Get The App

અંબાજી શક્તિપીઠ મંદિરના તમામ શિખર સુવર્ણથી મઢાશે

- 70મા પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી પાલનપુરમાં થશે: મુખ્યમંત્રીએ મંદિરમાં 1 કિલો સોનાનું દાન આપ્યું

Updated: Jan 25th, 2019

GS TEAM


Google News
Google News
અંબાજી શક્તિપીઠ મંદિરના તમામ શિખર સુવર્ણથી મઢાશે 1 - image



ગાંધીનગર, તા.25 જાન્યુઆરી 2018, શુક્રવાર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી શક્તિપીઠ ખાતે જણાવ્યું કે, સોનેથી મઢેલા દિવ્ય અને ભવ્ય યાત્રાધામોના આપણા ગૌરવપૂર્ણ ઈતિહાસને અમારે પુન: સ્થાપિત કરવો છે અને એટલે સરકારે માત્ર એક શિખર જ નહીં અંબાજી દેવસ્થાનના તમામ શિખરો સુવર્ણથી મઢવાનો સંકલ્પ કર્યો છે. મુખ્યમંત્રીએ ૧૪૦ કિલોગ્રામ સોનાથી સુશોભિત સુવર્ણમય શિખર આજે લોકાર્પિત કર્યું હતું.

મુખ્યમંત્રીએ એક તોલો સોનુ દાનમાં આપીને અંબાજી મંદિરમાં તમામ શિખરો સુવર્ણથી મઢવા સહયોગ આપવા માઈ ભકતોને ટહેલ નાખી હતી. ૭૦મા પ્રજાસત્તાક દિનની રાજયકક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘વિકાસ સપ્તક’ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીએ લોક વિકાસના વિવિધ સાત કાર્યો લોકાર્પિત કર્યાં હતા, રૂપાણીએ અંબાજી પંથકના સર્વાંગી વિકાસ માટે અલાયદી ઓથોરિટીની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ઓથોરિટીની રચનાથી આ પવિત્ર દેવસ્થાનના વિકાસની નવી દિશા ખુલશે.

મુખ્યમંત્રીએ ૭૦મા પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠાની ધરતી ઉપર રાજયકક્ષાની ઉજવણી પ્રસંગે જણાવ્યું કે, જ્ઞાતિ-જાતિ-ધર્મ-સંપ્રદાય-ભાષાથી ઉપર ઉઠીને એવા દિવ્ય-ભવ્ય ગુજરાતનું નિર્માણ કરીએ કે જેના કેન્દ્રમાં ‘‘ઈન્ડિયા ફર્સ્ટ’’નો ધ્યેય હોય. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે અંબાજી મંદિરના મુખ્ય સુવર્ણ શિખરનું, શાળાના નવીન મકાન,પેથાપુર-પાતળિયા બ્રિજ, ગુંદરી અને અંબાજી ખાતેની ઓટોમેટિક ચેકપોસ્ટનું લોકાર્પણ તથા માઈભક્તોની સુવિધા માટે અંબાજીના નવીન બસસ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરાયું હતું.

Tags :