સંપૂર્ણ લોકડાઉનમાં દુકાનો ખુલ્લી રાખનાર વેપારીઓ સામે ગુનો
- ડ્રોનની મદદથી માસ્ક વગર ફરતાં લોકો સામે પણ કાર્યવાહી
ગાંધીનગર,તા. 15 મે 2020, શુક્રવાર
ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં હાલ સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિ છે ત્યારે આવા સમયે દુકાનો ખુલ્લી રાખીને વેપાર કરનાર વેપારીઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે. એટલું જ નહીં માસ્ક વગર ફરતાં લોકોને પણ ડ્રોનની મદદથી ઝડપી પાડયા છે. તો ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં બિનજરૂરી રીતે બહાર ફરતાં ર૦થી વધુ લોકો સામે જાહેરનામાં ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
ગાંધીનગરમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધવાના કારણે દૂધ અને મેડીકલ સ્ટોર સિવાય તમામ દુકાનો બંધ રાખી સંપૂર્ણ લોકડાઉનનું પાલન કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ આવી સ્થિતિમાં પણ કેટલાક વેપારીઓ દ્વારા દુકાનો ખુલ્લી રાખી વેપાર કરવામાં આવતો હતો. ત્યારે પોલીસ દ્વારા આવી દુકાનો ખુલ્લી રાખનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
જે અંતર્ગત સે-૧ર ખાતે ગણેશ પાર્લર નામની દુકાન ખુલ્લી રાખનાર અને માસ્ક નહીં પહેરનાર વસંતભાઈ શંકરભાઈ પટેલ, સાદરા મોતીપુરા ખાતે કરીયાણાની દુકાન ખુલ્લી રાખનાર કનુભાઈ ભીખાભાઈ પટેલ, રૂપાલ પાસે થેલામાં ગુટકાનું વેચાણ કરતાં નિલ્પેશકુમાર ઉર્ફે મોટલો રમેશભાઈ પટેલ, આલમપુર ગામમાં પાન પાર્લર ખુલ્લુ રાખનાર ધનાજી કેશાજી સોલંકી, સે-ર૬ ગ્રીન સીટી ખાતે શાકભાજીની લારી કાઢનાર રામાભાઈ બબાભાઈ દંતાણી અને સે-રરમાં પંચદેવ મંદિર પાસે વિજય કિશનભાઈ દંતાણીને ઝડપી પોલીસે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં બિનજરૂરી રીતે બહાર ફરતાં લોકો સામે પણ કાર્યવાહી કરી છે.
જેમાં સે-૧રમાંથી એક, વાવોલમાંથી બે, રૂપાલમાંથી એક, ડભોડામાંથી બે, વલાદમાંથી બે, ચિલોડા સર્કલ પાસેથી એક, ચેખલારણીમાંથી બે, આલમપુર ગામમાંથી ચાર, માધવગઢમાંથી એક અને દશેલા ગામમાંથી બે લોકોને ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે. લોકડાઉન સંદર્ભે હજુ પણ છુટછાટમાં કોઈ નિર્ણય લેવાયો નથી ત્યારે પોલીસ આ લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા કામ કરી રહી છે.