પશ્ચિમ રેલ્વેનું વડુ મથક અમદાવાદ ખસેડવા માટે ગુજરાત સરકારે બે વર્ષમાં માત્ર બે જ પત્રો કેન્દ્રને લખ્યા
- કેન્દ્ર સમક્ષ ગુજરાતના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં રાજ્ય સરકારની ઉદાસીનતા
ગાંધીનગર, તા. 19 જુલાઇ 2019, શુક્રવાર
મોસાળમાં જમણ અને મા પીરસનાર એવું અવારનવાર કહીને ગુજરાતની પ્રજાને અન્યાયની જોરદાર થપ્પડ મારનાર કેન્દ્ર સરકાર ખરેખર ગુજરાતને કશું આપતી નથી.
વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન અગ્રતાક્રમ-1 પર પાટણ વિધાનસભાના ધારાસભ્ય કિરીટ પટેલનો પશ્ચિમ રેલ્વેનું વડુ મથક અમદાવાદ ખાતે ખસેડવા બાબતનો પ્રશ્ન હતો.
આ પ્રશ્નની ચર્ચામાં ભાગ લેતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈ વાયા ગાંધીનગર થઈ કેન્દ્ર સરકાર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે.
2013ની સાલમાં ગુજરાતના કેન્દ્ર સરકાર સાથેના પડતર પ્રશ્નોમાં પશ્ચિમ રેલ્વેનું વડુ મથક અમદાવાદ ખસેડવા સહિત કુલ 107 પ્રશ્નો કેન્દ્ર સરકાર સમક્ષ મૂક્યા હતા અને રાજ્ય સરકાર દ્વારા જાહેરાત ચાલતી હતી કે કેન્દ્રની કોંગ્રેસ સરકારે ગુજરાતને હળહળતો અન્યાય કર્યો છે.
આજે કેન્દ્રમાં એનડીએ-2ની ભાજપ સરકાર છે. 2014થી 2019 અને 2019થી 2024 સુધી બીજી ઈનીંગ ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે આપી છે, છતાં રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી લઈને પશ્ચિમ રેલ્વેનું વડુ મથક અમદાવાદ ખાતે ખસેડવા માટે અત્યાર સુધી માત્ર બે જ પત્રો લખ્યા છે.
‘મોસાળે જમણવાર અને મા પીરસનાર' હોવા છતાં ગુજરાતના છોકરા ઘંટી ચાટે અને કેન્દ્ર સરકાર પાસે પડતર પ્રશ્નો હોય તો રાજ્ય સરકારની જો થોડીક વગ ચાલતી હોય અને કેન્દ્ર સરકારમાં ક્યાંય વજન ઘટતું હોય તો આપણે સર્વાનુમતે સહુ સાથે મળીને કેન્દ્રમાં રજૂઆત કરવા જઈએ.
એનડીએની ભાજપ સરકારની બીજી ઈનિંગ હોવા છતાં નર્મદા યોજનાને આજે પણ રાષ્ટ્રીય યોજના જાહેર કરી શક્યા નથી, પશ્ચિમ રેલ્વેનું વડુમથક આજે પણ અમદાવાદ લાવી શક્યા નથી, સસ્તા ભાવનો કોલસો લાવવાનો હતો તે પણ આજે આપણને મળ્યો નથી. રાજ્ય સરકારની ઉદાસીનતાને કારણે આજે કેન્દ્ર સરકાર સમક્ષ ગુજરાતના અનેક પ્રશ્નો પડતર પડયા છે.