ગુજરાત સરકારે મેળાઓ કરીને બોગસ આદિવાસીઓને ખોટા જાતિના પ્રમાણપત્રો વિતરણ કર્યા : BTP
-આદિવાસી સમાજે જાતિના પ્રમાણપત્ર મેળવવા અનેક પુરાવા આપવા પડે છે, વારંવાર ધક્કા ખાવા પડે છે
વ્યારા
તાપી જિલ્લામાં આદિવાસી સમાજ ના લોકો પાસે જાતિના પ્રમાણપત્ર કઢાવવા માટે તંત્ર દ્વારા અનેક પુરાવા માંગવામાં આવે છે, એક પણ પુરાવો રહી જાયતો દાખલો આપવામાં આવતો નથી, જ્યારે ગુજરાત સરકારે મેળાઓ કરીને બોગસ આદિવાસી ને ખોટાં જાતિના પ્રમાણપત્ર વિતરણ કરવાનો આક્ષેપ કરી આદિવાસી સમાજ સાથે ન્યાય કરવા નિઝર ખાતે બીટીપી (ભારતીય ટ્રાયબલ પાર્ટી) દ્વારા આવેદન આપવામાં આવ્યું.
નિઝર તાલુકા મથકે પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીમાં તાપી જિલ્લા બીટીપીના આગેવાનો દ્વારા આપવામાં આવેલા આવેદનમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા મેળાઓ કરીને બોગસ આદિવાસી ને ખોટા જાતિના પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા છે, જેના ફળસ્વરૃપે આદિવાસી સમાજને મોટું નુકશાન થઇ રહ્યું છે. જેથી સને ૨૦૨૦ ના સરકારના રાજપત્ર નું પાલન કરીને બોગસ આદિવાસી ને શોધવા જોઈએ અને તે જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. અને હાલ કાયદાનો હવાલો આપીને અસલ આદિવાસીઓની વસ્તી ધરાવતા જિલ્લા ના તાલુકાઓ ની મામતલદાર કચેરીઓમાં આદિવાસી સમાજના લોકો પાસે અરજદારના પિતા, દાદા પરદાદા ના જન્મ રજીસ્ટર ઉતારા, પ્રાથમિક શાળા પ્રવેશ રજીસ્ટર નો ઉતારો, લોહીની સગપણ ધરાવતા સગાસંબંધીઓ ની આદિજાતિ જણાતાં રેકોર્ડનો ઉતારો, સહીત ૩૭ પ્રકારના પુરાવા માંગવામાં આવી રહ્યા છે. જે પૈકી એક પણ પુરાવો ન હોય તો દાખલો આપવામાં આવતો નથી.અને અસલ આદિવાસી જાતિના દાખલા થી વંચિત રહી જાય છે. તેથી બહુલક આદિવાસી વિસ્તાર ધરાવતા જિલ્લા,તાલુકામાં જુના નિયમ મુજબ સરપંચ, તલાટી નો દાખલો,લિવિંગ સટફિકેટ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટો સહિતના પુરાવા રજૂ કરીને દાખલો આપવામાં આવતો હતો, તેજ પ્રમાણે અત્યારે જાતિના દાખલા કાઢી આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે. સાથે જણાવેલ છે, ખોટી રીતે ખર્ચ કરીને આદિવાસી ના દાખલા માટે હેરાન પરેશાન કરવામાં આવશે, તો આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.