અનિયત ચોમાસાનો સંકેત
દેશમાં ઉષ્ણતામાન એક પછી એક વિક્રમ સર્જે છે. દક્ષિણથી આગળ ધપતું ચોમાસુ બે વખત અટક્યુ છે. આજકાલમાં તે ફરી આગળ ધપશે. આ વખતે ઉનાળો એવો પસાર થયો છે કે ચોમાસામાં કેટલાક સ્થળોએ અણધાર્યો ભારે વરસાદ થવાની સંભાવના રહે છે. હવામાનશાત્રીઓમાં પણ આગામી ચોમાસા અંગે મતભેદ છે. વરસાદ ખેતી લાયક થશે પણ અનિયત હોવાને કારણે ફસલને એનો ઓછો લાભ મળવાની દહેશત છે. કદાચ હવામાનનો ગહન અભ્યાસ કર્યા પછી જ સરકારે ખેડૂતો તરફ આગોતરી અનુકંપા અભિવ્યક્ત કરી ટોચનો અગ્રતાક્રમ આપ્યો છે.
સરકારી યોજનાઓના લાભાર્થીઓમાં ઉત્તરોત્તર વધારો કરવો એ નવી એનડીએ સરકારનો પ્રમુખ હેતુ છે. એક સંભાવના બંગાળના અખાત પરથી પશ્ચિમ ભારત તરફ આવતા પવનો અને દક્ષિણથી આગળ ધપતા ચોમાસાની ટકકરની પણ છે અને એમ થાય તો આખું મહારાષ્ટ્ર જળ બંબાકાર થઈ જાય. હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રમાં આંતરિક જળપ્રવાહોની ઉષ્ણતા પાછલા વરસો કરતા વધી છે જેથી બાષ્પીભવનની પ્રક્રિયાને વેગ મળશે. એટલે ચોમાસુ કૃષિ સિવાય તો ઘનઘોર હોવાનું નિશ્ચિત છે.
ખેતી માટે તો જુની ઉક્તિ છે કે આવડે તો ખેતી નહિતર ફજેતી. આ ચોમાસુ એ અર્થમાં ખેડૂતોની કસોટી કરનારું નીવડશે. સામાન્ય રીતે હવાપાણીનો પાક પર બહુ પ્રભાવ હોય છે. વરસાદી જળનું સમયપત્રક જ આખી બાજી પલટાવનારું છે. છેલ્લા ત્રણ - ચાર વરસથી ચોમાસુ અનિયમિત તો રહ્યું છે. એનો સીધો એક અર્થ એવો થાય છે કે જ્યાં પડશે ત્યાં બારે મેઘ ખાંગા થશે અને જે પ્રદેશો બાકી રહી જશે તે કોરામોરા રહેશે.
કેટલીક ખાનગી હવામાન કંપનીઓએ એક શુભ સમાચાર એ આપ્યા છે કે દેશના મોટા ભાગના જળાશયો છલકાઈ જશે એટલે ઉત્તરમેઘના દિવસોમાં સિંચાઈની સુગમતા રહેશે. હવેના લગભગ દરેક ચોમાસા આ જ રીતે અનિયત રહેવાની સંભાવના છે. નજરે જ દેખાય છે કે બળબળતા તાપને સહન કર્યા પછી પણ પર્યાવરણ પ્રત્યેની ભારતીય નાગરિકોની નિષ્ક્રિયતા યથાવત છે. પૂરતા ઘાતક અનુભવો પછી પણ પર્યાવરણના પુનરોદ્ધાર માટે સહેલા હાથવગા ઉપાય અજમાવવામાં પણ હજુ તો પ્રજાને રસ નથી.
આજકાલ પંજાબના સુવર્ણ મંદિરની એક ક્લિપ બહુ વાયરલ છે જેમાં મંદિરમાંથી દર્શનાર્થીઓને પ્રસાદ સ્વરૂપે વિવિધ વૃક્ષના છોડ આપવામાં આવે છે. એ છોડ પ્રસાદ હોવાથી એને ઉછેરવામાં ભક્ત નાગરિકો બહુ જ શ્રદ્ધા પૂર્વક ધ્યાન આપશે. એ જ રીતે દેશના અંતરિયાળ વિસ્તારોમાં ચેકડેમ બાંધવાની પ્રવૃત્તિ લોકભાગીદારીથી ફરી શરૂ થઈ છે.
સરકારી એન્જિનિયરોએ જે ચેક ડેમના નિર્માણ માટે લાખો રૂપિયાનું એસ્ટિમેશન આપ્યું હોય તેના દસમા ભાગની કિંમતે ગ્રામજનો જાતે બાંધકામ કરવા લાગ્યા છે. જો કે એમાં નામી-અનામી અનેક સંસ્થાઓનો સતત પુરુષાર્થ પણ જોડાયેલો છે. જ્યાં સુધી પર્યાવરણીય સંભાળ એક આંદોલન જેવું સ્વરૂપ નહિ લે ત્યાં સુધી જો કે એનો સાર્વત્રિક પ્રભાવ ઊભો નહિ થાય. લોકો હવામાન અને જળવાયુ પરિવર્તન માટે સભાન થવામાં બહુ જ મોડા પડયા છે અને હજુય જે પ્રયત્નો છે તેનું પ્રમાણ તો મર્યાદિત જ છે.
ઈ. સ. ૨૦૨૦ થી શરૂ થનારો નવો દાયકો ગંભીર જળ કટોકટીનો હશે. પરંતુ એ માટે જે કંઈ આગોતરી લોકસભાનતા કેળવાઈ જવી જોઈએ એનો અભાવ દેખાય છે. એકલી સરકાર જળવાયુ પરિવર્તન અંગે કંઇ કરી શકે એમ નથી. સરકાર પાસે સામાન્ય નાગરિકો કરતાં અધિક માહિતી હોય છે અને પર્યાવરણ જેવી બાબતોમાં અમુક અંશે સરકાર નિઃસહાય હોય છે. બીજા રાજ્યોની તુલનામાં ગુજરાતમાં નવા વૃક્ષોના વાવેતરનો આંક ઊંચો છે પરંતુ ઉછેરમાં આપણે પાછળ છીએ.
રાજ્યના વન વિસ્તરણ વિભાગના આંકડાઓ તુલનાત્મક રીતે આશ્વાસન આપે છે ખરા પરંતુ જનસામાન્યની પર્યાવરણ સમસ્યા સમજવા માટેની સજ્જતા નહિવત્ છે. ગ્રામ વિસ્તારો ખાલસા થઈ ગયા છે અને ખરા પ્રકૃતિ ચાહકો હવે ત્યાં નથી. થોડા ઘણા જે ત્યાં છે એ તો સંતાનો શહેરમાં પોતાને ઘરે સ્વાગત કરતા નથી એ કારણે અથવા તો કૌટુંબિક જમીનની રખેવાળી કરવા માટે.
એમની મનઃસ્થિતિ જ એવી છે કુદરતની સેવા થઈ ન શકે. પ્રકૃતિની સેવા માટે મનની પ્રફુલ્લિતતા અને દિલની જીવંત ધગશ જોઈએ જે હવે ગામડાંઓ પાસે નથી. જાણે કે ગ્રામજગતના સુવર્ણયુગનો એક અધ્યાય જ સમાપ્ત થઈ ગયો છે. આ અનિયત ચોમાસાઓ, વધતા ઉષ્ણતામાન અને ઘટતી જતી કૃષિ નીપજ એનો જ એક પ્રકારનો પુરાવો છે.