Get The App

ગુરુ પૂર્ણિમા અને ગુરુનો મહિમાઃ ગુરુ કરતાં સવાયા શિષ્યોની વાત

ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

જીવનની પરીક્ષામાં આવા પાસિંગ માર્કવાળા વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલિસ્ટ કરતાં આગળ વધી જાય એવું પણ બને

Updated: Sep 16th, 2019

GS TEAM

Google News
Google News
ગુરુ પૂર્ણિમા અને ગુરુનો મહિમાઃ ગુરુ કરતાં સવાયા શિષ્યોની વાત 1 - image


માતૃદેેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ... આટલે સુધી બરાબર પણ 'શિષ્ય દેવો ભવ' એવું ક્યાંય સાંભળ્યું નથી

દર વરસે સપ્ટેંબરની પાંચમી તારીખે દેશના બીજા રાષ્ટ્રપતિ અને પ્રખર શિક્ષણવિદ્ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં આપણે સૌ શિક્ષક દિન ઊજવીએ છીએ. રાધાકૃષ્ણનની જેમ અન્ય એક રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકિર હુસૈન પણ અજોડ શિક્ષક તરીકે પંકાયા  હતા. આ તો થઇ અંગ્રેજી તારીખની વાત. હિન્દુ પંચાંગની દ્રષ્ટિએ વિચારીએ તો દર વરસે અષાઢ સુદ પૂર્ણિમાએ સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમા ઊજવાય છે. શિક્ષક અને ગુરુ વચ્ચેનો તફાવત આસમાન જમીન જેવો છે. એની ચર્ચા કરવાનું આ સ્થાન નથી. આજે થોડી અલગ પ્રકારની વાત કરવી છે.

એક લોકેાક્તિ બહુ જાણીતી છેઃ ગુરુ કરતાં ચેલા સવાયા. હરતી ફરતી દંતકથા (લેજન્ડ) ગણાતા કેટલાક મહાનુભાવો માટે આ વાત સો ટકા ખરી ઊતરે છે. માત્ર બે ચાર દાખલા લેવા હોય તો ક્રિકેટના ભગવાન તરીકે પંકાયેલા સચિન તેંડુલકર અને એના ગુરુ શ્રી રમાકાંત આચરેકર. કિરાના ઘરાનાના પંડિત  સવાઇ ગંધર્વ (રામભાઉ કુંદગોળકર ) અને એમના શિષ્ય પંડિત ભીમસેન જોશી,  ફિલ્મ સર્જક કેદાર શર્મા અને રાજ કપૂર અથવા ફિલ્મ સર્જક મહેશ ભટ્ટ અને અનુપમ ખેર... પૌરાણિક કથાઓમાં જામદગ્નેય પરશુરામ અને મહારથી કર્ણ, સાંદિપની અને ભગવાન કૃષ્ણ, દ્રોણ અને ધનુર્ધર અર્જુન. 

આજના સંદર્ભમાં વાત કરવી હોય તો સચિન તેંડુલકર કે પંડિત ભીમસેન જોશી જ યાદ આવે. સંસ્કૃત સાહિત્યમાં કેટલાક ચિરંજીવ સૂત્રો છે. જેમ કે માતૃદેેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ... આટલે સુધી બરાબર પણ 'શિષ્ય દેવો ભવ' એવું ક્યાંય સાંભળ્યું નથી. પરંતુ પ્રયોગ કરવો હોય એને આવી મર્યાદા નડે નહીં. તાજેતરમાં એક પુસ્તક હાથમાં આવ્યું. એનું ટાઇટલ છે 'શિષ્યદેવો ભવ'. ટાઇટલ જ એટલું આકર્ષક હતું કે પુસ્તક વાંચ્યા વિના રહી શકાય નહીં.

ગુજરાતના કેટલાક સ્વનામધન્ય સાહિત્યકારો અને અધ્યાપકો દ્વારા અહીં સરસ સામગ્રી પીરસાઇ છે. ચારથી પાંચ દાયકા સુદી અધ્યાપન કરનારા અનુભવી અધ્યાપકોએ પોતપોતાના સંપર્કમાં આવેલા વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીની વાત કરી છે. જો કે અહીં બધા શિષ્યો ગુરુ કરતાં સવાયા નથી નીવડયા. અને એ સ્વાભાવિક પણ છે. સ્કૂલ કે કૉલેજમાં સેંકડો ટીનેજર્સ ભણતાં હોય. બધા કંઇ સ્કોરર ન હોય. કેટલાક મિનિમમ પાસિંગ માર્ક દ્વારા ગાડું ગબડાવી ગયા હોય. પરંતુ જીવનની પરીક્ષામાં આવા પાસિંગ માર્કવાળા વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલિસ્ટ કરતાં આગળ વધી જાય એવું પણ બને.

સૌથી મહત્ત્વનો મુદ્દો શિષ્યદેવો ભવનો આ વિચાર છે. અન્ય ભારતીય ભાષાઓમાં કે વિદેશી સાહિત્યમાં આ પ્રકારનો પ્રયોગ થયો છે કે કેમ એની જાણ નથી. પરંતુ ગુજરાતી ભાષામાં આ પ્રયોગ કદાચ પહેલીવાર થયો છે. આ પ્રયોગ ખરેખર કાબિલ-એ-દાદ છે. ખાસ્સું દળદાર પુસ્તક છે. અહીં આશરે સિત્તેર-એકોતેર લેખોમાં અનેકવિધ શિષ્યોની વાત રજૂ થઇ છે. દરેક પ્રસંગ સરસ રીતે રજૂ થયો છે.

જો કે એમાંય અપવાદ તો છે જ. કેટલાક લેખકોેએ શિષ્યોને નામે પોતાની પ્રશંસા પોતે કરી નાખી છે. પરંતુ એકંદરે સરસ લેખોનું સંકલન થયું છે. જાણીતા અને ઓછા જાણીતા શિક્ષકોની જેમ કેટલાક જાણીતા શિષ્યોની અને કેટલાક અજબની શિષ્યોની વાતો અહીં સરળ ભાષામાં કહેવામાં આવી છે. 

કેટલાક પ્રસંગેા ખરા અર્થમાં પ્રેરક બની રહ્યા છે. એવા પ્રસંગોમાં ગર્ભિત સંદેશો પણ છે. જેમ કે ખૂબ માથાભારે જ્ઞાાતિ-જાતિના અને ઊંચા પડછંદ વિદ્યાર્થીઓ વચ્ચે ગભરુ ગાય જેવા શિક્ષક મનોમન થોડા ડરતાં ડરતાં રજૂ થાય પરંતુ એકવાર એ શિક્ષકનો ઉદ્દેશ સ્પષ્ટ થયા બાદ પેલા તોફાનીઓનું હૃદય પરિવર્તન કે વિચાર પરિવર્તન થાય એવા કિસ્સા પણ છે.

ધર્મ કોમ કે ભાષાના યા ન્યાતજાતના ભેદભાવ વગર સમાજના દરેક વર્ગના વિદ્યાર્થી અને એવાજ શિક્ષકો વચ્ચેના હેતાળ સંબંધો અહીં પ્રસ્તુત થયા છે. એક સારું પુસ્તક વાંચ્યાનો આનંદ અનુભવ્યો.  આવા પ્રયોગો બીજા ક્ષેત્રોમાં પણ થવા જોઇએ.

Tags :