For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આદિવાસીઓ ખેતીમાં ઉત્પન્ન થતા પાકને કુળદેવી કંસરીમાતાને અર્પણ કર્યા પછી જ ઉપયોગમાં લે છે

Updated: Jan 10th, 2022

Article Content Image

-સાતપુડાની ઉપગિરીમાળાઓમાં પ્રકૃતિના ખોળે વસેલું સોનગઢનું કાવલા ગામ

-માનતા પુરી કરવા ઘરના કે ગામના લોકો પારંપારિક વાદ્ય-સંગીત સાથે બળદગાડા કે પદયાત્રા કરીને સંઘ લઇને આવે છે, જેને હરખી લઇને જઇએ છીએ એમ કહે છે

-ગુજરાત,મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પણ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે પણ વિકાસના અભાવે લોકોએ જંગલ વિસ્તારની ખુલ્લી જગ્યામાં પડાવ નાખીને આરામ કરવો પડે છે, વિકાસની આવશ્યકતા

વ્યારા

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાથી અંદાજીત ૨૨ કિ.મી. અને  સોનગઢથી આશરે ૧૫ કિ.મી.ના અંતરે  કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા વન વિસ્તારમાં ઘટાદાર જંગલોમાં  સાતપુડાની ઉપગિરીમાળાઓમાં પ્રકૃતિના ખોળે વસેલા કાવલા ગામમાં આદિવાસી સમાજના આસ્થાના કુળદેવી કંસરી માતાજી એટલે અન્નપૂર્ણા  માતાનું મંદિર આવ્યું છે. જ્યાં માત્ર ખેતી અને પશુપાલન કરીને જીવન ગુજરાન કરતા અહીંના લોકો વર્ષોથી ધાર્મિક રીત-રિવાજ નિભાવે છે. પોતાના ખેતરમાં પાકતા ધાન્ય ડાંગર, જુવાર, શેરડી, શાકભાજી વિગેરે પાક તૈયાર થાય એટલે સૌપ્રથમ માતાજીને અર્પણ કરે છે.  આ ધાર્મિક  સ્થળે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પણ શ્રધ્ધાળુઓ આવે છે.

Article Content Image

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે તાપી જિલ્લામાં સાતપુડાની ગિરીમાળાઓ આવેલી છે. કુદરતી સૌદર્યથી ભરપૂર એવા વન વિસ્તારમાં ઘટાદાર જંગલોમાં સોનગઢ તાલુકાના કાવલા ગામે આદિવાસી લોકોની કુળદેવી કંસરી માતા (અન્નપૂર્ણા માતા)નું પવિત્ર ધામ આવેલું છે. કુદરતે જ્યાં મન મુકીને સૌદર્ય વેર્યું છે એવું આ કાવલા ગામ ખૂબ જ રમણિય સ્થળ છે. અહીં આદિવાસી લોકો ખૂબ જ શ્રધ્ધા-ભક્તિભાવથી અહીં માતાજીના દર્શન, બાધા-માનતા પુરી કરવા માટે આવે છે. માત્ર ખેતી અને પશુપાલન કરીને જીવન ગુજરાન કરતા અહીંના લોકો વર્ષોથી ધાર્મિક રીત-રિવાજ નિભાવે છે. પોતાના ખેતરમાં ઉત્પન્ન થતા (પાકતા) ધાન્ય ડાંગર, જુવાર, શેરડી, શાકભાજી વિગેરે તૈયાર થાય એટલે સૌપ્રથમ માતાજીને અર્પણ કરે છે. જ્યાં સુધી માતાજીને આ ધાન્ય ચઢાવે નહીં ત્યાં સુધી ઘરના મોભી અથવા વડીલ તે અનાજ કે શાકભાજી ખાતા નથી. લોકમાન્યતા એવી છે કે અહીં માતાજીને અર્પણ કરીને પછી અનાજ ઉપયોગમાં લઇએ તો ઘરમાં બરકત રહે છે. એટલે કે ધન-ધાન્ય આખુ વર્ષ ઘરમાં ખૂટતુ નથી.

Article Content Image

માનતા પૂર્ણ કરવા માટે વર્ષમાં એકવાર ઘરના કે ગામના લોકો ભેગા થઈને પારંપારિક વાદ્ય-સંગીત સાથે દેવીના દર્શન કરવા માટે બળદ ગાડામાં કે પદયાત્રા કરીને સંઘ લઈને આવે છે. નાના-મોટા સૌ લોકો શ્રધ્ધાપૂર્વક માનતા પૂર્ણ કરવા કે દર્શન કરવા આવે છે. જેને હરખી લઇને જઈએ છીએ એમ કહે છે. ચૌધરી લોકો હરખી કહે છે. જ્યારે ગામીત લોકો તેને હબ કહે છે. આદિવાસી લોકો પરંપરાગત વસ્ત્રો પહેરી પોતાની લોકબોલીમાં દેવીને રીઝવવા ગીત ગાય છે. આ સમયે વાતાવરણ દિવ્ય બની જાય તેવી અનુભૂતિ થાય છે. અહીં ચોંસઠ જોગણી માતા, નવી કંસરીમાતા, મહાદેવ અને હનુમાનજીના સ્થાનકો પણ આવેલા છે. આદિવાસી લોકોની આસ્થાનું આ સ્થાનક ભાવિક ભક્તો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Article Content Image

જોકે પૂરતા વિકાસના આભાવે લોકો આસપાસ જંગલ વિસ્તારમાં ખુલ્લી જગ્યા પર પડાવ નાખી વિશ્રામ કરે છે. જેથી અહીં વિકાસની ખુબ આવશ્યકતા છે.

 

Gujarat