ગાંધીનગર : તલવારબાજી અને અંગ કસરતના દિલધડક દાવે મંત્રમુગ્ધ કરી દીધા
- રથયાત્રામાં અખાડાના યુવાનો દ્વારા રજૂ કરાયેલાં
- અશ્વસવારોએ કરતબ કર્યા તો કાર્ટુન કેરેક્ટર સાથે વિવિધ વેશભૂષાના બાળકો રથયાત્રામાં જોડાયા
ગાંધીનગર શહેરમાં ભગવાન જગન્નાથની ૩૫મી રથયાત્રાનો વહેલી સવારથી પ્રારંભ થયો હતો ત્યારે ભગવાનના રથની સાથે સાથે કરાટેના દાવપેચ કરતાં બાળકો તથા અખાડાના યુવાનો અને ધર્મરક્ષક દળના યુવાનોએ તલવારબાજી અને અંગ કસરતના દાવ કરી સમગ્ર રથયાત્રા દરમ્યાન નગરજનોને પણ આકર્ષિત કર્યા હતા. તો બીજી તરફ અશ્વસવારોએ પણ કરતબ કર્યા હતાં અને ભગવાનની વેશભૂષા ધારણ કરીને બાળકો પણ રથયાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતાં.
પાટનગરમાં અષાઢી સુદ બીજના દિવસે સવારે પંચદેવ મંદિર સેક્ટર-રરથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો ત્યારે ભગવાનના રથની સાથે સાથે હૈરતઅંગેજ કસરતોના દાવ લોકો જોઇ શકે તે માટે અખાડાના તથા ધર્મરક્ષક દળના યુવાનોની સાથે સાથે ટેકવોન્ડો કરાટે સંસ્થાના બાળકો પણ આ રથયાત્રામાં સમગ્ર દિવસ દરમ્યાન જોડાયા હતા.
રથયાત્રાએ હવે કોઇ ધાર્મિક પર્વ રહ્યો નથી આ એક લોકોત્સવ બની ગયો છે ત્યારે રથયાત્રાની સાથે સાથે સમાજ જાગૃતિના વિવિધ પ્રયત્નો પણ કરવામાં આવે છે.ત્યારે કરાટેના સ્ટન્ટસ ગાંધીનગરની રથયાત્રાની ઓળખ બની ગઇ છે તો આ વખતે અમદાવાદની જેમ અખાડાના દિલધડક દાવ પણ લોકોને જોવા મળ્યા હતા.
આમ ધર્મરક્ષક દળના યુવાનો દ્વારા સમગ્ર રૂટ દરમ્યાન તલવારબાજીના વિવિધ કરતબો રજૂ કરવામાં આવ્યા હતાં. તો બીજીબાજુ ઘણા અશ્વસવારો સ્વયંભૂ રથયાત્રામાં જોડાયા હતા અને અશ્વ સાથે ઘણા કરતબો પણ તેમણે ચાલુ રથયાત્રાએ બતાવ્યા હતા.
ભક્તો દર્શનની સાથે કરાટેના સ્ટન્ટ, અખાડાના દાવ અને અશ્વસવારોના કરતબો જોઇ મંત્રમુગ્ધ થઇ ગયા હતા. તો બીજીબાજુ ભારતમાતા, ગણેશ, શીવજી, જલારામબાપા,રામ-લક્ષ્મણ-જાનકી, રાધા-કૃષ્ણ સહિત મીરાની વેશભુષા ધારણ કરીને પણ ઘણા બાળકો રથયાત્રામાં જોડાયા હતા.
આ સાથે રથયાત્રામાં નાના બાળકોને મોજ પડી જાય તે માટે બાળકો છોટાભીમ, ડોરેમોન તથા અન્ય કાર્ટુન કેરેકટરમાં જોડાઇને બાળકોને પણ આર્કષણનું કેન્દ્ર બન્યા હતા. આમ સમગ્ર રથયાત્રામાં તલવારબાજી અને અંગ કસરતના દાવે પણ નગરજનોને આકર્ષિત કર્યા હતાં.