For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાપીના ડુંગરામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી

Updated: May 22nd, 2023

Article Content Image

- આગને પગલે આસપાસના લોકોના જીવ તાળવે ચોટી ગયા : ત્રણ ક્લાકની જહેમત બાદ આગ કાબુમાં આવી

વાપી,તા.22 મે 2023,સોમવાર

વાપીના ડુંગરા ગામે પટેલ ફળિયામાં આવેલા ગોડાઉનમાં ગઇકાલે રવિવારે મધરાતે આગ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી. આસપાસમાં રહેતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. લાશકરોએ ત્રણ ક્લાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

પ્રાપ્ત માહિતિ અનુસાર વાપીના ડુંગરા ગામે પટેલ ફળિયામાં જયેશ પટેલનું ભંગારનું ગોડાઉન આવેલું છે. ગઇકાલે રવિવારે મધરાતે અચાનક ગોડાઉનમાં આગ સળગી ઉઠી હતી. જોતજોતામાં આગે આખા ગોડાઉનને લપેટમાં લઇ લેતા લોકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. ગોડાઉન નજીક રહેતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. આગની જ્વાળા આકાશમાં દૂર દૂર સુધી ફેલાય જતા લોકોમાં ગભરાય મચી ગયો હતો. 

આગને પગલે વાપી પાલિકા, નોટિફાઇડના પાંચથી વધુ બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લાશકરોએ આગને કાબુમાં લેવા કવાયત આદરી હતી. લગભગ ત્રણ ક્લાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. ઘટનાને પગલે પોલીસ પણ દોડી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે વાપી તથા આસપાસના વિસ્તારોમાં આવેલા ભંગારના ગોડાઉનોમાં સમાયંતરે આગના બનાવો વધારો થઇ રહ્યો છે. આ પ્રકારના બનાવોને લઇ લોકોના જીવ સામે ખતરાની દહેશત પણ વર્તાઇ રહી છે. છતાં તંત્ર દ્ધારા ભંગારીયાઓ સામે કોઇ નક્કર કાર્યવાહી કરાતી નથી. આગના બનાવો બાદ પોલીસ દ્ધારા ગુનો દાખલ કરી સંતોષ વ્યક્ત કરાઇ રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્ધારા ગેરકાયદે ભંગારના ગોડાઉન અંગે ગંભીરતાથી નક્કર પગલા ભરવા આવે તે જરૂરી છે. નહીતર આ પ્રકારના બનાવો ભવિષ્યમાં પણ બનતા રહેશે અને લોકોએ જ ભોગ બનવું પડશે એ નકારી શકાય તેમ નથી.

Gujarat