Get The App

આદીવાડામાં 15થી વધુ ઘર અને દુકાનોના વીજ ઉપકરણો બળી ગયાં

- ધડાકાભેર વીજળી પડતાં દોડધામ મચી ગઈ

Updated: Sep 10th, 2019

GS TEAM

Google News
Google News
આદીવાડામાં 15થી વધુ ઘર અને દુકાનોના વીજ ઉપકરણો બળી ગયાં 1 - image

ગાંધીનગર,તા. 10 સપ્ટેમ્બર 2019, મંગળવાર

રાજ્યના પાટનગરમાં સોમવારે મોડી સાંજ બાદ ભારે વીજકડાકા અને ભડાકા વચ્ચે વરસાદ શરૂ થયો હતો. ત્યારે આ વરસાદ સમગ્ર રાત્રી દરમિયાન ચાલુ રહ્યો હતો અને મંગળવારે અવિરત ચાલુ રહેલાં વરસાદમાં શહેર સમાવિષ્ટ આદીવાડા ગામમાં વીજળી પડી હતી. ગામમાં આવેલા ઘરો અને દુકાનો ઉપર વીજળી પડવાના કારણે સ્થાનિક રહિશો ભયભીત બની ગયા હતા અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

સમગ્ર ગુજરાતમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોટાભાગના જિલ્લા પાણીથી તરબતર થઇ ગયા હોય તેમ મેઘરાજા મહેર કરી રહ્યાં છે. ત્યારે રાજ્યના પાટનગર ઉપર પણ છેલ્લા બે દિવસથી વરસાદની મોસમ તેના અંતિમ રાઉન્ડમાં પુર્ણરૂપે ખીલી હોય તેમ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે.

રવિવારથી શરૂ થયેલી વરસાદની અવિરત ગતિ મંગળવાર સુધી ચાલુ રહેતાં છેલ્લા ત્રણ દિવસમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે ઘણા વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓ પણ બની હતી. તેમાં ગાંધીનગર શહેરમાં સમાવિષ્ટ આદીવાડા ગામમાં સોમવારે રાત્રીના સમયે વીજળી ત્રાટકી હતી.

જેના પગલે ગામમાં આવેલા ૧૫ જેટલાં  ઘરો અને દુકાનોમાં અસર જોવા મળી હોય તેમ વીજ ઉપકરણો બળી ગયા હતા. ત્યારે ગ્રામજનો પણ વીજળી પડવાના કારણે ગભરાઇ ગયા હતા અને થોડા સમય માટે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. વીજળી પડતાં તેની અસરથી ટીવી, પંખા તેમજ સેટઅપ બોક્સ સહિત અન્ય ઉપકરણો બળી જવાના કારણે ગ્રામજનોને પણ નુકશાન વેઠવું પડયું હતું તો ઘણા ઘરોમાં અને દુકાનોમાં વીજળી પડવાથી તીરાડો પડી ગઇ હતી. તો ઘણા વિસ્તારોમાં વીજના કડાકા થતાં સ્થાનિકો ભયભીત થઇ ગયા હતા.

ત્યારે પાટનગરમાં જે પ્રકારે ત્રણ દિવસથી વરસાદની અવિરત ગતિ ચાલુ રહેવા પામી છે તેના પગલે તમામ કોમન પ્લોટો અને મેદાનોમાં પાણી ભરાવાથી તળાવમાં ફેરવાઇ ગયા હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યાં છે. તો સેક્ટરોના આંતરિક માર્ગો પણ પાણીમાં ગરકાવ થવાથી અનેક વાહનચાલકો ફસાયાં હતાં.

Tags :