આપણા સ્વાતંત્ર્ય નાયકો .
- કિશનસિંહ ગડગજ્જ
- 'સરદાર અજિતસિંહની નજરબંદી, દિલ્હીના રકાબગંજના ગુરૂદ્વારાની દીવાલ તોડી નાખવી, બજબજમાં નિર્દોષ યાત્રીઓ પર ગોળીબાર, રોલેટ એક્ટ અને જલિયાંવાલા બાગના હત્યાકાંડે મારા મનમાં અંગ્રેજ સરકાર પ્રત્યે ઘૃણા પેદા કરી દીધી છે. ગુલામીનો ભાર હવે વધારે સમય સહન કરી શકું તેમ ન હોવાથી નોકરીમાંથી રાજીનામું આપું છું.'
'બબ્બર અકાલી આંદોલન'ના પ્રણેતા કિશનસિંહ પંજાબના વતની હતા. અંગ્રેજ સરકારમાં તેઓ હવાલદારની નોકરી કરતા હતા. જલિયાંવાલા બાગમાં થયેલા હત્યાકાંડ પછી એમનું મન અંગ્રેજો પ્રત્યે ઘૃણાથી ભરાઈ ગયું. પોતાની નોકરીજન્ય વિવશતા ઉપર દુઃખ થઈ આવ્યું. સતત ડંખતું રહ્યું, ગોળી ચલાવવાનો આદેશ ભલે અંગ્રેજ સરકારે આપ્યો હોય, પરંતુ ગોળી ચલાવનારા સિપાઈઓ તો હિન્દુસ્તાની જ હતા ને ! પોતાના દેશબાંધવો ઉપર ગોળી ચલાવતાં એમનો જીવ કેમ ચાલ્યો ? અંતે એક દિવસ એમણે અંગ્રેજ સરકારની નોકરીમાંથી રાજીનામું આપી દીધું. રાજીનામા પત્રમાં લખ્યું, 'સરદાર અજિતસિંહની નજરબંદી, દિલ્હીના રકાબગંજના ગુરૂદ્વારાની દીવાલ તોડી નાખવી, બજબજમાં નિર્દોષ યાત્રીઓ પર ગોળીબાર, રોલેટ એક્ટ અને છેલ્લે જલિયાંવાલા બાગના હત્યાકાંડે મારા મનમાં અંગ્રેજ સરકાર પ્રત્યે ઘૃણા પેદા કરી દીધી છે. ગુલામીનો ભાર હવે વધારે સમય સહન કરી શકું તેમ ન હોવાથી નોકરીમાંથી રાજીનામું આપું છું.' નોકરી છોડયા પછી કિશનસિંહ અકાલીદળમાં જોડાયા. તેમાં રહીને અસહકારના આંદોલનમાં ભાગ લીધો. પણ આ અહિંસાત્મક આંદોલન તેમને માફક ન આવ્યું. હિંસાનો સામનો હિંસાથી જ થઈ શકે એવી માન્યતાથી પ્રેરાઈ તેમણે એક સંગઠન 'ચક્રવર્તી દળ' ઊભું કર્યું. બાદમાં તેનું નામ 'બબ્બર અકાલીદળ' રાખ્યું. તેના દ્વારા ચલાવવામાં આવેલું આંદોલન બબ્બર અકાલી આંદોલન તરીકે ઓળખાયું. બબ્બર અકાલીના નામથી એક પત્રિકા પણ પ્રકાશિત કરવા માંડી. અગાઉ આવાં આંદોલનમાં સંસ્થાના સભ્યો જ ગદ્દાર પુરવાર થયા હતા. આ અનુભવ પરથી આવા ગદ્દારોને ઊગતા જ ડામી દેવાની નીતિ અપનાવી. જેને 'સુધાર આંદોલન' નામ આપ્યું. બબ્બર અકાલી દળની વધતી જતી તાકાતથી સરકારની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેના સભ્યોની ધરપકડ માટે વોરંટ કાઢવામાં આવ્યું. કેટલાંયનાં માથાં માટે ઇનામ જાહેર કરવામાં આવ્યું. તો યે આ સંસ્થાનો એક પણ કાર્યકર સરકારને હાથ ન આવ્યો. તેની કાર્યપદ્ધતિ જ અ પ્રકારની હતી. અચાનક કોઈ ગામમાં જવું. ચાલીસ-પચાસ માણસોને ભેગા કરી ભાષણ આપીને જતું રહેવું. એકલા કિશનસિંહે ત્રણસો સત્તાવીસ જગ્યાએ ભાષણ આપીને હજારો ક્રાંતિકારીઓ તૈયાર કર્યા. સરકારે હવે પોતાની જાળ વિસ્તારી. અંતે એક દિવસ કિશનસિંહ તેમાં ફસાઈ ગયા. ધરપકડ કરીને લાહોરની જેલમાં પૂરવામાં આવ્યા. મુકદ્દમો ચલાવી તેમને તથા પાંચ અન્ય સાથીદારોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા. અગિયાર જણાને આજીવન કાળાપાણીની સજા કરવામાં આવી.
- જિતેન્દ્ર પટેલ