાંતિકારી પ્રવૃત્તિનું કેન્દ્ર ગણાતું. મણીન્દ્રનાથને ત્યાંના ક્રાંતિકારીઓ સાથે સારી એવી મિત્રતા હતી. એમાંય રાજેન્દ્રનાથ લાહોડી તો તેનો સહાધ્યાયી હતો. આ અરસામાં જ કાકોરીકાંડ સર્જાયો. જેમાં ચાર ક્રાંતિકારીઓને ફાંસીની સજા તેમજ અન્ય વીસને લાંબા કારાવાસની સજા કરવામાં આવી. ક્રાંતિકારીઓને આ કઠોર સજા અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર સી.આઇ.ડી. વિભાગના ડેપ્યુટી સુપરીન્ટેન્ડેન્ટ રાયબહાદુર બેનરજી હતા. જે મણીન્દ્રનાથના મામા થતા હતા. પોતાના ક્રાંતિકારી બંધુઓને સજા કરાવનાર દેશદ્રોહી મામાને મણીન્દ્ર માફ કરવા માગતો નહોતો. એને પોતાના દુષ્કૃત્યનો યોગ્ય બદલો આપવાના મણીન્દ્રે સોગંદ ખાધા. ૧૨ જાન્યુઆરી, ૧૯૨૮ના દિવસે મણીન્દ્ર પોતાની પ્રતિજ્ઞાપૂર્તિ માટે નીકળી પડયો. ભર બપોરે બજારમાંથી પસાર થઈ રહેલા પોતાના મામા રાયબહાદુર બેનરજીને તેણે રોક્યા : 'ઊભા રહો મામા, કોકોરીકેસનાં ક્રાંતિકારીઓને લાંબી સજા અને ફાંસીનો દંડ આપ્યો તેનો પુસ્કાર લેતા જાવ.' રાયબહાદુર કંઈ સમજી ન શક્યા. જો કે એમને વધુ કાંઈ વિચારવાનો સમય જ ન મળ્યો. ત્યાં સુધીમાં મણીન્દ્રનાથની પિસ્તોલમાંથી છૂટેલી બે ગોળીઓ એના પેટમાં ધરબાઈ ગઈ હતી. મણીન્દ્રનાથની પિસ્તોલમાં ત્યારે ફક્ત બે જ ગોળીઓ હતી. એટલી ગોળી રામબહાદુરના મોત માટે પર્યાપ્ત ન બની. એને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જઈને પેટમાંથી ગોળી કાઢી નાંખવામાં આવી. રાયબહાદુર બચી ગયો. મણીન્દ્રની ઘટના સ્થળે જ ધરપકડ કરી લેવામાં આવી. તેના પર મુકદ્દમો ચલાવી બાર વર્ષની કઠોર કારાવાસની સજા સંભળાવી ફતેગઢની સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો. આ જેલમાં કાકોરી કેસના મન્મથનાથ ગુપ્ત અને લાહોર કેસના યશપાલ પણ સજા ભોગવી રહ્યા હતા. આ સાથીદારોના સહારે મણીન્દ્રનાથ જેલમાં દિવસો વિતાવવા માંડયો. છ વર્ષ તેણે જેમતેમ કાઢી નાંખ્યા. વચ્ચે જેલના નિયમભંગ બદલ કેટલીક આંતરિક સજા પણ ભોગવી ૧૪મેના રોજ તે જેલના ક્રાંતિકારીઓને રાજકેદીનો દરજ્જો અપાવવા ઉપવાસ ઉપર ઊતર્યો. સતત નવ દિવસ ઉપવાસ ચાલ્યા. ઉનાળાના દિવસો હતા. મણીન્દ્રનાથની તબિયત બગડી. તેને નિમોનિયા થઈ ગયો. જેલના અધિકારીઓએ તેની સારવારમાં લાપરવાહી બતાવી. આ યુવા ક્રાંતિકારીએ સાથીદાર મન્મથ ગુપ્તના ખોળામાં માથુ નાખીને જેલની અંદર જ પોતાના પ્રાણ છોડી દીધા.
- જિતેન્દ્ર પટેલ


