ઐરાવત અને શૂરપદમ ! .
- હવે તું આઠ માથાળો બન્યો ખરો
રા વણને દશ માથાં હશે ખરા ? દશ-દશ માથાં હોય તો તેને ફાવે જ કેવી રીતે ? એટલે માન્યતા એવી છે કે તેનામાં દશ માથાનું જોર હશે ! એટલે જ તે દશ માથાળો કહેવાયો હશે !
બ્રહ્માને ય ત્રણ માથાં હતાં. એટલે કે તેમનામાં ત્રણ માથાની શક્તિ હશે !
વાત આપણે ઐરાવતની કરવાની છે. ઐરાવત એક વિશાળ કાયાનો હાથી હતાં. માત્ર સ્વર્ગનો રાજા ઇન્દ્ર જ તેને રાખી શકે, પામી પાંખી શકે !
ઐરાવતને કહે છે કે આઠ માથા હતાં. શક્ય છે ? આઠ માથાં સાથે કોઈ હાથી જીવી જ ન શકે! તેને જીવવાનું ફાવે જ નહિ ! હા, તેનામાં આઠ માથાનું બળ જરૂર હશે !
એ હાથી માટે કાયમ ખેંચાખેંચી રહેતી. દેવલોકોમાંથી ય કેટલાક દેવ ઐરાવત મેળવવાનો પ્રયાસ કરતા. દાનવોનો તો એક જ સૂર હતો. ઐરાવત મેળવો જ રહ્યો. એવી અનોખી, ભવ્ય, અપ્રતિમ, અનોખી શક્તિનું વળી ઇન્દ્રને શું કામ ? અમે દાનવો વિશાળ છીએ, તાકાતવાન છીએ, શક્તિશાળી છીએ, એટલે ઐરાવત તો આપણને મળવો જ જોઈએ.
એ માટે દાનવો જાતજાતની યુક્તિ પ્રયુક્તિ કર્યા કરતાં. પણ કંઈ ફાવટ આવતી નહીં ! આવડા મોટા મેરૂ પહાડ જેવા હાથીને મેળવવો કેવી રીતે ?
દાનવરાજા શૂરપદમ દરેક રીતે શૂરો અને બળિયો હતો. તેના પોતાનામાં ય કંઈક હાથીની શક્તિ હતી. અગાઉ ભલે કોઈ ફાવ્યું નહિ હોય ! હું તો મારી અદ્ભુત શક્તિથી ઐરાવતને મેળવીને જ રહીશ ! કળથી કે બળથી !
કળથી મેળવવાની કોઈ શક્યતા ન હતી. તેણે દ્વન્દ્વનો જ રસ્તો અપનાવ્યો.
ઐરાવતને પજવ્યો, હેરાન કર્યો, પરેશાન કર્યો, ઉશ્કેર્યો. એ હાથીને તેણે પોતાની સાથે લડવાની ફરજ પાડી !
ભારે લડાઈ થઈ. પકડા-પકડી, પછડા-પછડી, દાવ-પેચનો પાર નહિ. ઐરાવત બળિયો હતો. તો શૂરપદમ કંઈ જાય ? લાંબો સમય દ્વન્દ્વ ચાલ્યું. અંતમાં શૂરપદમને લાગ્યું કે હાથીના મજબૂત દાંતને પકડી લેવા જોઈએ. એ લાંબા જાડા ભારે તલવાર જેવા બે દાંત જો હાથમાં આવી જાય તો ઐરાવતને અરરર પોકરાવી શકાય.
એ દાવ તેને ફાવ્યો. તેણે ઐરાવતના બંન્ને લાંબા ગોળાકાર તીક્ષ્ણ દાંત પકડી લીધા. એ દાંત વડે તે ઐરાવતને અકળાવવા લાગ્યો.
પણ એ તો બધી ઐરાવતની ચાલ હતી.
એક વખતે ઐરાવતે પોતાના બંન્ને ધારિયા દાંત વડે શૂરપદમને પાછો ધકેલ્યો. પાછળ પાછળ પાછળ ! પછી એકદમ બંન્ને દાંત દાનવના દેહમાં ખૂંપાડી દીધા. એવા કસી દીધા કે શૂરપદમ ચૂરપદમ થઈ ગયો.
દાનવરાજે જોરથી ચીસ પાડી. એ મૃત્યુચીસ સાંભળી તેના સાત કદાવર સાથીઓ દોડી આવ્યા.
ઐરાવતે શૂઅદમને ફસાવ્યો તો હતો જ. ઉછાળીને ફેંક્યો પેલા સાતે શેતાનો પર.
એક સાથે સાતે દસ્યૂ પર જાણે પહાડ આવી પડયો. પડયા. બધાં જ ઉઠી ઉઠીને ઐરાવત સાથે લડવા આવવા લાગ્યા.
ઐરાવતે એક એક કરીને બધાં શત્રુઓને ગિલોલમાંથી ફેંકાતા પથ્થરની જેમ એવા ફેંક્યા કે સાતે સાત વત્તા શૂરપદમ ! આઠે આઠે મહાદાનવોનો કચ્ચાધાણ કાઢી નાખ્યો .
દાનવોની ઐરાવત મેળવવાની આશા કાયમ માટે ધૂળચાટી ગઈ. જ્યારે ઇન્દ્રને ખબર પડી ત્યારે ઇન્દ્રએ ઐરાવતને બિરદાવતા કહ્યું : 'હવે તું અષ્ટમાથાળો ખરો. હવે તારૂં કોઈ નામ લેશે નહિ અને મારૂં પણ નહિ, સ્વર્ગનું પણ નહિ જ ! '
- હરીશ નાયક