For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુરુષાર્થનું મહત્વ આપણે સમજીએ છીએ?

Updated: Jun 26th, 2021

Article Content Image

- વિચાર વિહાર- યાસીન દલાલ

- આપણે સામેથી આવતી મુસીબતને જોઈને જ શરણે થઈ જઈએ, અને પછી નસીબને, વિધાતાને દોષ દઈએ ત્યારે શું સમજવું?

ઘણીવાર પ્રશ્ન થાય છે કે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ અને કાળી મજૂરી કરીએ છીએ એ સારૂં કે બધું નસીબ ઉપર છોડીને માથે હાથ મૂકીને બેઠા રહીએ એ સારૂં. ખરેખર તો મહેનત કરવી સારી. પુરૂષાર્થ એટલે મહેનત અને માથે હાથ રાખીને બેઠા રહીએ અને બધું ભગવાન ઉપર છોડી દઈએ એ નસીબ. સવાલ એ છે કે નસીબ ચડે કે મહેનત ચડે આપણો દેશ કૃષિ પ્રધાન છે. અને આ દેશનું ભવિષ્ય ખેડૂતો નક્કી કરે છે. વરસાદ ના આવે તો ખેડૂત માથે હાથ દઈને બોલે છે કે આ વખતે આપણા નસીબ સારા નહોતા.

હમણાં એક લોકડાયરામાં એક વકતાએ એક સરસ વાત કહી. આપણે રસ્તા પર ચાલ્યા જતા હોઈએ અને કેળાની છાલ પર પગ આવી જાય એ આપણી કઠણાઈ કહેવાય. પણ, એ પછી આપણે ત્યાંથી ઉભા જ ન થઈએ. જમીન પર બેઠા રહીએ અન ેપછી પ્રારબ્ધને દોષ દેતા રહીએ એ આપણી મૂર્ખાઈ કહેવાય.

આપણું જીવન એ સરસ મજાની ફૂલોની પથારી નથી. એમાં માર્ગમાં અનેક વિઘ્નો આવે, અંતરાયો આવે, મુસીબતો આવે, અને એ બધાનો સામનો આપણે પૂરા પુરુષાર્થથી, અડગ નિશ્ચય બળથી કરવો પડે. અને બદલે આપણે સામેથી આવતી મુસીબતને જોઈને જ શરણે થઈ જઈએ, અને પછી નસીબને, વિધાતાને દોષ દઈએ ત્યારે શું સમજવું?

પ્રયત્ન કરવો નહીં, અને કરવો તો દિલચોરીથી કરવો, એ આપણી મોટી નબળાઈ છે. અને પછી કોઈ ટકોર કરે ત્યારે આપણી પાસે જાતજાતની એલિબી હાજર જ હોય છે. 'મારા નસીબમાં નહોતુંસ', 'કોશિષ તો બહુ કરી, પણ વિધાતાએ લેખ જ જુદા લખેલા,' વગેરે વગેરે લુલા બચાવ આપણી પાસે હાજર જ હોય છે. 

આજના બધા વિધિ ધર્મો, સંગઠીત ધર્મો, જયારે ઉદભવ્યા ત્યારે એમના મોટા ભાગના નિયમો અને આદેશો પાછળ શુભ ભાવના હતી. આ બધા જ ધર્મો પોતપોતાના સમય અને સ્થળના સંજોગોમાંથી જન્મેલાં હતાં. એ સંજોગો બદલાય એટલે કેટલાક નિયમો આપોાપ જ 'આઉટ ઓફ ડેઈટ' થઈ જાય. બજારમાંથી મળતી બધી જ દવાઓ ઉપર 'એકસપાયરી ડેઈટ' લખેલી હોય છે. સદીઓ પહેલાં ઘડાયેલા સંખ્યાબંધ આદર્શો ઉપર આવી 'એકસપાયરી ડેઈટ' લખવાની જરૂર હતી, પણ આવી તારીખ છાપેલી ન હોય એટલે એ આપોઆપ શાશ્વત બની જતા નથી.

આપણે આ મહાન ભૂલ કરી અને પરિણામે મહાન ગુંચવાડાઓના ચક્રવ્યુહમાં સરી પડયા. જે વૈજ્ઞાાનિકોએ પહેલીવાર જાહેર કર્યું કે પૃથ્વી ગોળ છે અને સૂર્યની આસપાસ ફરે છે અને એ સમયના ધર્મચક્ર પરિવર્તકોએ આકરી સજા કરી હતી. પોપ પોલે સદીઓ પછી એ વાતનો સ્વીકાર કર્યો કે વૈજ્ઞાાનિકોને એ સમયના ધર્માચાર્યોએ કરેલી સજા એ મોટી ભૂલ હતી! પણ  કયારેક ચા કરતાં  કીટલી વધુ ગરમ હોય છે. પોપ પોલના હજારો અનુયાયીઓને હજી આમા વૈચારિક જડતા જેવો અસાધ્ય કોઈ રોગ નથી, અને માનસિક ગુલામી જવી બૂરી કોઈ ગુલામી નથી. એસ્પ્રો ખાવાથી માથુ ઉતરી જાય, પણ મિથ્યા આદર્શોની આધાશીશી ઉતારવા માટેની કોઈ ગોળી બજારમાં મળતી નથી.

ડગલે ને પગલે આપણા આસપાસ પુરૂષાર્થ ભૂલીને બધું પ્રારબ્ધ ઉપર છોડી દેવાની મનોવૃત્તિ હવે મહાવ્યાધિનું સ્વરૂપ લઈ રહી છે. આપણા ગામડાનો ખેડૂત દુકાળ પડે કે વરસાદ ઓછો પડે ત્યારે માથે હાથ દઈને નિસાસા નાખીને કહેશે, 'આપણે કંઈક પાપ કર્યા છે, એની કુદરત સજા આપે છે.' આમ બોલે ત્યાર ેએની નજર આકાશ તરફ હોય છે. આકાશ તરફ આપણી આંખ હોય ત્યારે આપણી બુધ્ધિ જાણે થીજી જાય છે. વિચારશક્તિ બુઠ્ઠી થઈ જાયછે. આકાશમાં ખોડાઈ ગયેલી આપણી આંખ આપણને કહે છે, બધુ ઉપરથી જ નક્કી થાય છે. આપણા હાથમાં કઈ જ નથી. આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ, પણ ઉપરવાળાની મંજુરી વિના બધુ જ વ્યર્થ છે. 

આપણા હાથમાં શું ખરેખર જ ંકઈ નથી? અને, ઉપરવાળો શું માણસને પાણી કે અનાજ મળે એવી સીધી સાદી, અસ્તિત્વ ટકાવનારી વાતમાં પણ પોતાની મંજૂરી આપવામાં હિચકિચાટ કરશે? શા માટે? માણસને ભૂખે મારવામાં ઉપરવાળાને શો રસ હોય?

પણ, આવા પ્રશ્નો આપણે કરતા નથી. આપણે હવે પ્રશ્નો કરવાનું છોડી દીધું છે. વિચારવાનું છોડી દીધું છે. જો વિચારતા હોત તો જવાબ મળી જાત. મુશ્કેલીમાંથી માર્ગ નિકળી આવત વિચારીએ તો ખબર પડે કે પાણી વિનાના કૂવાને પણ 'રીચાર્જ' કરી શકાય છે. ઓછો વરસાદ આવે તોય વાંધો નહીં. જે બે પાંચ ઈંચ વરસાદ પડે એના એક એક ટીપાને સાચવવાનું શક્ય છે. કુવાની બાજુમાં એક ખાડો ખોદો, એમાં પાઈપલાઈન લગાવો. ખાડાને કૂવો ભરાશે અને આજુબાજુની જમીનનું તળ ઉંચું આવશે.

આ તો એક તદ્ન નાનો, મામુલી દાખલો થયો. આ એક નમૂનો છે. પણ, આપણે વિચારવાની ટેવ પાડીએ, પ્રશ્નો પૂછવાની ટેવ પાડીએ તો આમ ઢગલા બંધ નવી માહિતી, નવા વિચાર, નવી ટેકનિકની માહિતી મળી આવે.

આપણી કેટલીક જૂની કહેવતો જૂની હોવા છતાં એમાં કેટલાક સનાતન સત્યો સમાયેલા હોય છે. આવી એક કહેવત છે. 'સમય વર્તે સાવધાન' સમયની સાથે તાલ મિલાવે એ વ્યક્તિ, એ સમાજ, એ સંસ્થા અને એ દેશ ઉંચા આવે. આપણે સૌ સમયની સાથે રહેવામાં નિષ્ફળ નીવડયા છીએ. 

સમય મુજબ ધાર્મિક રીતરિવાજો બદલાવા જોઈએ, સમય મુજબ રૂઢિઓ બદલવી જોઈએ. જે રૂઢિઓ કાળક્રમે એનું મહત્વ ગુમાવી બેઠી હોય એને તિલાંજલી આપવી જ પડે. એમ.એન.રોયે સાચુ કહ્યું છે કે, માણસ વ્યક્તિગત રીતે અભિમાની હોય એ ચલાવી લેવાય. પણ પોતાની જ્ઞાાતિ કે પોતાનો ધર્મ સર્વશ્રેષ્ઠ છે એમ એ માનવા લાગે તો એમાંથી કલેક્ટિવ ઈગો (સામૂહિક અહમ) જન્મે છે. એમાંથી જ કોમ કોમ અને બે જ્ઞાાતિઓ કે બે જૂથો વચ્ચે સામુહિક અથડામણ થાય છે. 

પાકિસ્તાનની રચના ધર્મના આધારે થઈ, પણ હજી સુધી ત્યાંના ચાર પ્રાંતોની પ્રજા શાંતિ અને સુખચેનથી જીવી શક્તી નથી. ઈરાક હોય કે ઈરાન હોય, સાઉદિ અરેબિયા હોય કે મોરક્કો હોય બધા પ્રશ્ન ધાર્મિક રૂઢિચૂસ્તતાનો છે. આપણે બિનસાંપ્રદાયિક બંધારણ અપનાવ્યું પણ હજી સુધી આપણી પ્રજામાં ઉદારમતવાદી વલણ ઉતર્યું નથી. માત્ર બંધારણમાં સમાનતા અને એકતા શબ્દ લખવાની સમાનતા આવી જતી નથી. એને માટે આપણું માનસિક વલણ પાયાથી બદલવું પડશે.

આરબ દેશો ભલે પોતાની જાતને ઈસ્લામિક કહેવડાવે, પણ એમણે તેલના કૂવાઓમાંથી પેટ્રોલ કાઢવા માટે પશ્ચિમના નિષ્ણાંતોને બોલાવવા પડે છે અને મોટાભાગના શ્રમિકો ભારતથી લાવવા પડે છે. આજના બદલાતા વિષયમાં કોઈ દેશને કોઈ એક ધર્મ કે કોઈ એક વિચારધારા ઉપર અવલંબન રાખવું પોસાય તેમ જ નથી. વૈશ્વિકરણમાં આ જ સાચો તકાજો છે.

ધર્મ કે ઉપવાસના પધ્ધતિને આધારે માણસ સંગઠન રચે છે, એની કોમ કે જ્ઞાાતિ બને, અને પછી એ એકમેકના સહકારને બદલે ઘર્ષણમાં પરોવાય અને આવા કહેવાતા ક્રિયાકાંડોના રક્ષણ માટે લડાઈઓ કરે. એ વિજ્ઞાાનના વિકાસની હરણફાળના યુગમાં અત્યંત બેહુદુ લાગે છે.

આપણે દિવાળી આવે એટલે ઘરનો સાફસુફ કરીએ છીએ. કચરો અને જાળાં દૂર કરીએ છીએ. દરરોજ આપણા ઘરના ફર્નિચર યંત્રો, ટી.વી. રેફ્રીજરેટર પર જામી ગયેલી ધૂળ દુર કરીએ છીએ. પણ, મગજનમાં સદ્દીઓ પુરાણા વહેમો અને માન્યતાઓના જામી ગયેલા થરની બિલકુલ પરવા જ કરતા નથી! ઘરની ગંદકી તો સ્થૂળ અને ભૌતિક છે, પણ મગજની ગંદકી તો માનસિક છે અને ભારે નુકસાનકારક નીવડી શકે છે.

મનમાં સતત બહારના વાતાવરણથી ચીલાચાલુ માન્યતાઓ, પૂર્વગ્રહો અને રૂઢિઓની ધુળ દાખલ થતી રહે છે. એને રોકવા માટેનું કોઈ ફિલ્ટર હજી શોધાયું નથી, પણ આપણી વૈચારિક દ્રષ્ટાંતો અને ભય તેમજ લાલચ મિશ્રિત ધર્મ આદેશોને એકવાર મનમાં પ્રવેશવા દીધા પછી એને હટાવવામાં નાંકે દમ આવી જશે.

એકવાર આવી ધૂળ અને આવો કચરો જામી જાય પછી એને ઉખેડવા માટે વૈચારિક યજ્ઞાો પણ ઓછા પડે. થોડું પણ ખુલ્લુ મન હોય એવા માણસના મનનો કચરો દૂર થવાની શક્યતા રહે છે. પણ એકવાર મગજ અને મનના દરવાજા બંધ થયા, પછી બહારના તાજા વિચારો અંદર આવશે નહિં. અને અંદરની ધૂળ બહાર નીકળશે નહીં. ઘરમાં જેમ દવાની અવરજવર માટે 'વેન્ટલેશન'ની ચિંતા કરીએ છીએ, એમ મગજના 'વેન્ટીલેશન'નું ધ્યાન રાખીએ તો વિચારોની સ્થગિતતાના ગુલામ બનવાના ભયમાંથી નીકળી જઈએ.

Gujarat