To The Point

પૌરાણિક કથાનાં સત્યવાન-સાવિત્રી આજે ક્યાંય જડે ખરાં?

By GS Team
30 Jun 20263 mins read
TukuTouch Logo
જેઠ સુદ પૂનમે વટવૃક્ષની પૂજા કરી પત્નીઓએ પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી. આ પ્રસંગે, પત્નીના અત્યાચારનો ભોગ બનેલા પુરુષોએ વડની ઊંધી દિશામાં પ્રદક્ષિણા કરી. 1980થી સક્રિય 'અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ' જેવી સંસ્થાઓ પુરુષો પર થતા અત્યાચારો સામે અવાજ ઉઠાવી રહી છે. 498-A કલમના દુરુપયોગના ઘણા કિસ્સાઓમાં સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પૌરાણિક કથાનાં સત્યવાન-સાવિત્રી આજે ક્યાંય જડે ખરાં?
  • ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
  • બધા પતિઓ અથવા કહો કે બધા પુરુષો શરાબી, જુગારી, જુલમી, વિકૃત વાસના ધરાવતા નથી હોતા, એમ બધી મહિલાઓ કે પત્ની સાવિત્રી કે સીતા સમાન પણ નથી હોતી
    ગઇ કાલે સોમવારે, જેઠ સુદ પૂનમ ગઇ. સત્યવાન-સાવિત્રીની પૌરાણિક કથાને માનતી અસંખ્ય બહેનોએ વટવૃક્ષ સમક્ષ વ્રત પૂજા, પ્રદક્ષિણા વગેરે કર્યું. પતિ દીર્ઘાયુષ થાય એવી પ્રાર્થના કરી. બહુ સરસ પરંપરા છે. આદિ કાળથી ચાલતી આવે છે. આજે કેટલી સુસંગત છે એ જુદી વાત છે. પ્રેમીને પામવા પતિની ઠંડે કલેજે હત્યા કરનારી સિયા ગોયલનો કેસ આપણી સમક્ષ તાજો છે. પ્રાચીન કથામાં માનતી બહેનોએ સોમવારે વટવૃક્ષની ઘડિયાળના કાંટાની દિશામાં પરિક્રમા કરી. દેશના કેટલાક વિસ્તારોમાં પત્નીના અત્યાચારનો ભોગ બનેલા પુરુષોએ ઘડિયાળના કાંટાની ઊંધી (અવળી) દિશામાં વડના ઝાડની પ્રદક્ષિણા કરી. વાંચીને થોડી નવાઇ લાગશે, પરંતુ છેક ૧૯૮૦થી દેશમાં પત્નીના અત્યાચારનો ભોગ બનેલા પતિઓની એક સંસ્થા સક્રિય છે. અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ.
    બધા પતિઓ અથવા કહો કે બધા પુરુષો શરાબી, જુગારી, જુલમી, વિકૃત વાસના ધરાવતા નથી હોતા, એમ બધી મહિલાઓ કે પત્ની સાવિત્રી કે સીતા સમાન પણ નથી હોતી. એક લોકોક્તિ છે કે સીતાને પામવા માટે રામ જેવા બનવું પડે. જોકે બંને તરફ સારાનરસાં પાત્રો મળી આવે. છેલ્લાં થોડાં વરસથી મહિલાને થતા અન્યાય અને અત્યાચાર માટે કેન્દ્ર સરકારે ઇન્ડિયન પીનલ કોડની ૪૯૮-એ કલમ અમલમાં મૂકી હતી.
    એનો લાભ લઇને હજારો બોગસ કેસ થયા. વાત એટલી હદે વધી ગઇ કે ખુદ સુપ્રીમ કોર્ટે કહેવું પડયું કે ૪૯૮-એ કલમનો ગેરલાભ લઇને હજારો પરિવારોને તેમની પુત્રવધૂ દ્વારા હેરાન કરવામાં આવ્યા. હવે ઇન્ડિયન પીનલ કોડ રહ્યો નથી. ન્યાય સંહિતા કલમ ૮૫ આવી છે, જે સાસરિયાના અત્યાચારનો ભોગ બનેલી મહિલાને રક્ષણ આપે છે.
    આ જ કલમનો એક હિસ્સો ડોમેસ્ટિક વાયોલન્સના કેસ હાથ ધરે છે. આ કલમનો પણ બેફામ ગેરઉપયોગ થયો છે. એક નાનકડો દાખલો આપું. એક પાટીદાર સિવિલ એન્જિનીયરે કચ્છની બ્રાહ્મણ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાં. પતિ એટલો કાબેલ કે સતત પુરુષાર્થ કરીને સદ્ધર થયો. બે આલીશાન ફ્લેટ્સ, બંગલો, ખેતીવાડીની મબલખ જમીન, માતબર આવકનું ડહાપણભર્યું રોકાણ… ફ્લેટ્સ અને કેટલીક જમીન પત્નીનાં નામે કરી. બે બાળકો થયાં. એક પુત્ર, એક પુત્રી. પછી પત્નીની દાઢ સળકી. પોતાના બે ભાઇઓને પગભર કરવા એણે કોઇ વકીલની સલાહ લીધી. પેલાએ એને ઉશ્કેરી કે ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કરી નાખ.
    આજની ઘડી ને કાલનો દી'. પાટીદાર યુવાન (હવે પ્રૌઢ) વીસ-વીસ વરસથી બહાર ફરે છે. પત્નીનાં નામે કરેલા (પોતાના પસીનાના પૈસે લીધેલા) ફ્લેટમાં પત્ની એને આવવા દેતી નથી. એનાં પિયરિયાં બારે માસ આ ફ્લેટમાં પડયા પાથર્યા રહે છે. આ લેખકે એ મહિલાને પૂછેલું કે પતિ સારો ન હોય તો છૂટાછેડા કેમ નથી લઇ લેતા? તો જવાબ મળ્યો કે છૂટાછેડા લઉં તો એકવાર મોટી રકમનું ભરણપોષણ મળે, એમાં શું વળે? અત્યારે મને મહિને મોં માગી રકમ મળે છે. તો જેમ ચાલે છે એમ ચાલવા દો ને.
    જોકે હવે બાળકો યુવાન થઇ ગયા છે અને પિતાને સમજતા થયા છે. પરંતુ હજુ પેલી મહિલાએ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ ઊભો રાખ્યો છે. પતિ ઘરે આવે ત્યારે પત્નીનું દિમાગ ઠેકાણે ન હોય તો તરત પોલીસને ફોન કરે કે આ માણસ મારા ઘરમાંથી જતો નથી, મને સહાય કરો. પોલીસની વાન આવે અને પતિને ઘરમાંથી બહાર કાઢે. આખી સોસાયટી આ તમાશો વરસોથી જોયા કરે છે. આવા અનેક કિસ્સા ખુદ અદાલતે નોંધ્યા છે. જોકે સુપ્રીમ કોર્ટના સૂચનથી હવે કેન્દ્ર સરકારે સાસરિયાને થોડી રાહત થાય એવી જોગવાઇ પણ નક્કી કરી છે. છતાં સંખ્યાબંધ કિસ્સામાં પુરુષને સહેવાનું આવે છે. સુપ્રીમ કોર્ટે પણ પોલીસને કેટલાંક સૂચન કર્યાં છે કે મહિલા ફરિયાદ કરે એટલે તરત સાસરિયાની ધરપકડ જેવાં આકરાં પગલાં લેતાં પહેલાં પૂરતી તપાસ કરવી. અને છતાં પત્ની અત્યાચાર વિરોધી સંઘ જેવી સંસ્થાઓ વધતી જાય છે. જુદા જુદા અત્યાચાર સહન કરતા પુરુષો પણ હવે સંગઠિત થવા માંડયા છે. સત્યવાન-સાવિત્રીની કથા જેવા વ્રતની ઊજવણી કરતી વેળા વર્તમાન સંજોગોને પણ ધ્યાનમાં રાખવા ઘટે. ખરું કે નહીં?