Get The App

હૃદયઘાતક ડેલ્ટા વેરિયન્ટ .

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
હૃદયઘાતક ડેલ્ટા વેરિયન્ટ                  . 1 - image


તાજેતરનાં વર્ષોમાં, દરેક સામાન્ય ભારતીય તે બધી ઘટનાઓથી પરેશાન છે જેમાં આપણે લોકોને રમતા રમતા, ઓફિસમાં કામ કરતા, સ્ટેજ પર નાચતા અચાનક બેભાન થઈ જતા જોયા છે. આને સાયલન્ટ હાર્ટ એટેક તરીકે જોવામાં આવે છે. હોસ્પિટલ દોડી ગયા પછી, જાણવા મળે કે તે વ્યક્તિનું મૃત્યુ થયું છે. પછી કેટલાક લોકોએ રસીની આડઅસરોનો ઉલ્લેખ કર્યો, પરંતુ કોઈ અંતિમ નિષ્કર્ષ બહાર આવ્યો નહીં. પરંતુ હવે એક ભારતીય સંશોધનમાં હૃદયના ધબકારા અચાનક બંધ થવાનું કારણ શોધવાનો દાવો કરવામાં આવ્યો છે. IIT-ઇન્દોર અને ICMR સાથે મળીને કરવામાં આવેલા એક નવા સંશોધનમાં નવી હકીકત પ્રગટ થઈ છે. સંશોધન દર્શાવે છે કે કોવિડ-૧૯નો ડેલ્ટા વેરિયન્ટ તાજેતરના દિવસોમાં સાયલન્ટ હાર્ટ એટેકની ઘટનાઓનું પ્રમુખ કારણ બન્યો છે.

હૃદયરોગના હુમલા ઉપરાંત આ વેરિયન્ટ કેટલાક લોકોમાં થાઇરોઇડ ગ્રંથિઓ અનિયંત્રિત થવાનું અને હાર્ટ એટેક માટે એ જ કારણ હોવાનું કહેવાય છે. તાજેતરમાં, આ સંશોધન 'જર્નલ ઓફ પ્રોટીઓમ રિસર્ચ' માં પ્રકાશિત થયું છે. આ ખુલાસો એવા સમયે થઈ રહ્યો છે જ્યારે એશિયન અને અમેરિકન દેશોમાં COVID--૧૯નો એક નવો વેરિયન્ટ લોકોને ઘેરી લેવા લાગ્યો છે. ભારતમાં પણ તેના ચેપના વધતા જતા કેસ નોંધાઈ રહ્યા છે અને કેટલાંક મૃત્યુ પણ થઈ રહ્યા છે. હકીકતમાં, આ સંશોધન IIT-ઇન્દોર અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સંયુક્ત પ્રયાસ દ્વારા ૩,૦૦૦થી વધુ દર્દીઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવ્યું છે, જેમાં COVID--૧૯ની પ્રથમ અને બીજી લહેર દરમિયાન ભોગ બનેલા લોકોના મૂળ વેરિયન્ટનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓના શરીરનાં રસાયણોમાં વિવિધ ફેરફારો સંબંધિત ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આમાં, શરીરના રસાયણોમાં ફેરફારોની સાથે, સ્પાઇક પ્રોટીનના સંપર્કમાં આવતા ફેફસાં અને કોલોન કોષોનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તાજેતરના સંશોધનમાં, સંશોધકો એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે ડેલ્ટા વેરિયન્ટે હોર્મોન સંતુલનને ખલેલ પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. વાયરસને ભારતીય વેરિયન્ટના નામે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે મૂળ ભારતમાં શોધાયેલો હતો. જોકે, ડેલ્ટા વેરિઅન્ટ વંશ B.૧.૬૧૭ના ત્રણ પ્રકારોમાંથી ફક્ત એક છે, જે બધા ભારતમાં પ્રથમ વખત શોધાયા હતા. મે ૨૦૨૧ના અંતમાં,  WHO એ કોરોનાના પ્રકારો માટે ગ્રીક અક્ષરોનો ઉપયોગ કરવાની નવી નીતિ રજૂ કર્યા પછી, વંશ B.૧.૬૧૭.૨ને ડેલ્ટા નામ આપવામાં આવ્યું હતું.

હકીકતમાં, સંશોધનમાં જાણવા મળ્યું છે કે ડેલ્ટા વેરિયન્ટ માનવ શરીરમાં રાસાયણિક અસંતુલનનું કારણ બને છે. પરિણામે, કેટેકોલામાઇન અને થાઇરોઇડ હોર્મોન્સ ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં અવરોધ ઊભો થાય છે. જેના કારણે, કોવિડમાંથી સ્વસ્થ થયેલા લોકોને સમય જતાં સાયલન્ટ હાર્ટ એટેક અને થાઇરોઇડ સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવે છે. આ તાજેતરના અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે સ્વસ્થ થવા છતાં, જે લોકો કોરોનાથી સંક્રમિત હતા તેમના શરીરમાં યુરિયા અને એમિનો એસિડ ચયાપચયની સમસ્યા હોવાની પુષ્ટિ થઈ છે. હકીકતમાં, અચાનક મૃત્યુ, જેને સામાન્ય રીતે સાયલન્ટ હાર્ટ એટેક કહેવામાં આવે છે, તે લક્ષણો બતાવતા નથી જે સામાન્ય રીતે હાર્ટ એટેકમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે, બેચેની, પરસેવો, છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો જોવા મળતા નથી. આમાં, વ્યક્તિ અચાનક કાપેલા ઝાડની જેમ નીચે પડી જાય છે, અને સારવારનો પ્રયાસ કરવામાં આવે ત્યાં સુધીમાં, ખબર પડે છે કે તેનું મૃત્યુ થઈ ગયું છે. હકીકતમાં, આ સ્થિતિ કાડયાક એરેસ્ટથી અલગ છે, જેમાં હૃદયના ધબકારા બંધ થઈ જાય છે.

આ સ્થિતિને રોકવા માટે, ડોકટરો નિયમિત અડધો કલાક ચાલવાની, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા બિન-ચેપી રોગોને નિયંત્રિત કરવાની, તળેલા ખોરાક અને પેકેટ કે ટીનપેક ખોરાકથી દૂર રહેવાની અને ધૂમ્રપાન, તમાકુ અને શરાબ છોડવાની સલાહ આપી રહ્યા છે. ઉપરાંત, સાયલન્ટ હાર્ટ એટેકના કિસ્સામાં, તાત્કાલિક કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન એટલે કે CPR આપવાની સલાહ આપવામાં આવે છે. તેને સતત આપીને, જીવન બચાવવાનો પ્રયાસ કરી શકાય છે. આ અંગે સમાજમાં જાગૃતિ અભિયાન ચલાવવાની પણ જરૂર છે, કારણ કે તે દર્દીના જીવન બચાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે, જેના પછી કટોકટીની તબીબી સુવિધા અમુક અંશે મદદરૂપ સાબિત થઈ શકે છે. નિઃશંકપણે, સંશોધનનાં તારણો ચેતવણીરૂપ અને માર્ગદર્શક છે

Tags :