Get The App

મમતાનો ગુપ્ત ગભરાટ .

Updated: Jun 10th, 2019

GS TEAM

Google News
Google News
મમતાનો ગુપ્ત ગભરાટ                                     . 1 - image



મમતા બેનરજી તેમની રાજકીય કારકિર્દીને બચાવવા માટે છેલ્લા ઘણા લાંબા સમયથી અસામાજિક તત્ત્વોને પરિપોષિત કરે છે. એમનો ચહેરો હવે જરા વધુ ખુલ્લો પડવા લાગ્યો છે. તેઓ એક એવા અપરાધી વિષચક્રમાં ફસાતા જાય છે કે જેનો અંત એક દિવસ તેમને જ જેલવાસ સુધી લઈ જશે. 

તૃણમૂલ કોંગ્રેસ વિષે બંગાળી પ્રજાનો અનુભવ અને અભિપ્રાય બન્ને ખરાબ છે. મમતાએ દેશ સામે બંગાળનું જે ચિત્ર રજૂ કરેલું છે એવું બંગાળ નથી. મરાઠીઓ અને ગુજરાતીઓ કરતા બંગાળી પ્રજા બહુ એડવાન્સ છે. કલકત્તાના  કોઈ પણ શોપિંગ સેન્ટરમાં તમે જાઓ તો એના સ્ટાફની એટિકેટ જોઈને દંગ થઈ જાઓ.

થોડાક પક્ષપાત સાથે અગાઉ તો એમ કહેવાતું હતું કે, ભારતમાં હૃદય તો માત્ર બંગાળીઓ પાસે જ છે, બાકીની પ્રજા બધું બુદ્ધિના ત્રાજવે તોલે છે. આજે પણ એક પ્રજા તરીકે બંગાળીઓ સહૃદયી છે. એનો પૂરેપૂરો લાભ લઈને મમતા બેનરજીએ રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસની ધાક બેસાડી છે. હારજીતનો તો પ્રશ્ન જ ન આવે, કારણ કે તૃણમૂલના ઉમેદવાર સામે કોઈ ઉભા જ ન રહી શકે એ રીતે તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મમતાએ સહાય તંત્ર ગોઠવ્યું છે.

હમણાં ભાજપના કાર્યકરોની હત્યા થઈ એ કોઈ નવો ઘટનાક્રમ નથી. ભાજપના અને ડાબેરીઓના કુલ ૩૦થી વધુ કાર્યકરોને તૃણમૂલમાં રહેલી 'અપરાધી વિંગ' દ્વારા હણવામાં આવ્યા છે. મમતા બેનરજીની આ અપરાધીઓ સાથેની એક મિટિંગ અને એમાંની વાતચીત વાયરલ થયેલી છે જેનો સારાંશ છે કે જો રાસ્તે મેં આયે ઉસે ખતમ કર દો ! મમતા વિરુદ્ધના દસ્તાવેજોનું ભાજપે અલગ અલગ સંપાદન કરેલું છે. જો કે તૃણમૂલે એવી રજૂઆત કરી છે કે અન્ય ૧૩ કાર્યકરોની માર્કસવાદીઓ અને ભાજપે હત્યા કરી છે.

પશ્ચિમ બંગાલમાં રાજકીય હિંસાચાર લોકસભાની ચૂંટણી વખતથી ધમધમે છે અને એમાં હજુ કોઈ ઓટ દેખાતી નથી. આમ તો દેશમાં રાજકીય હિંસાના જનક તરીકે જ બંગાળને ઓળખવામાં આવે છે. સત્તામાં ડાબેરીઓ હોય કે કોગ્રેસ હોય, રાજ્યના રાજકારણનો ઇતિહાસ રક્તરંજિત છે. વિરોધીઓના દમન માટે પોલીસ તંત્રનો બેફામ દુરુપયોગ કરવામાં આવે છે.

પશ્ચિમ બંગાળની જેલોમાં આજે ૭૦થી વધુ એવા પોલીસ કર્મચારી અને અધિકારી જેલમાં છે જેઓએ અગાઉ સત્તાધારી રાજનેતાઓના ઇશારે અપરાધ કર્યા અને પછી તેમને કોઈ બચાવી ન શક્યા. નજર સામેની આ ઘટના છતાં ય હજુ પોલીસ અનેકવાર રાજનેતાઓના પાલતુ કુત્તાઓની જેમ વર્તે છે. મમતા બેનરજીમાં પોતાના પતનનો ગુપ્ત ગભરાટ છે. ભાજપને વિલન તરીકે આલેખવા જતા તેઓ ખુદ એક ખલનાયિકા તરીકે દેખાવા લાગ્યા છે. બંગાળની પ્રજા આજે તૃણમૂલના અનિષ્ટ પરિબળોથી તંગ આવી ગઈ છે.

પંચાયતી ચૂંટણીઓમાં ૩૪ ટકા બેઠકો તૃણમૂલે બિનહરીફ જીતી લીધી. વિરોધ પક્ષોના ઉમેદવારોને તૃણમૂલે ધમકાવીને બેસાડી દીધા. આ પ્રકરણ હજુ અદાલતમાં છે. ઉપરાંત જ્યાં પણ મતદાન થયું તેમાંની અધિક બેઠકો તૃણમૂલને મળી. મમતા બેનરજીનો ઉદય માર્કસ્વાદીઓની હિંસાત્મક વૃત્તિઓના વિરોધમાંથી જ શરૃ થયો. એક પૂર્ણ વિઝન લઈને તેઓ આગળ વધ્યા. કોંગ્રેસે એમને સ્વતંત્રતા ઓછી આપી એટલે છેડો ફાડીને તેમણે પોતાની નવી તૃણમૂલ કોંગ્રેસ બનાવી.

મમતા બેનરજીમાં કોંગ્રેસ, માર્કસ અને મુઝિબુર રહેમાનના મેજિક મિક્સ ગુણો છે. તેઓ પોતે પણ બાંગ્લાદેશી ઘુસણખોરો અંગે અસ્પષ્ટ છે, જેનાથી બંગાળી પ્રજા હવે એમ માનવા લાગી છે કે મમતા બેનરજીને કારણે બંગાળમાં ઘૂસણખોર બાંગ્લાદેશીઓ જે છે તેઓ કદી પણ પાછા નહિ જાય. એને કારણે હવે મમતા તરફ પ્રજાનો તિરસ્કાર છે. મમતા જિદ્દી છે અને રાજહઠ તથા સ્ત્રીહઠના સમન્વયરૃપે અનેક જાહેર નિવેદનો તથા આંદોલનાત્મક ઉપાયો અજમાવતા રહે છે. થોડા દિવસો પહેલા માર્કસ્વાદી કોમ્યુનિસ્ટ પાર્ટી માટે કામ કરનારા એક નિર્દોષ દંપતીને તૃણમૂલના કાર્યકરે મોતને ઘાટ ઉતાર્યા હતા.

તૃણમૂલ સિવાય પશ્ચિમ બંગાળમાં દસથી વધુ રાજકીય પક્ષો છે જેમની ક્યાંક ને ક્યાંક સત્તામાં ઉપસ્થિતિ છે, એ તમામ પક્ષો પર જરૃર પડે,દમન કરવા માટે તૃણમૂલના નિર્ણાયકો હવે તો અંધારી આલમને 'સોપારી' આપતા પણ થઈ ગયા છે. તૃણમૂલે હમણાં એક નાગરિકની હત્યા કરીને એની લાશને ઝાડ પર લટકાવીને સાથે બોર્ડ લગાવ્યું હતું કે, જેઓ તૃણમૂલ સાથે નહિ રહે તેમની આવી દશા થશે.

તૃણમૂલ એક ચોક્કસ વિચારધારા ધરાવતો રાજકીય પક્ષ છે પરંતુ હવે એની દિશા અપરાધીકરણ તરીકેની છે. અંધારી આલમના કેટલાક જુનિયર ડોનને અજવાળામાં લાવીને તૃણમૂલે એને પક્ષમાં જુદા જુદા પદ આપ્યા છે. દરેક તાલુકાવાર તૃણમૂલ પાસે માથાભારે કાર્યકરોનું જ કડીબદ્ધ સાંકળિયું છે એને ભાજપ હાલ તો પહોંચી શકે એમ નથી. કેન્દ્ર સરકાર અને ભાજપ પણ તૃણમૂલના હિંસાચારથી વ્યથિત છે, પરંતુ જ્યાં સુધી ભાજપે ધારેલા અને આયોજનબદ્ધ રીતે ગોઠવેલા 'સાણસા'માં મમતાનો પગ ન પડે ત્યાં સુધી કેન્દ્રમંા મમતા સાથે સટોસટની ટક્કર લે એવા દિગ્ગજોએ પણ યોગ્ય સમયની રાહ જોવી પડશે !

Tags :