અમેરિકામાં ભારતીયોની સ્થિતિ અગાઉ પ્રિટોરિયામાં એશિયનોની જે દશા હતી એનાથી વધુ ખરાબ છે. જાણે કે ઘડિયાળના કાંટા અવળા ફરી રહ્યા છે. બ્રિટન અને અમેરિકા બે એવા દેશ છે જેની આંખમાં ભારત કાચના કણની જેમ ખટકે છે. હમણાં દિલ્હી એરપોર્ટ પર હરિયાણાના ૫૪ યુવાન વતનીઓ ઉતર્યા, જેમણે યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એજન્સીની કઠોર અને અમાનવીય પદ્ધતિઓનો સામનો કર્યો. સોનેરી સપનાઓ સાથે યુએસ મુસાફરી કરનારા આ યુવાનોએ જે કરૂણાંતિકાઓનો સામનો કરવો પડયો તે એ લોકો માટે એક બોધપાઠ છે જેઓ લાંબો વિચાર કર્યા વિના વિદેશનો પીછો કરે છે. આ યુવાનોએ સારા ભવિષ્ય માટે જોખમ લેવાની હિંમત દર્શાવી, પરંતુ છેતરપિંડી કરનારા એજન્ટોના વિષચક્રમાં ફસાઈ ગયા. આ યુવાનોને અલબત્ત, ઘોર દક્ષિણપંથી ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ ઇમિગ્રન્ટ્સ દ્વારા સામનો કરવામાં આવતી ક્રતા અને ભેદભાવથી અજાણ હતા.
પરિણામે, અમેરિકામાં તેમની સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. તેમને જેલ અને કેમ્પમાં રાખવામાં આવતા હતા. ઉનાળા દરમિયાન જેલોમાં હીટર અને શિયાળા દરમિયાન એરકન્ડીશનર ચાલુ રાખવામાં આવતું હતું. શાકાહારીઓને માંસ આપવામાં આવતું હતું, અને જે લોકોએ ખાવાનો ઇનકાર કર્યો હતો તેમને ફક્ત સૂકી રોટલી આપવામાં આવતી હતી. ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનાં ખેતરો વેચીને અને લોન લઈને અમેરિકા ગયેલા યુવાનો વિલે મુખે ગુનેગારોની જેમ ઘરે પાછા ફર્યા. આ હતાશ યુવાનોના ચહેરા આજે અપરાધભાવથી ભરેલા છે. વિડંબના એ છે કે ઘણા યુવાનોએ પોતાનાં ખેતરો વેચી દીધાં અને વિદેશ જવા માટે એજન્ટોને ૪૦-૫૦ લાખ રૂપિયા ચૂકવ્યા, પણ તેઓને ખતરનાક ગેરકાયદે ઘુસણખોરીના રસ્તે એમ કહીને ધકેલવામાં આવ્યા કે આગળ આપણા અન્ય એજન્ટો તમને લેવા આવવાના છે. પરંતુ ત્યાં અમેરિકન પોલીસ હતી, હાથકડી હતી અને જેલના સળિયા પાછળનો અંધકાર હતો. એ સિવાય કંઈ ન હતું.
આપણા નીતિ નિર્માતાઓની નિષ્ફળતા છે કે આપણે નવી પેઢીને તેમની ક્ષમતાઓ અનુસાર નોકરીઓ આપી શકતા નથી. આપણે એવું કહેતા ક્યારેય થાકતા નથી કે ભારત વિશ્વનો સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ છે. પ્રશ્ન એ છે કે, આપણે આ યુવાનોને દિશા આપવા માટે શું કર્યું છે? આકર્ષક અને લોકપ્રિય વચનો આપનારા રાજકીય પક્ષો યુવાનો માટે રોજગારને પ્રાથમિકતા કેમ આપતા નથી? ચૂંટણી પહેલાં લાખો નોકરીઓ બનાવવાના વચનો આપવામાં આવે છે, પરંતુ સત્તામાં આવ્યા પછી પણ તે અધૂરા રહે છે. આપણી શિક્ષણ વ્યવસ્થા પણ દોષિત છે, જે ડિગ્રીઓ આપે છે પણ રોજગારની કોઈ ગેરંટી આપતી નથી. દોષ આપણી યુવા પેઢીની માનસિકતાનો પણ છે, જે ફક્ત નોકરીઓને, ખાસ કરીને સરકારી નોકરીઓને, પ્રાથમિકતા આપે છે. ખાનગી ક્ષેત્ર પણ નફાને પ્રાથમિકતા આપે છે અને ટેકનોલોજી દ્વારા રોજગારની તકોમાં ઘટાડો કરવાને પ્રાથમિકતા આપે છે.
વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતા દેશમાં, આપણે શ્રમ-સઘન ઉદ્યોગોને પ્રાથમિકતા આપવી જોઈએ જે વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકે. આદર્શ રીતે, દેશના બેરોજગારી દરને જોતાં, આગામી દાયકાઓ માટે રોજગાર માટેનો રોડમેપ વિકસાવવો જોઈએ. જોકે, શાસક પક્ષ સસ્તી, લોકપ્રિય પ્રવૃત્તિઓ દ્વારા તેની વોટ બેંક સુધારવામાં વ્યસ્ત છે. પ્રશ્ન યુવાનો અને માતાપિતાની માનસિકતાનો પણ છે, જેઓ તેમનાં ખેતરો વેચીને તેમના પુત્રોને વિદેશ મોકલવા માટે ઉત્સુક છે. શું તેઓ સ્વરોજગારી માટે વિદેશ મોકલતા એજન્ટોને ચૂકવેલા પૈસાનો અન્ય ઉપયોગ કરી શક્યા ન હોત? ખરું કે, આજકાલ ખેતી યુવાનોને આકર્ષક લાગતી નથી, પરંતુ તેઓ બિન-પરંપરાગત ખેતી અને બાગાયતી જેવા રોકડિયા પાકના વિકલ્પો શોધી શકે છે.
પ્રશ્ન આપણી અમલ એજન્સીઓનો છેઃ તેઓ એવા એજન્ટો સામે કેમ કાર્યવાહી નથી કરતા જે યુવાનોને વિદેશ મોકલે છે, તેમને લાખો રૂપિયા લઈને ભાગી જાય છે અને તેમને નર્કમાં ધકેલી દે છે? આપણે પાછા ફરેલા આ યુવાનો દ્વારા તેમના સુધી પહોંચી શકીએ છીએ. ભારત જેવા દેશમાં કરવાનાં કામ કંઈ ઓછાં નથી. પણ એ આત્મસૂઝ પર આધારિત છે મોબાઈલ ફોનમાં ઉક્તિ, ચાટુક્તિ અને છમકલા જોયા કરતા લોકો માટે જોબ ક્યાંય નથી. જેનામાં કોઈ ને કોઈ સ્કીલ છે એ ભૂખે નહીં મરે, પણ જેણે જલસા જ કર્યા છે એણે હવે ભૂખ્યા રહેવાનું છે. આવનારાં વરસોમાં આવા ક્યાંય ચાલે નહિ એવા બાઘાઓનો વિરાટ સમુદાય દેશમાં જોવા મળશે જે કીડીખાઉં પ્રાણીની જેમ સમયખાઉં મોબાઇલ ફોનને આભારી હશે.


