- રાજાએ તુરંત મંત્રીને બોલાવ્યો અને પૂછયું, 'આપે સુંદર પોપટને પાંજરે પૂર્યો છે એ વાત સાચી છે?'
- ચિરાગ એચ. શર્મા (ચિરંજીવ)
વિ રાટનગર નામનું એક રાજ્ય હતું. જેનાં રાજાનું નામ જયસિંહ. રાજા ખૂબ પ્રામાણિક અને દયાળુ હતો. આ ઉપરાંત તેને પશુ-પક્ષીઓ પણ ખૂબ પ્રિય. તેનાં રાજ્યમાં પશુઓ કે પક્ષીઓ ને બંધક બનાવી રાખવા કે વધ કરવો ગુનો હતો. તેણે રાજ્યમાં કડક ફરમાન કરેલું કે જે કોઈ પશુ-પક્ષીઓ ને રંજાડશે કે વધ કરશે તેને આકરી સજા કરવામાં આવશે.
એક વખતની વાત છે. રાજાનાં મંત્રીમંડળનાં એક મંત્રીએ તેમનાં બાળકની ઈચ્છાને પૂરી કરવા એક સુંદર પોપટને પાંજરામાં પુરાવ્યો અને છુપાઈને પોતાનાં ઘરે રાખ્યો. થોડા દિવસ પછી આ વાતની જાણ રાજાને થઇ. રાજાએ તપાસ કરાવી તો ખબર પડી કે વાત સાચી છે. રાજાએ તુરંત મંત્રીને બોલાવ્યો અને પૂછયું, 'આપે સુંદર પોપટને પાંજરે પૂર્યો છે એ વાત સાચી છે?'
મંત્રી બોલ્યો, 'હા, રાજાજી બાળકને ખુશ કરવા મેં આં કામ કર્યું હતું.'
રાજાએ કહ્યું, 'શું તમને કેદની સજા કરવામાં આવે તો ગમશે?'
મંત્રીને ભૂલ સમજાઈ ગઈ. તેમણે માફી માંગી. રાજાએ પાંજરું મંગાવ્યું અને કેદ થયેલો પોપટ ઉડાડી દીધો. રાજાએ પહેલી ભૂલ સમજી માફ કરી મંત્રીને જવા દીધા. રાજ દરબારમાં રાજાની જય જયકાર ગુંજવા લાગી. મંત્રીએ માફ કરવા બદલ રાજાનો આભાર માન્યો.
બોધ
આ પૃથ્વી અને પર્યાવરણ પર દરેક જીવને જીવવાનો સમાન અધિકાર છે. આપણે દરેકને શાંતિપૂર્વક, એમને ખલેલ પહોંચાડયાં વિના જીવવા દેવા જોઈએ.


