Get The App

માણસની કિંમત એક કોડીની

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
માણસની કિંમત એક કોડીની 1 - image


- પોતાની કિંમત પોતે આંકી શકો તો જ તમારી કિંમત સાચી અંકાય,તમારી જાતની કિંમત બીજા પછી કરશે. પહેલાં તમે કસોટી કરો.

- મૂળા દેખાય છે પણ આ ઋતુમાં ખાય કોણ?

- શાકપીઠમાં જાઓ અને શાક જોઈ આવો

- હરીશ નાયક

રાજા ભોજની સભા જામી છે.

મગરના મહાજનો બેઠા છે.

પ્રજાજનો ગોઠવાઈ ગયા છે.

પંડિતો, કવિઓ, કલાકારો અને બુદ્ધિમાનો પણ પોતાની જગાએ બિરાજ્યા છે.

કવિ કાલિદાસ રાજાની પાસે જ જમણી બાજુએ આસને બેઠા છે.

રાજકારણની વાતો પૂરી થઈ. વિદ્યા વિનોદ અને આનંદ ચાતુરીની વાતોનો આરંભ થયો.

આજ રાજા ભોજે એકાએક પહેલો જ પ્રશ્ન પૂછી નાખ્યો કે : માણસની કિંમત શું?

કોઈ કહે : માણસ તો અમૂલ છે. 

કોઈ કહે: બધા કરતા ચડે એટલી. માણસ તો બધાં  પ્રાણીઓમાં મહાન છે. એટલે એની કિંમત પણ એના કરતાં વધે.

રાજા ભોજે કવિ કાલિદાસને પૂછ્યું : કહો કવિરાજ, તમારે મન માણસની કિમત કેટલી?

કવિ બોલ્યા : એક કોડીની.

રાજા અને આખી સભા દંગ થઈ. એક કોડીની કિંમત શી રીતે?

કવિ બોલ્યા : કિંમત કરી બતાવું કે કહી બતાવું?

રાજા ભોજ બોલ્યા : કરી બતાવો.

સભા પૂરી થઈ. થોડા દિવસો વીતી ગયા.

રાજા ભોજ અને કવિ કાલિદાસ બાગમાં બેઠા છે.

એવામાં કોઠારના કોઠારી અને તોળનાર અને મુકનાર મહેતો દૂર દેખાયા. કવિ કાલિદાસે તેમને બોલાવ્યા. મહેતાને રોકી રાખ્યા અને કોઠારીને જવા દીધા. કવિ કાલિદાસે મહેતાને કહ્યું કે, તમે શાકપીઠમાં જાઓ અને શાક જોઈ આવો.

મહેતાજી ગયા. જોઈને પાછા આવ્યા.

કવિએ પૂછ્યું : કેમ ભાઈ, શાકપીઠમાં શાક કેટલા કેટલા જોયા?

મહેતાજી કહે : ઘણા ઘણાં પાર વિનાનાં શાક છે.

કવિ કહે : ભીંડાનો શું ભાવ હતો?

મહેતાજી કહે : એ તો મેં પૂછ્યું નથી.

મહેતાજીના બાજુમાં બેસાડી દીધા.

સિપાઈને મોકલ્યો અને કોઠારીને બોલાવ્યા.

કવિએ કોઠારીને કહ્યું કે શાકપીઠમાં જાઓ અને શાક જોઈ આવો.

કોઠારી ગયા. જઈને પાછા આવ્યા. જરા વાર લાગી.

કવિએ પૂછ્યું : કહો કોઠારીજી! શું જોઈ આવ્યા?

કોઠારી કહે : આજ નવી જાતનું એક જ શાક આવ્યું છે. ચોળાફળી, ભાવ ૮ આને શેર છે. ભીંડા છે પણ ખાવા જેવા નહિ. ચીભડાનો પાર નથી. એક આને મણ કારેલાં જરા મોંઘા છે. શરદઋતુ ચાલે છે. તેથી તાવનો રોગચાળો પણ વધ્યો છે. લોકો કારેલાંનું શાક વધારે વાપરે. વેંગણ હજી આવતાં નથી. મૂળા દેખાય છે પણ આ ઋતુમાં ખાય કોણ?

કવિએ કહ્યું : બસ, હવે જાઓ.

મહેતાજી અને કોઠારી ગયા.

કવિએ રાજા ભોજને કહ્યું : રાજાજી! મહેતાજી એક કોડીનો માણસ અને કોઠારી લાખ રૂપિયાનો માણસ. શાકપીઠ જોઈ આવવાનું કહ્યું એટલે મહેતાજી શાકપીઠ જોઈને પાછા આવ્યા. શાકપીઠ જોવાનું એટલે જરા બુદ્ધિ વાપરવી જોઈએ કે શાકપીઠમાં શાક વિશે માહિતી લાવવાની. તે કામ કોઠારીએ કહ્યું : એ સમજદાર છે. એનામાં આવી બુદ્ધિ છે. એને જ્ઞાાન છે કે, કયું શાક કેમ મોંઘું છે અને કયું શાક વધારે કેમ વપરાય છે. તેની બધી માહિતી આપી. જે માણસમાં સમજવાની શક્તિ નથી, બુદ્ધિનો ઉપયોગ નથી કરતા અને જાણવાનું જાણી નથી લેતા તે માણસ એક કોડીની કિંમતનો.

રાજા ભોજ પ્રસન્ન થયા.

કવિને ધન્યવાદ આપ્યા.

Tags :