આરસોડીયાની જર્જરીત શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ..!
- નવુ મકાન નહીં બનતાં ના છુટકે
- શાળામાં ગંદકીના થર જામ્યાં છે તો બાળકોને અવર જવર માટેના માર્ગની સુવિધાનો અભાવ
ગાંધીનગર, તા.21 ઓગસ્ટ 2019, બુધવાર
કલોલ તાલુકામાં આવેલા આરસોડીયા ગામની પ્રાથમિક શાળાના વર્ષો જુનું મકાન જર્જરીત થઇ જવા પામ્યું છે. જેના પગલે શાળાના ૪૦૦ જેટલા બાળકોને સતત ભયના ઓથા હેઠળ અભ્યાસ કરવાની નોબત આવી છે. તો શાળાની આસપાસ ગંદકીનું પ્રમાણ વધી જવા પામ્યું છે. જેથી રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે.
સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ માટે વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ પ્રાથમિક શિક્ષણ લેતાં વિદ્યાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં પાછી પાની કરતું હોય તેમ કલોલ તાલુકાના આરસોડીયા ગામમાં આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના અવર જવર માટે સારો રસ્તો પણ નથી તો વર્ષો જુના મકાનમાં અભ્યાસ કરી રહેલાં બાળકોને સતત ભયના ઓથા હેઠળ શિક્ષણ લેવા આવવું પડે છે. શાળાના ઓરડા પણ જર્જરીત હાલમાં હોવાથી ગમે ત્યારે તુટી પડવાની સંભાવના પણ સેવાઇ રહી છે.
તે અંગે ગ્રામપંચાયતના માજી ચેરમેન અજીત ચાવડાએ જણાવ્યું હતું કે, ઔડામાં ગામનો વિસ્તાર હોવા છતાં કોઇપણ પ્રકારના વિકાસ કામો કરવામાં આવતા નથી. શાળામાં ગંદકીના થર જામી જવાના કારણે અભ્યાસ અર્થે આવતાં વિદ્યાર્થીઓને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. તો રમત ગમતનું મેદાન પણ નહીં હોવાથી બાળકોને હેરાન પરેશાન થવાની નોબત આવે છે.