ગૃહિણીનું બજેટ ખોરવાયું : ભારત એક વિરાટ મિડલ ક્લાસ માર્કેટ છે
ગૃહિણીનું બજેટ ખોરવાયું
ભારતમાં આ વખતે શિયાળાની શરૂઆત શેરબજાર પરના ઠંડા પવનથી થઈ છે. બજાર ધારણા કરતા વધુ ઠંડી પડી રહી છે અને ડિસેમ્બરના ત્રિમાસિક તથા વર્ષાન્ત પરિણામો પહેલા બજાર ઊંચું માથું કરે એમ લાગતું નથી. દુનિયામાં ચારેબાજુથી વ્યાજદર વધારાની જે હોડ ચાલી છે એમાં ઔદ્યોગિક ક્ષેત્રની નાવડી હાલક-ડોલક થવા લાગી છે. એને કારણે ફન્ડામેન્ટલ પ્રગતિમાં એક રૂકાવટ આવી ગઈ છે અને આ રૂકાવટ માટે સરકારને ખેદ નથી. એનું કારણ એ છે કે કે ફુગાવો નાથવામાં સરકાર અને કામયાબી વચ્ચેની ખાઈ વધુ ને વધુ ગહન થતી જાય છે. રિઝર્વ બેન્કના કેન્દ્રને આજ્ઞાાંકિત ગવર્નર પણ ફુગાવો નાથવામાં નિર્મલા સીતારામન સાથોસાથ એકસરખા ગોથા ખાઈ રહ્યા છે. દેશના અર્થતંત્રને એક નૂતન વળાંક આપવા કાજે વડાપ્રધાને વિવિધ સોળ મંત્રાલયોના પારસ્પરિક જોડાણથી દેશની આર્થિક નવરચના માટે ગતિશક્તિ યોજનાની શરૂઆત કરી છે. આમ તો આ યોજના અન્ય સંખ્યાબંધ યોજનાઓનું ડેવલપમેન્ટ લિંકિંગ છે.
અર્થશાસ્ત્રમાં જે કેટલીક ઈનોવેટિવ પ્રણાલિકાઓ છે એનો ભારતમાં ખરેખર જો અમલ થશે તો એનો ફાયદો આખા એશિયાના ઈકોનોમિક પરિદ્રશ્યને થશે. પરંતુ અમલવારી આપણે ત્યાં બહુ પડકારરૂપ હોય છે. મિસ્ટર મોદી ગતિશક્તિ માટે કેટલી ગતિ અને કેટલી શક્તિ દાખવી શકે છે એ જોવાનું રહે છે. વિવિધ આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ભારતના વિકાસદરનો અંદાજ સતત ઘટાડતા રહેવાનો ક્રમ ચાલુ રાખ્યો છે. અગાઉ ભારતીય રિઝર્વ બેન્કે પણ વિકાસદરનો અંદાજ ઘટાડયો હતો. જો કે વાસ્તવિકતા એ પણ છે કે કોરોનાનો બીજો રાઉન્ડ હળવો થયા પછી પ્રારંભિક તેજીને કારણે ઉત્પાદકોમાં નવી પૂછપરછ નીકળી હતી અને હવે તો મહત્ કારખાનાઓ અથવા તો મોટા ઉત્પાદકોના યુનિટો ચાલુ થઈ ગયા છે.
ભારત એક વિરાટ મિડલ ક્લાસ માર્કેટ છે. તો પણ છેલ્લા કેટલાક સમયથી નાના પગારદારોની ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. જો કે દુનિયાભરના ઉત્પાદકોને ભારતનું આકર્ષણ તો રહેવાનું જ છે. આટલી વિરાટ જનસંખ્યાને કારણે રૂપિયો ફરતો રહેવાનો છે. એટલે વિશ્વબેન્ક જે મંદીનું બ્યુગલ બજાવે છે તેની તો સૌથી ઓછી અસર ભારતમાં થશે. સંયુક્ત રાષ્ટ્રસંઘ છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક મંદીની નોબત વગાડે છે. રાષ્ટ્રસંઘના અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે કે દુનિયાના તમામ દેશોની સરેરાશ સ્થિતિ છેલ્લા એક દાયકામાં સૌથી તકલીફ અનુભવવા તરફ છે. એટલે કે દુનિયાનો સાર્વત્રિક વિકાસ દર પણ ઘણો નીચો જશે. ઉપરાંત વિવિધ દેશો વચ્ચેના વૈમનસ્ય ને કારણે પણ નવી આર્થિક પ્રગતિ હાંસલ કરવામાં અનેક અંતરાય ઊભા થશે. ભારતમાં રવિપાકની મોસમ જામી છે અને વરસે એક જ પાક લેવા ટેવાયેલા લાખો ખેડૂતોએ આ વરસે બીજા પાકમાં પણ ઝંપલાવ્યું છે. એનું કારણ કે પાછલા સારા વરસાદને કારણે જળના તળ ઉંચા આવી ગયા છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે ભારતના વૃદ્ધિદરનો અંદાજ નવેસરથી ઘટાડીને ૫.૭ ટકા જાહેર કર્યો હતો. જો કે અગાઉ ઈ. સ. ૨૦૧૯ ના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતનો વિકાસ દર ઘટીને ૪.૫ ટકા થઈ ગયો હતો, જે પણ છેલ્લા એક દાયકામાં સૌથી ઓછો હતો. અલબત્ત ઈ. સ. ૨૦૧૮ -૧૯ નો વિકાસ દર ૬.૮ ટકા એટલે કે સાત ટકા જેટલો હતો. ત્યારના એટલા ઊંચા વિકાસ દરનું એક કારણ એ પણ છે કે નોટબંધી પછી નાગરિકોના પૈસા બજારમાં થોડા સમય માટે ફરતા થયા હતા. ઉપરાંત કરન્સીમાં જ બચત રાખવાને બદલે નવા નવા રોકાણોમાં શ્રીમંતો વળ્યા હતા, જેની પ્રાસંગિક સકારાત્મક અસર વિકાસદર ઉપર થઈ હતી. અર્થશાસ્ત્રીઓ માને છે કે ત્યારે પણ દેશના ઔદ્યોગિક ઉત્પાદનો, સેવાઓ અને કૃષિક્ષેત્ર દ્વારા હાંસલ કરવાપાત્ર વિકાસ દર તો પાછળ જ રહ્યો હતો. નવા રોકાણોનો એ તબક્કો પૂરો થતાંવેંત જ આખરે વિકાસ દર નીચે આવી ગયો હતો.
બજારમાં કેટલાક એવા કિસ્સાઓ બનવા લાગ્યા છે કે જેનાથી વેપારી આલમમાં ગભરાટ છે. લોકો માલ ઉપાડયા પછી સમયસર ચૂકવણી કરતા નથી. વળી નવા માલના ઓર્ડર આપે છે. આવા સંજોગોમાં ઉત્પાદકો મુંઝવણમાં મુકાયા છે. આ પરિસ્થિતિ ઉદ્યોગોના વિવિધ સેક્ટરમાં અત્યારે છે. ભારત સરકારના આપણા આંકડાશાસ્ત્ર વિભાગે તો ચાલુ વર્ષ માટે વિકાસદરનો અંદાજ માત્ર માઈનસમાં ઠરાવ્યો છે, જે વાસ્તવિકતાની બહુ નજીક છે. દુનિયાની ટોચની વિવિધ નાણાંકીય અને અર્થશાસ્ત્રીય સર્વેક્ષણ સંસ્થાઓએ આગામી એક વરસ સુધી વૈશ્વિક આર્થિક ચિત્ર ૩.૫ ટકાના વિકાસથી બહુ ઊંચો કૂદકો મારી શકે એમ નથી એવી દહેશત વ્યક્ત કરી છે.