Get The App

શાસક-વિપક્ષનું દ્વંદ્વયુદ્ધ

Updated: Jan 12th, 2020

GS TEAM

Google News
Google News
શાસક-વિપક્ષનું દ્વંદ્વયુદ્ધ 1 - image


એક તો બજેટ માથે તોળાઈ રહ્યું છે અને દેશનું વાતાવરણ અમુક અંશે ડહોળાઈ રહ્યું છે. કોંગ્રેસ એનો મનોમન ઉત્સવ ઉજવે છે. કોંગ્રેસે દેશભરમાં લઘુમતીઓને ફસાવવા એવી જાળ બનાવી છે કે એમાં લઘુમતિ અને બહુમતી બન્નેનો એક ચોક્કસ વર્ગ ફસાઈ ગયો છે. 

દેશની કેન્દ્રીય ઈન્ટેલિજન્સ બ્રાન્ચે જે ગુપ્તચર અહેવાલો કેન્દ્ર સરકારને આપ્યા છે એમાં સ્પષ્ટ છે કે કેટલાક ધામક નેતાઓ પણ કોંગ્રેસ તરફ તણાઈને ભારત સરકાર વિરોધી નિવેદનો કરવા લાગ્યા છે. ભાજપ સરકારનો વિરોધ તે એક વાત છે અને ભારત સરકારનો વિરોધ તે બીજી વાત છે. ઘટનાક્રમ સંવેદનશીલ છે પરંતુ કહેવાતા બુદ્ધિજીવીઓના ઉતાવળા પ્રત્યાઘાત ભારત સરકાર માટે આંચકા રૂપ છે. સાચું શું અને ખોટુંં શું એની ચર્ચા કરવાનો અવકાશ જ ન રહે એ સ્થિતિ તરફ કોઈ વિવાદનેે ધકેલાવા દેવાય નહિ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતના કેન્દ્રીય બજેટમાં બહુ વિશેષ જાગૃતિ દાખવી છે. કેન્દ્ર સરકારની તિજોરી ખાલી થવા આવી છે. થોડા સમય માટે કેન્દ્ર સરકારને રિઝર્વ બેંક પાસેથી નવું ભંડોળ લેવાની જરૂર પડશે. એક તરફથી કેન્દ્ર સરકાર ટેલિકોમ કંપનીઓને સ્પેક્ટ્રમના બાકી લ્હેણા પેટેના કરોડો રૂપિયા ભરવામાં સમયની વિશેષ રાહત આપી રહી છે અને બીજી તરફ ઘટતા રૂપિયા શોધવા માટે રિઝર્વ બેંકના ખિસ્સામાં હાથ નાંખી રહી છે.

ભાજપ સરકારની ખાનગીકરણની ઝુંબેશ આગળ વધીને હવે કોલસાની ખાણ સુધી પહોંચી છે. કોલસાના ધંધામાં ઘણા રાજકીય પક્ષો અને ઘણા નેતાઓના હાથ કાળા થયેલા છે. કેન્દ્રની એનડીએ સરકાર પોતાની સરકાર માટેની કમાણી વધારવામાં પોતાના હાથને કાળા થતાં કઇ રીતે અટકાવી શકે છે તે જોવાનું રહે છે. વડાપ્રધાને આગામી બજેટના સંદર્ભમાં ઉદ્યોગપતિઓ સહિત વિવિધ જૂથો સાથે આજ સુધીમાં અનેક મિટિંગ સિલસિલાબંધ પૂરી કરી છે. પહેલી નજરે એવું લાગે છે કે ભાજપે સાંભળવાની શરૂઆત કરી છે.

દેશ અત્યારે શાસક-વિપક્ષના દ્વંદ્વ યુદ્ધમાં ફસાયેલો છે. વિપક્ષો પોતાની પસંદગી પ્રમાણેના લોકોને એક પછી એક હાથા બનાવે છે. દેશે છેલ્લા એક મહિનામાં એવા પણ વીડિયો વાયરલ થયેલા જોયેલા છે કે જેમાં વિરોધ કરનારાઓને જ ખબર નથી કે તેઓ શાનો વિરોધ કરી રહ્યા છે. દરેક કોમના ભારતીય પરિવારોએ ઘરમાં થતી વાતચીતમાં બહુ સંયમ રાખવો જરૂરી છે.

જો એમાં તેઓ વૈમનસ્યના બીજ આરોપશે તો આજકાલ તો ઠીક છે પણ નવી પેઢીઓની વિચારધારાઓ બદલાઈ જશે જે ભારતને આવનારા વરસોમાં શત્રુઓ રાજી થાય એવા ખતરનાક વળાંક સુધી લઈ જશે. સર્વોચ્ચ અદાલતે હમણાં જ કહ્યું અને એ હકીકત છે કે કોઈ પણ બાબતનો સ્વસ્થ અને અહિંસક રીતે વિરોધ કરી શકવાનું તંદુરસ્ત વાતાવરણ જળવાવું જોઈએ અને એ જવાબદારી શાસક પક્ષની અને સરકારની છે.

ઈન્ટરનેટ અંગે પણ સર્વોચ્ચ અદાલતની ટકોર નોંધપાત્ર છે કારણ કે લોકશાહી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના પ્રમુખ માધ્યમો જ દૈનિકો અને ઈન્ટરનેટ સેવાઓ છે. ઈન્ટરનેટ ડેટાબેન્ક અને ડેટા આદાનપ્રદાનનો ઈન્ટરનેશનલ સુપર હાઈવે તો છે જ ઉપરાંત એ વ્યક્તિગત સ્વાતંત્ર્યનો પણ અુત વિજય ધ્વજ પણ છે.

એના પર પ્રતિબંધ એ લોકશાહીની ધમની અને શિરા પરનો પ્રતિબંધ છે. એટલે કે દેશના શાસકોએ તેમની વિરુદ્ધના તમામ અભિપ્રાયો પ્રગટ થવાના દરવાજાઓ ખુલ્લા રાખીને શાસન કરવાનું છે અને પોતાના તમામ ઉપક્રમો પ્રજાને સાર્વત્રિક રીતે ગળે ઉતારવાના છે.

સર્વોચ્ચ અદાલતે બીજી પણ એક મહત્ત્વની વાત કરી કે કોઈ પણ કાયદાને બંધારણીય કહી દેવાનું સીધેસીધું કામ સુપ્રિમનું નથી પરંતુ કોઈ પણ કાયદાની યોગ્યાયોગ્યતા તપાસવાનું કામ ચોક્કસ સુપ્રિમનું છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને પાઠ ભણાવવા બહુ જ પરોક્ષ રીતે અને સાનમાં સમજવાની વાત કરી છે કારણ કે સુપ્રિમ માને છે કે પહેલા દેશના જનજીવનના ડહોળાયેલા જળને શાન્ત અને પારદર્શક કરો.

આપણા દેશના શાસકો અને વિપક્ષો બન્નેને પોતાના હેતુઓ સિદ્ધ કરવા માટે હજુ પ્રજાના વિવિધ સમુદાયો, વિદ્યાર્થીઓ અને ઓપિનિયન લીડરોને હાથા બનાવવાની કુટેવ છે જે હજુ ગઈ નથી. આ કુટેવના રાષ્ટ્રીય પ્રદર્શન જેવા ઘટનાક્રમના કુરુક્ષેત્ર તરીકે જેએનયુ જેવા વિદ્યાધામોની પસંદગી પણ દેશની આંતરિક કાયદો-વ્યવસ્થા સ્થિતિ માટે લાંછનરૂપ છે.

દરેક દેશમાં કોઈ એક સમય એવો આવતો હોય છે કે જ્યારે શાસક અને વિપક્ષ બન્ને સમજવા તૈયાર ન હોય ત્યારે પ્રજાએ ખુદ સમજી જવું જોઈએ અને આંતરસંઘર્ષ તથા ગેરસમજ નિવારવી જોઈએ. આ કામ પણ ઘણું જ અઘરું છે છે છતાં સમય જ કહે છે કે એ સમય હવે આવી ગયો છે જ્યારે પ્રજાની પોતાની કુશળ બુદ્ધિમત્તા જ દેશને ઓસ્ટ્રેલિયાનું જંગલ થતા અટકાવી શકે.

Tags :