Get The App

પંજાબમાં આતંકવાદ .

Updated: Nov 22nd, 2018

GS TEAM

Google News
Google News
પંજાબમાં આતંકવાદ                                   . 1 - image

નશીલા દ્રવ્યોની લપેટમાં જિંદગીમાં બરબાદ કરી રહેલા યુવાધનના પ્રદેશ તરીકે પંજાબ ઓળખાવા લાગ્યું છે અને હવે ત્યાં નવેસરથી આતંકવાદની ચિનગારી ચાંપવાની શરૂઆત થઈ છે.

અમૃતસરના અદલીવાલ ગામના નિરંકારી ભવનમાં સત્સંગમાં તલ્લીન લોકો પર બોમ્બ ફેંકવાની ઘટનાએ સમગ્ર પંજાબને ફરીવાર ધુ્રજાવી દીધું છે.

પાકિસ્તાની આતંકવાદનો સૌથી ખતરનાક સિદ્ધાન્ત સ્થાનિક લોકોને હાથા બનાવીને ભારત વિરોધી પ્રવૃત્તિ કરવાનો છે, જેને કારણે આતંકવાદીઓની ગેરહાજરીમાં પણ વિવિધ સ્થાનિક રાષ્ટ્રદ્રોહીઓ દ્વારા જે તે પ્રદેશ કોઈ ને કોઈ આંદોલનરૂપે સળગતો રહે છે.

બ્રિટનમાં પાકિસ્તાને ભારત વિરોધી પંજાબીઓનું એક જૂથ રચી લીધું છે જે ત્યાં બેઠા બેઠા ખાલિસ્તાની વિચારધારાને સતત હવા આપ્યા કરે છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો ઉપદ્રવ સમયાંતરે પંજાબમાં દેખાયા કરે છે. પંજાબ પણ પાકની સીમાને સ્પર્શતું સરહદી રાજ્ય છે એનો ગેરલાભ લઈને પાકિસ્તાની જાસૂસો પંજાબમાં પોતાની જાળ ફેલાવી રહ્યા હોવાની વાત તો અગાઉથી જ જાણીતી છે.

પંજાબમાં સદાય રાખ નીચે અંગારાઓ ધરબાયેલા રહે છે. બહારથી ઠરી ગયેલી અને થાળે પડેલી લાગતી પરિસ્થિતિની ભીતર ઓછીવત્તી આતંકવાદી હલચલ ચાલતી રહે છે. પંજાબના નાગરિકો બહુધા રાષ્ટ્રપ્રેમથી છલકાતા અને સૈન્ય સેવાઓ દ્વારા આત્મગૌરવપૂર્વક ભારત માટે બલિદાન આપનારા લોકોથી છલકાતા વીરપુરુષોનો સમુદાય છે.

આ પંજાબના નવી પેઢીના - નવયુવાન નાગરિકોને આડે રસ્તે ભટકાવીને ડ્રગ્સને રવાડે ચડાવીને પાકિસ્તાને આ મહાન ઇતિહાસ ધરાવતા પ્રદેશને તહસનહસ કરવાનું કાવતરું ઘડેલું છે. હવે પાકિસ્તાન એ કાવતરાનો આગળનો અધ્યાય આલેખવા ચાહે છે જેમાં પંજાબના નિર્દોષ નાગરિકો પર હુમલા થવા લાગ્યા છે.

આજથી ચાર દાયકા પહેલા પંજાબમાં આવા જ પ્રચ્છન્ન અને ઘાતક હુમલાઓ દ્વારા આતંકવાદે પ્રવેશ કર્યો હતો. એ સમયે પણ નિરંકારી ઉપાસકો અને ભક્તો જ આતંકવાદીઓના નિશાન પર હતા. એટલે અદલીવાલ ગામના સત્સંગીઓ પર થયેલો હૂમલો ખરેખર તો પાકિસ્તાનનો એ ઇરાદો છતો કરે છે જેમાં તે ચાલીસ વરસ પહેલાના કરૂણાન્ત ઇતિહાસને સજીવન કરવા ચાહે છે.

ઇમરાન ખાનના આવવાથી કોઈ ફેર પડવાનો નથી અને ભારત- પાક સંબંધો એવા ને એવા વણસેલા રહેવાના છે એવી બહુ અગાઉ વૉશિંગ્ટન પોસ્ટે કરેલી આગાહી સાચી પડી છે. કારણ કે પાકિસ્તાનમાં લોકપ્રતિનિધિઓની સરકારો બદલાવાથી સૈન્યની દુર્વૃત્તિઓ અને દુષ્ટતામાં કોઈ ફેર પડતો નથી અને એ જ એનો ઇતિહાસ છે.

થોડા દિવસો પહેલા જ ભારતીય સેનાધ્યક્ષે ભારત સરકારનું એડવાન્સમાં ધ્યાન દોર્યું હતું કે પંજાબમાં નવેસરથી આતંકવાદનું ઉત્થાન થવાના સંજોગો અને કોશિશ દેખાય છે. જો તેમણે વ્યક્ત કરેલી દહેશતને પંજાબ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધી હોત તો અમૃતસર પંથકમાંથી આતંકવાદીઓને આગોતરી સાવચેતીથી ઝડપી શકાયા હોત.

કાશ્મીરમાં આતંકવાદીઓની ઝડપી સાફસૂફી થતા અને ભારતીય સૈન્ય દ્વારા હવે આક્રમક અભિગમ અપનાવવામાં આવતા પાકિસ્તાને ફરીથી પંજાબની સરહદેથી પ્રવેશીને આતંકવાદીઓને વિવિધ સ્થળે મોકલવાની યોજના બનાવેલી છે.

પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આતંકવાદીઓની જે તાલીમ છાવણીઓ છે તે હાઇટેક સ્વરૂપની છે અને ત્યાં માઇનસ ડિગ્રી ઉષ્ણતામાનમાં આતંકવાદની તાલીમ પણ આપવામાં આવે છે. છેલ્લા ઘણા વરસોથી દર શિયાળામાં પાકિસ્તાન સરહદેથી આતંકવાદીઓની ઘુસણખોરી થતી રહે છે.

આ વખતે ભારતીય ઇન્ટેલિજન્સ અધિકારીઓએ દિવાળી અરસામાં જ સરકારને માહિતી આપી હતી કે આતંકવાદીઓની ચાર- પાંચ ટુકડીઓ પાક સરહદેથી ભારતમાં પ્રવેશવા માટે મોકાની રાહ જોઈને બેઠી છે, જેમાંથી એક ટુકડી પંજાબ સરહદેથી પ્રવેશવાની શક્યતા છે. અને ખરેખર એમ જ થયું હોય એવું પંજાબની ઘટના કહે છે.

પંજાબ હવે નવેસરના આતંકવાદને કિનારે ઉભેલું રાજ્ય છે. આ કેલિફોર્નિયાની આગ જેવું છે કે જેમાં એને પ્રારંભના તબક્કામાં જ રોકી શકાય, તો જ એ અટકે, એકવાર ઝાળ લાગે અને ફેલાઈ જાય તો પછી એના પર અંકુશ પ્રાપ્ત કરવાનું કામ દુઃસહ હોય છે.


Tags :