Get The App

પુરપ્રકોપ પીડિત કેરળ થરથર ધ્રુજે

Updated: Aug 19th, 2018

GS TEAM

Google News
Google News

પુરપ્રકોપ પીડિત કેરળ થરથર ધ્રુજે 1 - imageકેરળની પડખે રહેવામાં ઈતર રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર મોડી પડી એને કારણે વિનાશક સ્થિતિ આ રાજ્યને વીંટળાઈ વળી છે. અવિધિસરનો અંદાજિત મૃત્યુઆંક 400થી વધુનો  થવા જાય છે.

ભીષણ કુદરતી આપત્તિઅને એમાં સરકારનું ડિઝાસ્ટર સંબંધિત મિસમેનેજમેન્ટ એમ બન્ને રીતે કેરાલિયન પ્રજા આસમાની અને સુલતાની સંકટનો સામનો કરી રહી છે. વડાપ્રધાન મોદીએ જાહેર કરેલું રૂ. 500 કરોડનું રાહત પેકેજ ઓછું પડે એટલી વિષમ પરિસ્થિતિ છે.

જો કે, દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ કેરળની વર્ષા અને પુરપ્રકોપ પીડિત પ્રજા માટે વિવિધ રાહતનિધિ જાહેર કરેલી છે. વિરોધ પક્ષોએ કેરળના સંકટને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની રજૂઆત કરી છે, એ જાહેર થાય કે ન થાય, કેરળની પ્રજા એક તો દુઃખી હતી અને હવે વરસાદી વિનાશના સપાટામાં ચારેબાજુથી ઘેરાઈ ગયેલી છે.

છેલ્લા કેટલાક દિવસથી કેરળની પ્રજા રાતભર જાગી રહી છે, કારણ કે પાણી ક્યારે ધસમસતા ઘરમાં પ્રવેશી જાય એ નક્કી નથી. અનેક લોકો તણાઈ ગયા તેમાં કેટલાક તો નિચાણવાળા વિસ્તારોમાં એકાએક જ આવેલા પાણીમાં શયનખંડમાં જ ડૂબી ગયેલાના કિસ્સાઓ દક્ષિણ ભારતના પ્રાદેશિક દૈનિકોએ રજૂ કરેલા છે.

વડાપ્રધાન મોદી થોડા સાચા અને વધુ ખોટા એવા બન્ને પ્રકારના કારણોસર કેરળની મુલાકાતે મોડા પહોંચ્યા. દેશના તમામ વિરોધ પક્ષોનું જે મહાગઠબંધન તૈયાર થઈ રહ્યું છે એ નેતાઓ પણ કેરળની પડખે પહોંચવામાં મોડા પડયા અને કેટલાક તો હજુ નથી પહોંચ્યા.

 એક રાજ્યની મહત્ પ્રજા સંકટમાં ફસાયેલી હોય એને એમાંથી ઉગારવા માટેનું કોઈ સ્નેહશીલ અને માનવીય બંધન આ ગઠબંધને સ્વીકાર્યું નથી. તેઓને આ માટે આ એક સ-સમયનો મોકો હતો જે તેમણે ગુમાવ્યો, કેરળમાં બાળકોને હજુ પણ દૂધ નથી પહોંચ્યું. કેટલાક ગ્રામ વિસ્તારોએ તો સતત ઉપવાસી રાત- દિવસ પસાર કર્યા છે.

કેરળના આ વખતના પ્રલયકારી સંજોગો સામે લડવા માટે મલયાલમ ભાષાના ઉપકારક અને સહાયકારી મેસેજિસનો પણ સદ્ભાગ્યે પ્રલય થયેલો છે. એને કારણે કેરળના મુખ્ય શહેરોમાં રાહત સામગ્રી માટેના અઢળક કલેક્શન સેન્ટરો ખોલવામાં આવ્યા છે જેનું સંચાલન વિવિધ એનજીઓ અને કેટલાક ફિલ્મ કલાકારો કરી રહ્યા છે. થિરુવનન્તપુરમમાં તો સંખ્યાબંધયુવક- યુવતીઓ રાહત સામગ્રીને પીડિતો સુધી પહોંચાડવાના કામે લાગેલા જોવા મળે છે.

કેરળમાં થયેલી નુકસાનીનો પ્રાથમિક અંદાજ વીસ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. લાખો લોકોનું સ્થળાંતર થયું છે અને તેમાંના મોટા ભાગના બેઘર બની ગયેલા છે.

સમગ્ર આપદાની ગંભીર બાબત એ છે કે નાગરિકોને સમયસર ચેતવણી આપવામાં રાજ્ય સરકાર, કેન્દ્ર અને દેશનું હવામાન ખાતું થાપ ખાઈ ગયું છે. અનેક પીડિતોએ તેમના ઑનએર ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કહ્યું છે કે, સરકારે અમને જાણ જ કરી નથી કે આવો ભીષણ પ્રલય આવી રહ્યો છે.

મૃત્યુ આંક ઉંચો ગયો છે તે જ બતાવે છે કે આવનારા સંકટ પ્રત્યે સરકાર અને હવામાન ખાતું બેદરકાર અને બેહોશ હતા. ભારતમાં સરકારી તંત્ર કેટલું પંગુ અને નિઃસહાય થતું જાય છે તેનો નમૂનો એટલે કે દુઃખદ દ્રષ્ટાન્ત આ કેરળ છે. કેરળનું પુનરાવર્તન દેશના અન્ય કોઈ પણ રાજ્યમાં થઈ શકે છે. કેરળમાં સરકારી રાહત સામગ્રી પણ બહુ મોડી પહોંચી છે. હેલિકોપ્ટરોએ કેરળના આકાશમાં બહુ મોડો પ્રવેશ કર્યો.

જાણે કે કોઈ પણ પ્રકારના ડિઝાસ્ટર મેનેજરિયલ મોનિટરિંગ વિના લોકો તણાતા રહ્યા અને ડૂબતા રહ્યા. રહસ્યમય વાત તો એ પણ છે કે કેરળના સંખ્યાબંધ કામદારો યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ) સહિતના અખાતી રાષ્ટ્રોમાં રોજગારી મેળવી રહ્યા છે.

યુ.એ.ઇ. સરકારે પોતાને ત્યાં રહેલા કેરાલિયન કામદારો પરત્વેની અનુકંપાથી કેરળ માટે સહાય નિધિ જાહેર કરી પછી એ હોડમાં આપણા જુદા જુદા મુખ્યમંત્રીઓ એકાએક જાગીને પોતાના રાજ્ય તરફથી જાહેરાતો કરવા લાગ્યા. કેરળની પુરગ્રસ્ત પ્રજા માટે આ એક કાયમ યાદ રહી જનારો ભારે દુઃખદ અનુભવ છે કે તેમની મદદે પહોંચવામાં ભારત સરકારે વિલંબ કર્યો.

કુદરતી આપદા કંઈ ટાળી, ટળી શકે નહિ. આવી આપત્તિઓનો જ આ યુગ છે અને દુનિયાના નાના- મોટા અનેક દેશો આ પ્રકારના સંકટોમાંથી પસાર થતા રહે છે, પરંતુ છેલ્લા થોડાક જ વરસનો ઇતિહાસ જુઓ તો ખ્યાલ આવશે કે મૃત્યુઆંક ઉપર તે દેશોની સરકારનો સખત અંકુશ છે અને મોટામાં મોટી આપત્તિ તેઓએ નજીવી જાનહાનિથી પસાર કરી આપેલી છે.

કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનનો પણ પનો ટૂંકો પડયો છે અને કેરળ એક નાનું રાજ્ય છે, એની મર્યાદા છે, એ કદાચ સ્વ-પ્રયત્ને પહોંચી વળે નહિ પરંતુ અગમચેતી દાખવવાની બાબતમાં તો તેઓ સદંતર નિષ્ફળ ગયા છે. 

દરેક રાજ્ય સરકારની એ જવાબદારી છે કે તે પોતાની પ્રજાને સંકટમાંથી શક્ય હોય તો વહેલા અથવા સમયસર ઉગારી લે. પિનારાઈ વિજયન સરકારની મૂર્ખતાઓને કારણે કેરળના 400 જેટલા નિર્દોષ નાગરિકો અને ભવિષ્યના નાગરિકો એવા શિશુઓની જિંદગી જે બચી શકી હોત તે હોમાઈ ગઈ છે. કેરળમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હજુ પ્રારંભિક અવસ્થામાં અને પગદંડો જમાવવા માટેના સંઘર્ષમાં રત છે તો પણ સંઘના કાર્યકરોએ અનેક વિસ્તારોમાં રાહત કાર્યો આરંભવાની ભર વરસાદે પહેલ કરેલી છે. 

Tags :