- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
૨૦૨૪ના માર્ચની ૨૨મીએ રશિયાના એક કોન્સર્ટ હૉલમાં ચાલી રહેલા સંગીતના કાર્યક્રમમાં જિહાદી આતંકવાદી ત્રાટક્યા અને આડેધડ ગોળીબાર કરીને સંખ્યાબંધ સંગીતરસિકોને કોઇ દેખીતા કારણ વિના ઠાર કરી નાખ્યા. આ ઘટના તમને કદાચ યાદ હશે. એક અહેવાલ મુજબ આ આતંકવાદી હુમલામાં એકસો તેતાલીસ લોકો માર્યા ગયા હતા. ઘટના બની એના ચોવીસ કલાકમાં રશિયન સિક્યોરિટી સ્ટાફે ચાર શકમંદને ઝડપી લીધા. એ ચારે ખોરાસાન વિસ્તારના હતા, આઇએસઆઇએસ સાથે સંકળાયેલા હતા એવું તેમણે કબૂલ કર્યું હોવાનું રશિયન મીડિયાએ જાહેર કર્યું હતું.
અહીં સુધીની વાત ઠીક છે. ખરી જાણવા જેવી વાત હવે આવે છે. આ ચારેને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે તેમની સ્થિતિ જોઇને હાજર રહેલા મીડિયા મેન ચોંકી ઊઠયા હતા. વધુ આઘાતજનક વાત તો એ હતી કે ખુદ રશિયન સત્તાવાળાઓએ આ ચારે આતંકવાદીઓ સાથે પોલીસ તથા સિક્યોરિટીએ કેવું રાક્ષસી વર્તન કર્યું હતું એના ફોટોગ્રાફ્સ અને વીડિયો ક્લિપ્સ ખુદ સત્તાવાળાઓએ સોશિયલ મીડિયા પર ફરતા કર્યા હતા. આમ કરવા પાછળ એમનો હેતુ કદાચ એવો હોય કે બીજીવાર પોતાને જિહાદી તરીકે ઓળખાવતા આતંકવાદીઓ આવો હુમલો કરવા પહેલાં વિચાર કરે.
શું હતું આ ફોટોગ્રાફ્સ અને વીડિયો ક્લિપ્સમાં? એક આતંકવાદીનો કાન કાપી નાખીને એને પોતાનો જ કાન ચાવી ખાવાની ફરજ પડાઇ, અન્ય આતંકવાદીને નગ્ન કરીને એના ગુપ્તાંગ પર સેંકડો વોટના વીજળીના આંચકા આપવામાં આવ્યા, ત્રીજાને તો વ્હીલચેર પર લાવ્યા અને સાથે હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સ હતાં. વ્હીલચેર પર બેઠેલા આતંકવાદીની આંખો બંધ હતી. ચહેરા પર સોજા અને સંખ્યાબંધ જખમ હતા, લોહીના ડાઘ પણ હતા, જખમ પર ડ્રેસિંગ કરેલું હતું...
આ માત્ર ઝલક છે. તમે કલ્પના કરી શકો છો કે રશિયન સિક્યોરિટીએ આ આતંકવાદીઓને જીવતેજીવ જહન્નમનો અનુભવ કરાવી દીધો હશે. ટીનેજર્સને આતંકવાદની તાલીમ આપવી વેળા એવું પ્રલોભન અપાય છે કે તમે ધર્મનું કામ કરી રહ્યા છો એટલે શહીદ થશો તો જન્નત (સ્વર્ગ)માં જશો જ્યાં અનેક ખૂબસુરત બાંદીઓ તમને પોતાની જાત અર્પણ કરશે. અહીં તો જહન્નમ દેખાઇ ગયું.
આતંકવાદીઓ સાથેના રશિયાના આ વર્તન સામે હ્યુમન રાઇટ્સ વોચ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ હો-હા મચાવેલી, પરંતુ તે અરણ્યરુદન જેવી સાબિત થઇ. અમેરિકાએ જરાક ગણગણાટ કર્યો ખરો, પણ એ પુટિનના કાન સુધી પહોંચ્યો નહીં. રશિયા કે ચીનની સામે જાહેરમાં બોલવાથી કશું વળે નહીં. આ દેશોમાં પોલાદી સામ્યવાદી શાસન છે, ભારત જેવી સુંવાળી લોકશાહી નથી. ભારતમાં તો જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબને આર્થર રોડ જેલમાં સ્વાદિષ્ટ મટન બિરયાની ખવડાવવામાં આવતી. રશિયા કે ચીનમાં તો એવી સજા કરે છે કે બીજીવાર આતંક શબ્દ બોલવાની પણ કોઇ હિંમત ન કરે.
ભારતે રશિયા કે ચીન પાસેથી શીખવાની જરૂર છે. ઔર એક વાત. કેટલાક મૌલાનાઓ સતત શરિયતના કાયદાઓની તરફેણ કરે છે. શું છે શરિયતના કાયદા, જાણો છો? ચોરી કરનારના કાંડા કાપી નાખવામાં આવે, બળાત્કાર કરનારની ઇંદ્રિય વાઢી નાખવામાં આવે, વ્યભિચાર કરનારને ગળા સુધી રેતીમાં દાટી દઇને પથ્થરો વડે ટોચી ટોચીને મારી નાખવામાં આવે. આંખ સામે આંખ અને ખૂન સામે ખૂન જેવા આ કાયદા છે. ભારતના મુસ્લિમોનો લોકમત લેવામાં આવે તો નેવું ટકા લોકો શરિયતના કાયદા સ્વીકારવા કદાચ તૈયાર નહીં થાય. વાતો કરવી સહેલ છે. સ્વીકાર કરવો મુશ્કેલ છે. આ મુદ્દે વિચારવાની તાતી જરૂર છે. નિર્દોષોનું લોહી વહાવવાને જિહાદ ગણતા હોય એ લોકોને રશિયા કે ચીન જેવી સજા થવી ઘટે.
આટઆટલી સજા રશિયન સિક્યોરિટીએ ચારે આતંકવાદીઓને કોર્ટમાં રજૂ કરવા પહેલાં જ કરી નાખી. ત્યાર બાદ કોર્ટે જે સજા કરી એ અલગ. રશિયન કાયદા પ્રમાણે આવા કિસ્સામાં આજીવન (એટલે કે આરોપીનું મરણ થાય ત્યાં સુધીની) સખત મજૂરી સાથેની જેલની સજા કરવાની જોગવાઇ છે. આરોપી કોર્ટમાં એવી રાવ કરી શકતો નથી કે પોલીસે મને માર્યો કે ખાવા ન આપ્યું વગેરે. ત્યાં તો ખરા અર્થમાં શરિયતના કાયદાનો અમલ કરાય છે. ગુનો કરનાર છટકી શકતો નથી. કાયદો એટલે કાયદો.


