Get The App

ઉમરગામના સોળસુંબા ગ્રામ પંચાયતના વર્તમાન અને માજી સરપંચ, તલાટી કમમંત્રી સામે રૂ.3.50 કરોડની ઉચાપત અંગે ગુનો નોંધાયો

Updated: Jul 13th, 2023

GS TEAM


Google News
Google News
ઉમરગામના સોળસુંબા ગ્રામ પંચાયતના વર્તમાન અને માજી સરપંચ, તલાટી કમમંત્રી સામે રૂ.3.50 કરોડની ઉચાપત અંગે ગુનો નોંધાયો 1 - image

image : Facebook

- સરકારી ગૌચરણની જમીનમાં અને હાટ બજારમાં પરવાનગી વિના દુકાનો તાણી બાંધી હરાજી કરી રૂ.3.50 કરોડ ઉઘરાવી લીધા હતા

- માજી સરપંચ સહિત ત્રણેયે સરકારી આવકના નાણાં સ્વભંડોળમાં જમા કરાવવાના બદલે બેંકમાં અલાયદુ ખાતુ ખોલાવી આખો ખેલ કર્યો હતો

વાપી,તા.13 જુલાઈ 2023,ગુરૂવાર

ઉમરગામના સોળસુંબા ગ્રામ પંચાયતના સરપંચ, માજી સરપંચ અને તત્કાલિન તલાટી કમમંત્રી સામે રૂ.3.50 કરોડની ઉચાપત, છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યા અંગે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. માજી અને વર્તમાન સરપંચે કોઈપણ જાતની પરવાનગી વિના સત્તાનો દુરઉપયોગ કરી સરકારી ગૌચરણની જમીનમાં શોપિંગ સેન્ટર તથા હાટ બજારમાં દુકાનો ઉભી કરી ગેરકાયદેસર રીતે ગ્રાહકોને દુકાનો ફાળવી ખોટી રીતે નાણાં મેળવી રસીદ આપ્યા બાદ નાણાં પંચાયતના ખાતામાં જમા કરાવ્યા ન હતા. 

ઉમરગામના સોળસુંબા ગ્રામ પંચાયતના માજી સરપંચ અમિત મણીલાલ પટેલ, વર્તમાન સરપંચ બળદેવ જશુભાઈ સુરતીએ સત્તાનો દુરઉપયોગ કરી પંચાયતની સામાન્ય સભામાં ઠરાવો કરી સરકારી ગૌચરણ જમીનમાં શોપિંગ સેન્ટર અને ગ્રામ પંચાયત સંચાલિત હાટ બજારમાં પતરાવાળી દુકાનો ઉભી કરી કોઈપણ પ્રકારની સક્ષમ અધિકારી કે સંબંધિત વિભાગ પાસેથી મંજુરી મેળવ્યા વિના ગેરકાયદેસર દુકાનો ફાળવી દેવામાં આવી હતી. દુકાનધારકો પાસેથી નાણાં પણ વસુલ કરવામાં આવ્યા હતા. લગભગ 3.50 કરોડની રકમ વસુલ કરાયા બાદ પણ પંચાયત કચેરીમાં જમા કરાવાયા ન હતા. 

માજી સરપંચ અમિત પટેલ દ્વારા કરાયેલી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે વિવાદ સાથે ગંભીર આક્ષેપો પણ કરાયા હતા. એટલું જ નહીં પણ દુકાનદારોને સત્ય માહિતીની જાણકારી થતાં અધિકારી સમક્ષ નાણાં પરત કરવા રાવ પણ કરાઈ હતી. આ સમગ્ર મામલે હાથ ધરાયેલી તપાસ દરમિયાન માજી સરપંચ અમિત પટેલ, વર્તમાન સરપંચ બળવંત સુરત અને તત્કાલિન તલાટી કમમંત્રી સુધિર પટેલના મેળાપીપણામાં દુકાનધારકોને નાણાંની બોગસ રસીદ આપી નાણા સ્વભંડોળ ખાતામાં જમા કરાવવાને બદલે સોળસુંબા ગ્રામ પંચાયત બજારના નામે એચડીએફસી બેંકમાં ખાતુ ખોલાવી હરાજીના નામે ઉઘરાયેલા રૂ.3.50 કરોડ જમા કરાવી સરકારી મિલકતનો ગેર વહીવટ કરાયો હતો. ત્રણે જવાબદારોએ સરકારને આર્થિક નુકશાન કરી ઉચાપત, છેતરપિંડી, વિશ્વાસઘાત કર્યો હતો. 

હરાજી મારફતે ઉઘરાવેલી રકમ અંગે કોઈ રોજમેળમાં પણ હિસાબ રાખવામા આવ્યો ન હતો. આવક સામે ખર્ચ બાબતે પણ કોઈ રેકર્ડ રાખવામાં આવ્યો નહી હોવાનો તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરાયેલી તપાસમાં બહાર આવ્યું છે. સાથે ત્રણેય શખ્સોએ એક બીજાની મદદગારીમાં સંયુકત સહીથી બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી ઉચાપત કરી હતી. આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી અક્ષયસિંહ રાજપૂતે ઉમરગામ પોલીસમાં અમિત પટેલ, બળવંત સુરતી અને સુધિર પટેલ સામે ફરિયાદ કરતા પોલીસે આઈપીસી 406, 409, 420, 465, 467, 468, 471 મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.


Tags :