- હરીશ નાયક
- 'એક પ્રશ્નનો જવાબ આપશો ત્યાગી ?'
- 'જડી... જડી ! મારી પેન્સિલ જડી.'
ગાંધીજી જેલમાંથી આવ્યા પછીની એ યાદગાર બેઠક હતી. પણ બેઠકમાં જબરો તરખાટ મચવાનો સંભવ હતો.
મૌલાના મહંમદઅલીએ એક પ્રવચન આપ્યું હતું. એથી બીજા સભ્યો નારાજ હતા.
એટલે બેઠક શરૂ થઈ કે તરત જ મહંમદઅલી નારાજ થઈને બોલી ઊઠયા : 'શરૂઆતમાં જ મારા ભાગ્યનો ફેંસલો થઈ જવો જોઈએ.'
તેઓ એ કહેવા માગતા હતા કે : 'હું પ્રમુખ છું. અને હવે ઊભા થયેલા મુદ્દા બાદ મારે પ્રમુખ તરીકે ચાલુ રહેવાનું છે કે કેમ ? તે નક્કી થઈ જવું જોઈએ.'
મુદ્દો જબરા વિવાદવાળો હતો.
એકદમ જ મહાવીર ત્યાગી ઊભા થઈ ગયા અને બોલવા જ લાગ્યા : 'શ્રીમાન પ્રમુખશ્રી તથા મિત્રો...'
એ શું બોલવાના છે એનો અણસાર ગાંધીજીને આવી ગયો હતો. એટલે ત્યાગી કોઈ ઠરાવ મૂકે તે પહેલાં જ તેઓ ઊભા થઈ ગયા કહેવા લાગ્યા : 'પ્રમુખશ્રી ! આ શ્રીમાન (ત્યાગી) કોઈક ઠરાવ મૂકે તે પહેલાં એમની સાથે માત્ર બે મિનિટ વાત કરવાની હું રજા માગું છું.'
'ઓર્ડર... ઓર્ડર...' પ્રમુખસ્થાનેથી મૌલાના બોલી ઊઠયા. તેઓ સ્પષ્ટ રીતે નારાજ દેખાતા જ હતા.
બીજો કોઈ ઉપાય ન જણાતાં હવે ગાંધીજીએ સીધું ત્યાગીને પૂછ્યું : 'તમને મારી સાથે વાત કરવામાં વાંધો તો નથી ને ?'
ત્યાગી કહે : 'ના.'
તરત જ પ્રમુખ એટલે કાજી જેવા મૌલાના તરફ ફરીને ગાંધીજીએ કહેવત ઉચ્ચારી :
જ્યારે હું અને એ છીએ રાજી
ત્યારે નારાજ શા માટે જણાય છે કાજી ?
ગાંધીજીની એ ઉક્તિથી સભામાં હાસ્યનું મોજું જ ફરી વળ્યું.
ત્યાગી તો દોડીને બાપુ પાસે પહોંચ્યાં અને બાપુની વાતો સાંભળવા લાગ્યા.
અક્કલ કોનામાં વધારે ?
મહાવીર ત્યાગી ઠરાવ મૂકતા હતા.
એ ઠરાવ આકરો હતો.
બાપુ ઈચ્છતા હતા કે એ ઠરાવ ચર્ચાય જ નહિ. ત્યારે ત્યાગી માત્ર ચોવીસ વર્ષના.
વાત કરવાનો સમય પણ ન હતો.
સભાનું કામકાજ ચાલુ થઈ ગયું હતું.
ગાંધીજીએ ત્યાગીને બોલાવીને કહ્યું : 'ઠરાવ પાછો ખેંચી લો !'
ત્યાગી ત્યારે જોશમાં હતાં. કહે : 'ના હું ઠરાવ તો પાછો નહિ જ ખેંચું.'
વધારે વાતને અવકાશ ન હતો એટલે ગાંધીજીએ તુક્કો શોધ્યો. પૂછ્યું : 'એક પ્રશ્નનો જવાબ આપશો ત્યાગી ?'
'પૂછો.'
'તમે શું માનો છો ? અક્કલ તમારામાં હોવાની શક્યતા વધારે છે કે મહાત્મા ગાંધીમાં ?'
ત્યાગીને જવાબ આપવો ભારે થઈ પડયો.
'જવાબ આપો,' બાપુએ આગ્રહ કર્યો.
'બેશક બાપુ. એ તો આપનામાં જ વધારે હોય ને!' ત્યાગીને કહેવું પડયું.
તરત બાપુ બોલી ઊઠયા : 'ત્યારે ઓછી અક્કલવાળાએ વધારે અક્કલવાળાની વાત માની લેવી જોઈએ સમજ્યા ?'
ત્યાગી સમજી ગયા.
બે જ મિનિટમાં જ્યારે તેઓ ઠરાવ પાછો ખેંચતા હતા ત્યારે સભા ખડખડાટ હસતી હતી.
રાજશાહી કલમ !
પેન્સિલનો ટુકડો ખોવાયો.
બાપુએ તો શોધાશોધ કરી મૂકી.
બધા શોધવા લાગ્યા. પણ એ નાનકડી પેન્સિલ હાથ લાગી નહિ.
એક ભાઈ દોડીને નવી પેન્સિલ લઈ આવ્યા.
બાપુ કહે : 'ના, એ ન ચાલે. મારે તો મારી જ પેન્સિલ જોઈએ.'
આ તો પોતાની લોખંડની જ કુહાડી માગતા પેલા છોકરા જેવી વાત હતી. એને સોનાની કુહાડી ન ખપે, રૂપાની કુહાડી પણ ન ખપે, પોતાની સીધીસાદી અને ગરીબ કુહાડી જ જોઈએ !
બાપુએ નવી મોટી પેન્સિલ ન લીધી એટલે બીજા એક ભાઈ પેન્સિલનો ટુકડો લઈ આવ્યા. તેમના મનથી કે બાપુ ટુકડાના બદલામાં ટુકડાથી રાજી થશે.
પણ બાપુએ તો સંભળાવ્યું : 'શું તમે એક ટુકડાના બદલામાં બીજા ટુકડાથી મને રાજી કરવા માગો છો ?'
પછી ઉમેર્યું : 'તમારું બાળક ખોવાય તો શું તમે બીજા બાળકથી ચલાવી લો ?'
હવે તો મામલો બરાબર જામ્યો.
જાણે કોઈ કિંમતીમાં કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય એમ બધા જ એ ટુકડો શોધવા લાગ્યા.
અંતમાં બધી જ વસ્તુ ઉથલપાથલ થઈ ત્યારે એકાએક બાપુ બોલી ઊઠયા : 'જડી... જડી ! મારી પેન્સિલ જડી.'
આંગળીના એક વેઢા જેવડો પેન્સિલનો એ ટુકડો હતો. છતાં બાપુના ચહેરા ઉપર તો ખજાનો મળી ગયાનો આનંદ હતો.
એ ટુકડો બતાવી બાપુ કહે : 'તમારે મન આ ટુકડો હશે પણ મારે મન તો એ એક કિંમતી ભેટ છે, અને કિંમતી છે પણ ખરી. મદ્રાસના એક નાના સરખા છોકરાએ મને એ ભેટ પ્રેમથી આપી છે !'
બીજી જ ઘડીએ બાપુ એ ટુકડાથી લખવા લાગ્યા. ત્યારે તેમના હાથમાં કોઈ રાજશાહી કલમ હોય એટલો આનંદ તેમને થતો હતો.


