મા, તમને જન્મદિવસની ખૂબ શુભેચ્છા હું તમારા ચરણોમાં વંદન કરું છું
- અમારા ઘરે ઈદના દિવસે દિવાળી જેવો માહોલ બનતો હતો
- માતાને અક્ષર જ્ઞાન પણ નસીબ ન થયું, શાળાનો દરવાજો પણ ન જોયો, માત્ર ગરીબી જોઇ : વડાપ્રધાનનો ભાવનાસભર બ્લોગ
- મારા જીવનમાં જે કંઇ પણ સારૂં થયું તે મારા માતા અને પિતાની દેન છે : મોદી
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ આજે ૧૮ જૂનના રોજ ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્વજનિક જીવનમાં પહેલીવાર પોતાના માતાના જન્મદિવસ પર એક બ્લોગ પણ લખ્યો છે. આ બ્લોગમાં તેમણે માતા સાથે જોડાયેલી પોતાના બાળપણની યાદો શેર કરી છે.
તેમણે બ્લોગમાં લખ્યું છે કે આજે હું મારી ખુશી જાહેર કરવા માગું છું. મેરી મા હીરાબા આજે ૧૮ જૂને તેમના ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. એટલે કે તેણીનો જન્મશતાબ્દી વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે. પિતાજી આજે જીવતા હોત તો તેઓ પણ ૧૦૦ વર્ષના થયા હોત. એટલે કે ૨૦૨૨ એક એવું વર્ષ છે કે મારી માતાની જન્મશતાબ્દી વર્ષમાં પ્રારંભ થયો છે અને પિતાનું જન્મશતાબ્દી વર્ષ પૂર્ણ થયું છે.
આજે મારી માતા એવી જ છે. શરીરની ઉર્જા ભલે ઓછી થઇ હોય, પરંતુ મનની ઉર્જા યથાવત છે. અમારા પરિવારમાં જન્મદિન મનાવવાની કોઇ પરંપરા રહી નથી. પરિવારમાં જે નવી પેઢીના બાળકો છે તેમણે પિતાજીના જન્મશતાબ્દી વર્ષમાં આ વર્ષે ૧૦૦ વૃક્ષો લગાવ્યા છે. આજે મારા જીવનમાં જે કંઇપણ સારૂં થયું છે તે મારી માતા અને પિતાની દેન છે. મારી માતા જેટલી સામાન્ય છે તેટલી અસાધારણ પણ છે. આજે પણ તેણીને જેટલું ખાવું હોય તેટલું ભોજન થાળીમાં પિરસે છે. અન્નનો એક પણ દાણો છોડતી નથી. નિયમથી ખાવાનું અને ચાવી ચાવીને ખાવાનું તે આ ઉંમરમાં પણ તેની આદત છે.
મારા માતાનો જન્મ મહેસાણા જિલ્લાના વિસનગરમાં થયો હતો. વડનગરથી તે વધારે દૂર નથી. મારી માતાને પોતાની માતા એટલે કે નાનીનો પ્રેમ નસીબ થયો નહોતો. તેઓ પોતાના બ્લોગમાં આગળ લખે છે કે, 'એક સદી પહેલા આવેલી વૈશ્વિક મહામારીનો પ્રભાવ ત્યારે ઘણા વર્ષો સુધી રહ્યો હતો. એ જ મહામારીએ મારી નાનીને મારી માતા પાસે છીનવી લીધા હતા. માતા ત્યારે થોડા જ દિવસોના હશે. તેમને મારી નાનીનો ચહેરો, તેમનો ખોળો કશું જ યાદ નથી. તમે વિચારો, મારા માતાનું બાળપણ માતા વિના જ વીત્યું, તેઓ પોતાના માતાથી જિદ્દ ન કરી શક્યા, તેમના ખોળામાં માથું ન છુપાવી શક્યા.
માતાને અક્ષર જ્ઞાાન પણ નસીબ ન થયું, તેમણે શાળાનો દરવાજો પણ ન જોયો. તેમણે જોઈ તો માત્ર ગરીબી અને ઘરમાં ચારેય તરફ અભાવ. બાળપણના સંઘર્ષોએ મારા માતાને ઉંમરમાં ખૂબ પહેલા મોટા કરી દીધા હતા. તેઓ પોતાના પરિવારમાં સૌથી મોટા છે અને જ્યારે લગ્ન થયા તો પણ સૌથી મોટા વહુ બન્યા. બાળપણમાં જે પ્રકારે તેઓ પોતાના ઘરમાં બધાની ચિંતા કરતા હતા, બધાનું ધ્યાન રાખતા હતા, બધા કામકાજની જવાબદારી ઉઠાવતા હતા.
આમ પણ જવાબદારીઓ તેમણે સાસરીમાં ઉઠાવવી પડી. આ જવાબદારીઓ વચ્ચે એ પરેશાનીઓ વચ્ચે, મોટા હંમેશાં શાંત મનથી દરેક પરિસ્થિતિમાં પરિવારને સંભાળતા રહ્યા. વડનગરના જે ઘરમાં અમે રહેતા હતા તે ખૂબ નાનું હતું, એ ઘરમાં કોઈ બારી નહોતી, કોઈ બાથરૂમ નહોતો, કોઈ શૌચાલય નહોતું. કુલ મળીને માટીની દીવાલો અને કાચી છતથી બનેલો એ એક-દોઢ રૂમનો ઢાંચો જ અમારું ઘર હતું, તેમાં માતા-પિતા, અમે બધા ભાઈ બહેન રહેતા હતા.
એ નાનકડા ઘરમાં માતાને ભોજન બનાવવામાં કંઈક સરળતા રહે એટલે પિતાએ ઘરમાં વાંસની મેજ અને લાકડીની મદદથી એક પાટલા જેવી વસ્તુ બનાવી દીધી હતી. તે અમારા ઘરની રસોઈ હતી. માતા તેના પર ચડીને ભોજન બનાવતા હતા અને અમે લોકો તેના પર બેસીને ભોજન કરતા હતા. ઘરને ચલાવવા માટે ૨-૪ પૈસા વધારે મળી જાય એટલે માતા બીજાના ઘરમાં વાસણ માંજતા હતા. સમય કાઢીને ચરખો પણ ચલાવતા હતા કેમ કે, તેનાથી પણ કેટલાક પૈસા ભેગા થતા હતા.
નાનપણમાં અમારા ઘરે ઈદના દિવસે દિવાળી જેવો માહોલ બનતો હતો. મારા પિતાના એક મિત્ર નજીકના ગામમાં રહેતા હતા અને તેના પુત્રનું નામ અબ્બાસ હતુ. અબ્બાસના પિતાનું અવસાન થયા બાદ અબ્બાસ અમારા ઘરે જ રહીને અભ્યાસ કરતો હતો. નાનપણમાં ઈદના દિવસે માતા ઘરે અબ્બાસ માટે ખૂબ પકવાન પણ બનાવતા હતા.
વડાપ્રધાને માતા સાથેની સંસ્મરણોની તસવીરો અને રોમાંચક કિસ્સાઓ સાથે લખેલા વિસ્તૃત બ્લોગમાં અંતે જન્મદિવસની શુભેચ્છા આપીને લખ્યું છે કે સાર્વજનિક રૂપમાં ક્યારેય તમારા માટે આટલું લખી શક્યો નથી કે આટલું કહેવાનું સાહસ કરી શક્યો નથી. તમે સ્વસ્થ રહો. અમારા બઘાં માટે તમારા આશીર્વાદ બન્યા રહે તેવી ભગવાન પાસે પ્રાર્થના છે.