Get The App

શીતકાળની કાતિલ જમાવટ : મધ્યાકાશમાં મૃગશીર્ષ નક્ષત્ર દેખાય છે

- આ વર્ષે તો મધ્યપ્રદેશમાં પણ ઠંડીએ વહેલો સપાટો બોલાવ્યો છે

Updated: Dec 29th, 2020

GS TEAM

Google News
Google News
શીતકાળની કાતિલ જમાવટ : મધ્યાકાશમાં મૃગશીર્ષ નક્ષત્ર દેખાય છે 1 - image


મધ્યાકાશમાં મૃગશીર્ષ નક્ષત્ર દેખાય છે. શિયાળાની રાત્રિ આમ તો આકાશ દર્શન માટે શ્રે હોય છે. પરંતુ મનુષ્ય માથું ઊંચું કરવાનું ભૂલી ગયો છે. કેટલાક લોકો તો જિંદગીમાં જ એટલા ઝૂકીને ચાલે છે કે એમને યાદ જ નથી કે માથું ઊંચું રાખીને જીવવાની મઝા શું છે. આકાશ અત્યારે તારલિયાના સૌન્દર્યથી ઝળહળે છે. અત્યારે ચડતી કળાનો ચન્દ્ર છે અને હેમંત તુ હવે ઢળતા ઢાળે છે. પાનખરને આવવાને હજુ વાર છે તો પણ પોષ મહિનાની કાતિલ ઠંડીનાં સૂસવાટા હોય એવા પવનોએ ઉત્તર ભારતને ઘેરી લીઘું છે. એની અસર ભારતમાતાની બંને ભુજાઓ એટલે કે દૂર પૂર્વ ભારત અને અહીં પશ્ચિમ ભારત સુધી પણ પડી છે. શિયાળાની રાત્રિઓ એકાએક જમાવટ કરી રહી છે. એક તો ઠંડીને કારણે સન્નાટો અને એમાં શહેરોમાં રાતની સંચારબંધી. રાતના નવ વાગ્યા પછી તો ચોતરફ મધ્યરાત્રિ જેવો માહોલ છવાઇ જાય છે. 

ભારતમાં આ વખતે સૌથી વધુ જ્યાં ઠંડી પડી રહી છે તે રાજસ્થાનમાં તો શીતલહેરનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. પાટનગર નવી દિલ્હીમાં તો દરરોજ ઉષ્ણતામાન બે ત્રણ ડિગ્રી ગોથું લગાવે છે. કાશ્મીરથી શરૂ કરીને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષા શરૂ થઈ ગઈ છે. પહાડો પર ઝરમર બરફનો વરસાદ શરૂ છે એને કારણે તળેટીના વિસ્તારોમાં કાતિલ ઠંડી છે. ઉત્તર ભારતના તમામ શહેરોમાં આ વર્ષે ઠંડી વિક્રમ જનક આંકડા સુધી પહોંચવાની છે. જ્યાં કદી પણ ઉષ્ણતામાન માઇનસમાં ગયું નથી ત્યાં આ વર્ષે જશે. રાજસ્થાનમાં આબુમાં ગુજરાતી પ્રવાસીઓ ધારે ત્યારે પાછા ફરી શકતા નથી. કારણ કે ઉષ્ણતામાન શૂન્ય અને એક ડિગ્રીની આસપાસ જ રહે છે. સમગ્ર અર્બુદા પર્વતને ધુમ્મસનો જબરજસ્ત ઘેરાવો છે. તળાવની સપાટી પર પાતળા બરફના થર જામી ગયા છે. જો પ્રવાસી તંદુરસ્ત ન હોય તો તેમના માટે આબુનો પ્રવાસ જિંદગીની અંતિમ સફર બની જાય છે.

આ વર્ષે તો મધ્યપ્રદેશમાં પણ ઠંડીએ વહેલો સપાટો બોલાવ્યો છે. સરોવરની નગરી ભોપાલમાં તો ચારે બાજુ મેઘરવો છવાઈ જાય છે. રાજ્યના દરેક શહેરોમાં સૂર્ય બહુ ઊંચે ન આવે ત્યાં સુધી ટ્રાફિક ધીમા ઝરણા જેવો થઈ જાય છે. કારણ કે વાતાવરણમાં દ્રશ્યક્ષમતા નહિવત્ હોય છે. હેમંત તુની ફૂલગુલાબી ઠંડીએ હવે વિદાય લઈ લીધી છે અને એના સ્થાને શિશિર તુના પવનોએ પ્રવેશ કર્યો છે. એનો અર્થ છે કે આ વર્ષે હજુ બહુ જ ઠંડી પડવાની છે. અતિશય ઠંડા વાતાવરણમાં વાયરસનું આયુષ્ય વધી જાય છે અને સંક્રમણ પણ વધે છે. તબીબી વૈજ્ઞાાનિકો એની ચિંતા કરે છે. બ્રિટનથી આવેલા સંખ્યાબંધ પ્રવાસીઓ કે જેઓ સંક્રમિત છે, તેઓ ભારતમાં આવીને લાપતા થઈ ગયા છે. એરપોર્ટ પર તેમણે લખેલા સરનામાઓ સંપૂર્ણ ખોટા સાબિત થયેલા છે. આપણું વ્યવસ્થાતંત્ર કેટલું પછાત છે તેના આ પુરાવો છે. વળી આપણા નાગરિકોની માનસિકતા કેવી છે તેનો પણ આ નાદર નમૂનો છે. 

કાશ્મીરમાં ગુલમર્ગનું તાપમાન માઇનસ ૧૨ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. કાશ્મીર ખીણમાં કુલ્લુ વિસ્તારમાં શૂન્યથી નીચે સાત ડિગ્રી સુધી ઠંડી પડે છે. જેણે એક વાર પણ સંપૂર્ણ ભારત દર્શન કર્યું હોય એને ખબર છે કે રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનની આજુબાજુ પ્રવાસીઓ અને રખડતા-ભટકતા લોકો માટે રૈન બસેરા હોય છે. આ વખતે ઠંડીમાં વધુ રૈન બસેરાની જરૂર પડશે. કારણ કે સંખ્યાબંધ લોકો એવા છે કે જેઓએ કામ છોડી દીધું એને એક વર્ષ થઈ ગયું છે. કોરોનાએ માત્ર લોકોના જીવ નથી લીધા, પરંતુ જીવતેજીવ સુખી જિંદગી પણ લઈ લીધી છે અને એમની માથે દુઃખના ડુંગરા ખડકી દીધા છે. એવા લોકો માટે આ શિયાળાની રાત્રિ પસાર કરવી એ વૈતરણી પાર કરવા જેવું જ અઘરું કામ છે. દેશની દરેક રાજ્ય સરકારોએ આ દિશામાં કામ કરવાની જરૂર છે.

અત્યારે દેશની પરિસ્થિતિ એવી છે કે દરેક મોટી હોસ્પિટલની આજુ બાજુ પણ રૈન બસેરાની જરૂર પડે છે. પોતાના સંબંધીને દાખલ કર્યા પછી સાથે આવેલા લોકો આ મોસમમાં ન તો હોસ્પિટલમાં રહી શકે છે કે ન તો બહાર મેદાનમાં રહી શકે છે. આપણે કદી આ બધો વિચાર કર્યો જ નથી. એનું કારણ એ છે કે જેને આપણે આ કામ સોંપ્યું એવા ચૂંટાયેલા નેતાઓએ પોતાના પરિવાર માટે જ મખમલની રજાઈ બનાવવાની પ્રવૃત્તિઓ કરી છે. વળી જે કેટલાક ઉચ્ચ અધિકારીઓને લોક કલ્યાણના કામ સોંપાયા એ સુખડનાં લાકડામાં પણ ઉધઈ પ્રવેશી ગઈ છે અને તેઓ પણ માત્ર પોતાના પરિવારના હિતની દિશામાં જ કામ કરે છે. એવા ભ્રષ્ટ અધિકારીઓ પાસે પોતાની માલિકીની હોટેલો છે, મોટા ફાર્મ હાઉસ છે, જમીનો છે, બંગલાઓ છે અને એ જ કારણે સામાન્ય નાગરિક પાસે શિયાળાની રાત પસાર કરવા માટે એક કંતાન કે ઓછાડ પણ નથી.

Tags :