રિઝર્વ બેન્કની મથામણ
દુનિયાની સૌથી વધુ ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનો દરજ્જો હવે ભારત પાસે રહ્યો નથી. રફતાર ધીમી પડી છે. નાગરિકોની ખરીદશક્તિમાં ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારનું ધ્યાન ઉદ્યોગો ફરી ધમધમવા તરફ અને નાગરિકો દ્વારા સંપત્તિ સર્જનની પ્રક્રિયા ઝડપી બને એ તરફ હોવાનું દેખાય છે. નાણાં મંત્રાલયનો ચાર્જ નિર્મલા સીતારામને સંભાળ્યો છે પરંતુ હજુ તેઓ ખરા અર્થમાં સક્રિય થયા નથી. અત્યારે પાટનગર નવી દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલય અને ગૃહમંત્રાલયમાં ધમધમાટ જોવા મળે છે.
રાજનાથસિંહ પોઝિશન નંબર બે પરથી ત્રણ પર એક પગથિયું ઉતર્યા છે. ઈ.સ. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદ માટેની એડવાન્સ દાવેદારીમાં અનેક અંતરાયો પાર કરીને ભાજપની કેન્દ્રીય કારોબારીમાં એકમતી સાધવા માટેનો રાજનાથસિંહનો પુરુષાર્થ નોંધપાત્ર હતો.
પરંતુ મોદી ભાગ એક વખતે ગૃહમંત્રાલયમાં તેઓ એટલો બધો આક્રમક અભિગમ અપનાવી શક્યા ન હતા, જેટલી વડાપ્રધાનને અપેક્ષા હતી. ગૃહખાતામાંથી સંરક્ષણ મંત્રાલય તરફ જવું એ દેખીતી રીતે આગેકૂચ ગણાતી હોવા છતાં સરકારમાં રાજનાથસિંહનું વજન ચોક્કસ રીતે ઘડવામાં આવ્યું છે. થોડા રિસામણા-મનામણામાંથી પસાર થઈ ગયા છે.
સરકાર નોટબંધી અને જીએસટીના આકરા ઘા સહન કરી ચૂકેલા ઔદ્યોગિક અને રોજગારી ક્ષેત્રને વિશેષ રાહતો આપવાની નીતિ ધરાવે છે એ હવે સ્પષ્ટ છે. આ વખતે રિઝર્વ બેન્ક રેપો રેટ ઘટાડે એવી આશા બેન્કિંગ સેક્ટરને ન હતી. કારણ કે સતત ત્રીજી વાર રેપો રેટ ઘટાડવાથી દેશના અર્થતંત્રની આંતરરાષ્ટ્રીય શાખને નકારાત્મક અસર થાય છે.
પાટનગર નવી દિલ્હીના વર્તુળો પ્રમાણે આ વખતે પણ રેપો રેટ (જે દરે રાષ્ટ્રીયકૃત બેન્કો રિઝર્વ બેન્ક પાસેથી નાણાં લે છે) ઘટાડવાનો આગ્રહ પિયુષ ગોયલ અને નીતિન ગડકરી એ બે કેબિનેટ પ્રધાનોનો હતો. કેન્દ્રીય પ્રધાન મંડળમાં આ બન્ને નેતાઓ એવા છે જે આંતરરાષ્ટ્રીય અર્થકારણના પ્રવાહો અને ભારતીય કોર્પોરેટ જગતને વધુ સારી રીતે સમજી શકે છે, કમ સે કમ નવા નાણાંપ્રધાન નિર્મલા સીતારામનથી તો તેઓ વધારે જ સમજે છે.
રિઝર્વ બેન્કના ગવર્નર શશિકાન્ત દાસે જ્યારે પોતાનું પદ સંભાળ્યું ત્યારે એમની સામે ઊહાપોહ થયો હતો. એનું એક કારણ એ પણ હતું કે એમની પહેલાના બન્ને ગર્વનરો સાથે કેન્દ્ર સરકારના વડા અને અન્ય પ્રધાનોનો તાલમેલ સરખો બેસતો ન હતો. દાસ પર એક એ પણ આક્ષેપ હતો કે તેઓ વધુ પડતી આજ્ઞાાંકિતતામાં દેશને આર્થિક રીતે તકલીફમાં મૂકી દેશે.
જો કે ૨૦૦ ટન સોનાનો વિવાદ હજુ તેમના પર તલવારની જેમ લટકે જ છે. તો પણ તેઓની પોતાના પદ સાથેની ફિટનેસ હવે સર્વસ્વીકૃત બની ગઈ છે. ત્રીજી વાર રેપો રેટ ઘટાડતી વખતે મિસ્ટર દાસે બે મહત્ત્વની વાત કહી. તેમાં એક તો એ કે મોંઘવારી લગભગ જ્યાં છે ત્યાં સ્થિર થઈ ગઈ છે અને એમાં બહુ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નથી. એને કારણે દેશના આમજનનું ઘર નિભાવવાનું, કરકસરનું અને બચતનું ગણિત લગભગ ગોઠવાઈ ગયેલું છે. અર્થશાસ્ત્રીય રીતે આ એક શુભ ચિહ્ન છે.
બીજી વાત એમણે એ કહી કે છેલ્લા છ મહિનામાં દેશમાં કુલ આર્થિક પરિદ્રશ્યમાં સુધારાઓ જોવા મળ્યા છે.
આ વાત તેમણે સાવ વાસ્તવિક રીતે કહી છે કારણ કે એમાં એ વાત પણ પ્રતિધ્વનિત થાય છે કે છ મહિના પહેલાના સમયગાળામાં (અંદાજે દોઢેક વરસ) દેશનું અર્થતંત્ર એકધારું પતન તરફ હતું. તેમણે ઓનલાઈન બેન્કિંગ અને નાણાંકીય વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે પણ નવી છુટછાટો જાહેર કરી છે. કોર્પોરેટ ક્ષેત્રમાં આરટીજીએસ એક ચોવીસ કલાકની હાથ પરની કેશ ટ્રાન્સફર પ્રણાલિકા છે અને એ હવે બહુ જ લોકપ્રિય છે. મનીઓર્ડર અને સેવિંગ્સ એમ.ટી. પછી આ આરટીજીએસ દેશના કરોડો લોકો માટે એક રાહતરૂપ પદ્ધતિ છે.
દેશ અત્યારે છેલ્લા નવ વરસમાં સૌથી નીચા રેપોરેટને 'માણી' રહ્યો છે, એ જો કે લોનધારક અને લોનવાંચ્છુક નાગરિકો માટે આંશિક તો આંશિક પણ રાહત તો આપશે. ચાલુ નાણાંકીય વર્ષનો વિકાસદર માટેનો લક્ષ્યાંક પણ સરકારે શૂન્ય પોઈન્ટ વીસ ટકા જેટલો ઘટાડયો છે. મિસ્ટર દાસે વાસ્તવિકતા સ્વીકારવાની શરૂઆત કરી છે અને કેન્દ્રને કન્વીન્સ કરીને તેઓ આગળ વધી રહ્યા છે. એનડીએ સરકારની બીજી ઈનિંગ સંપૂર્ણ આર્થિક સભાનતાયુક્ત હોવાનો આ સંકેત છે.
નાણાં, વાણિજ્ય, ઉદ્યોગ, માર્ગ વગેરેમાં જે બી કેટેગરીના રાજ્યકક્ષાના પ્રધાનો પણ નક્કી કરવામાં આવ્યા છે તે બધા પણ એકેડેમિક અને ઈનોવેટિવ અભિગમથી અર્થતંત્રને પાટે ચડાવવા માટે ઉપકારક સેવાઓ આપશે એવી ધારણા છે. સાવ નાના, નાના, અને મધ્યમ કદના ઉદ્યોગોને કેન્દ્રની વધુમાં વધુ હૂંફની અત્યારે જરૂર છે, કારણ કે અર્થતંત્રનું એ મહત્ત્વનું ચાલક બળ છે. એકલા રેપો રેટ ઘટાડાથી ચમત્કાર થવાનો નથી. દેશ હજુ સુધારા વધારા સાથેની નવી ઔદ્યોગિક નીતિની પણ પ્રતીક્ષા કરે છે.