પાલનપુર, તા.5
બનાસકાંઠા જિલ્લાના મોટા
વેપારી મથક અને હાર્દસમાં થરાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા મોટો પડકાર હતો. ત્યારે
અકસ્માત જેવી ઘટનાઓ પુનઃ ન બને એ માટે થરાદની સ્વૈચ્છીક સંસ્થાઓની માંગણી અને
જિલ્લા સાંસદ સભ્ય દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયમાં રજુઆત કરી હતી.
જેને લઈ અંતે સરકાર દ્વારા માંગણી સ્વીકારવામાં આવતાં ૩૯.૭૪ કરોડના ખર્ચે ફોરલાઈન
માર્ગને મંજૂરી મળી છે.
થરાદ શહેરની મધ્યમાંથી પસાર
થવું વાહન ચાલકો માટે માથાના દુઃખાવા સમાન
બન્યું છે. અહીં ભારેવાહનોની અવરજવર અને ગામડાઓમાંથી આવતા વાહનોથી ભારે ટ્રાફિક
સર્જાતો હતો. તો વળી થરાદના માર્કેટયાર્ડમાં માર્ચ મહિના પછી ખેડૂતો જીરું, એરંડા, રાયડુ લઈને આવતાં હોવાથી છેક રાજસ્થાન
સુધીનું ટ્રાફિક થરાદ સુધી રહે છે.ત્યારે થરાદ ચારસ્તાથી માર્કેટ સુધી વારંવાર
અકસ્માત જેવી ઘટનાઓ બનતી હોય છે. થરાદની
વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા મુખ્ય રોડને ફોરલાઈન બનાવવાની માંગણી કરી હતી. આથી
સાંસદ સભ્ય પરબતભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરીવહન મંત્રાલય થરાદ શહેરનો
અતિમહત્વપૂર્ણ માર્ગનો બજેટમાં સમાવેશ કરતાં રૃ.૩૯.૭૪ લાખનાં ખર્ચે થરાદ
માર્કેટયાર્ડથી દુધશીત કેન્દ્ર સુધી ફોરલાઈન બનાવવાની કામગીરીઓ હાથ ધરવામાં આવી
છે.જેથી શનિવારે પણ રેફરેલ ત્રણ રસ્તા નજીક નડતરરૃપ દબાણો અને વર્ષોથી નડતરરૃપ
વૃક્ષોને હટાવવામાં આવ્યા હતા.અંતે સરકાર દ્વારા આ રોડ પહોળો કરવાની કામગીરીઓને
લઈને શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે.


